આદિત્ય પંચોલી દુષ્કર્મ કેસમાં નવો વળાંક:એક્ટરે FIR રદ કરવા અરજી કરી, હાઇકોર્ટે ફરિયાદી એક્ટ્રેસને 24 ફેબ્રુઆરીએ હાજર થવા નોટિસ પાઠવી

Last Updated: February 12, 2026By

બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી પર 2019માં મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની FIR નોંધાઈ હતી. એક્ટરે બોમ્બે હાઈકોર્ટમાં આ FIR રદ કરવાની માંગ કરતી અરજી કરી હતી, જેના પર આજે ગુરુવારે સુનાવણી થઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસે દુષ્કર્મના આરોપ લગાવ્યા ફરિયાદી મહિલાને 24 ફેબ્રુઆરીએ હાજર રહેવા આદેશ ANIના રિપોર્ટ અનુસાર, આદિત્ય પંચોલી વતી હાજર રહેલા વકીલ પ્રશાંત પાટીલે કોર્ટમાં FIR રદ કરવાની માંગનું પુનરાવર્તન કર્યું. આ કેસમાં એક બોલિવૂડ એક્ટ્રેસે આદિત્ય પંચોલી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું કે, પોલીસ દ્વારા 11 નોટિસ મોકલવામાં આવી હોવા છતાં, ફરિયાદી તપાસમાં હાજર રહ્યા ન હતાં. આ પછી હાઈકોર્ટે ગુરુવારે ફરિયાદીને નવી નોટિસ જારી કરીને આગામી સુનાવણી એટલે કે 24 ફેબ્રુઆરી 2026 ના રોજ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ‘15 વર્ષ પછી ફરિયાદ નોંધાઈ’ 27 જૂન 2019 ના રોજ નોંધાયેલી આ FIR ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આદિત્ય પંચોલી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, કથિત ઘટનાના લગભગ 15 વર્ષ પછી ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે દ્વેષપૂર્ણ છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના ભજનલાલના નિર્ણયનો હવાલો આપતા FIR રદ કરવાની માંગ કરવામાં આવી છે. વકીલ પ્રશાંત પાટીલે એ પણ જણાવ્યું કે, ‘કથિત ઘટના પહેલા એક વ્યક્તિએ આદિત્ય પંચોલી સાથે મુલાકાત કરી હતી, જેની રેકોર્ડિંગ તેમની પાસે છે. આ રેકોર્ડિંગ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, જેમાં ફરિયાદ નોંધાવવા પાછળ ખોટો ઇરાદો હોવાની વાત કહેવામાં આવી છે.’ આ કલમો હેઠળ કેસ નોંધાયો છે 2019માં નોંધાયેલી FIRમાં આદિત્ય પંચોલી પર IPCની કલમ 376 (દુષ્કર્મ), 328 (ઝેર આપીને નુકસાન પહોંચાડવું), 384 (જબરદસ્તી વસૂલી), 341 (ખોટી રીતે રોકવું), 342 (ગેરકાયદેસર બંધક બનાવવું), 323 (મારપીટ) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા. FIR નોંધાયા બાદ આદિત્ય પંચોલીએ પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. હાલમાં મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને આગામી સુનાવણી 24 ફેબ્રુઆરીએ થશે.