અમે ફરીથી યુદ્ધ શરૂ કરી દઈશું, પાકિસ્તાનની ભારતને ખોખલી ધમકી:સિંધુ જળ સંધિ મુદ્દે PAK રક્ષામંત્રી બગડ્યા; કહ્યું, અમને જે ક્ષણે પાણી પર જોખમ જણાશે ફરી યુદ્ધ થશે
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળ સંધિ સ્થગિત રહેવા અંગે ભારતને ધમકી આપી છે. પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ સાથેની વાતચીતમાં ખ્વાજા આસિફે કહ્યું કે, જો અમને લાગશે કે અમારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે અને પાણી પણ અમારી સુરક્ષાનો એક ભાગ છે, તો અમે ચોક્કસપણે ભારત વિરુદ્ધ યુદ્ધ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જો ભારત પાકિસ્તાન માટે પાણીની ઉપલબ્ધતાને ઝડપથી અસર કરવાનો પ્રયાસ કરતું જોવા મળશે તો લશ્કરી કાર્યવાહી પર વિચાર કરી શકાય છે. એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચેનો સિંધુ જળ કરાર શું છે? સિંધુ નદી પ્રણાલીમાં કુલ 6 નદીઓ છે – સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ. તેના કિનારાનો વિસ્તાર લગભગ 11.2 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેમાં 47% જમીન પાકિસ્તાનમાં, 39% જમીન ભારતમાં, 8% જમીન ચીનમાં અને 6% જમીન અફઘાનિસ્તાનમાં છે. આ તમામ દેશોના લગભગ 30 કરોડ લોકો આ વિસ્તારોમાં રહે છે. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાંથી જ ભારતના પંજાબ અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે નદીઓના પાણીની વહેંચણીનો ઝઘડો શરૂ થઈ ગયો હતો. 1947 માં ભારત અને પાકિસ્તાનના ઇજનેરો વચ્ચે ‘સ્ટેન્ડસ્ટિલ કરાર’ થયો. આ અંતર્ગત બે મુખ્ય નહેરોમાંથી પાકિસ્તાનને પાણી મળતું રહ્યું. આ કરાર 31 માર્ચ 1948 સુધી ચાલ્યો. 1 એપ્રિલ 1948 ના રોજ જ્યારે કરાર લાગુ ન રહ્યો ત્યારે ભારતે બંને નહેરોનું પાણી રોકી દીધું. આનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની 17 લાખ એકર જમીન પર ખેતી બરબાદ થઈ ગઈ. ફરીથી થયેલા કરારમાં ભારત પાણી આપવા સંમત થયું. આ પછી 1951 થી 1960 સુધી વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીને લઈને વાતચીત ચાલી અને આખરે 19 સપ્ટેમ્બર 1960 ના રોજ કરાચીમાં ભારતના PM નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે હસ્તાક્ષર થયા. આને ઇન્ડસ વોટર ટ્રીટી અથવા સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. સિંધુ જળ કરાર સ્થગિત કરવાથી પાકિસ્તાન પર અસર પાકિસ્તાનમાં ખેતીની 90% જમીન એટલે કે 4.7 કરોડ એકર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી સિંધુ નદી પ્રણાલીમાંથી મળે છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 23% છે અને તેનાથી 68% ગ્રામીણ પાકિસ્તાનીઓની આજીવિકા ચાલે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં સામાન્ય લોકોની સાથે-સાથે ત્યાંની કથળતી અર્થવ્યવસ્થા વધુ ખરાબ થવા લાગી છે. પાકિસ્તાનના મંગલા અને તરબેલા હાઈડ્રોપાવર ડેમને પાણી મળી રહ્યું નથી. આનાથી પાકિસ્તાનના વીજ ઉત્પાદનમાં 30% થી 50% સુધીનો ઘટાડો આવી શકે છે. સાથે જ ઔદ્યોગિક ઉત્પાદન અને રોજગાર પર અસર પડશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

