ઈમરાન ખાનના દિકરાએ મદદની ભીખ માગી:1100 દિવસનો એકાંત વાસ, જેલમાં બંધ પિતાને દેખાવાનું બંધ થઈ રહ્યું છે; તુરંત કોઈ સારવાર કરાવી આપો

Last Updated: July 24, 2026By

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન ઇમરાન ખાનની તબિયતને લઈને તેમના પુત્ર કાસિમ ખાને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે 1100 દિવસથી જેલમાં બંધ ઇમરાન ખાનની આંખોની રોશની સતત નબળી પડી રહી છે, પરંતુ પરિવારને તેમને મળવા કે તેમની મેડિકલ સ્થિતિની માહિતી પણ આપવામાં આવી રહી નથી. કાસિમે આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવાની અપીલ કરતા પાકિસ્તાનની સરકાર અને સૈન્ય પ્રશાસન પર તીખો હુમલો બોલ્યો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ લખીને પોતાના પિતાની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઇમરાન ખાનને જેલમાં બંધ થયાને હવે લગભગ 1100 દિવસ થઈ ચૂક્યા છે અને માર્ચ પછી તેમણે પોતાના પિતાનો અવાજ પણ સાંભળ્યો નથી. કાસિમે લખ્યું, ‘ઘણા મહિનાઓથી અમને તેમની સાથે વાત કરવા કે મળવાની પરવાનગી આપવામાં આવી નથી. અમને એ પણ નથી ખબર કે તેમને યોગ્ય સારવાર મળી રહી છે કે નહીં. તેમની આંખોની રોશની સતત નબળી પડી રહી છે અને તેમને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર છે.’ 26 વર્ષના કાસિમ અને તેમના મોટા ભાઈ સુલેમાન ખાન બ્રિટનમાં રહે છે. તેમણે કહ્યું કે તેમને પોતાના પિતાની માત્ર રાજકીય ચિંતા જ નથી, પરંતુ એક પુત્ર તરીકે તેમને ખૂબ યાદ આવે છે. તેમણે લખ્યું, ‘કાશ હું તેમની સાથે ક્રિકેટ, પુસ્તકો અને ફિલ્મો જેવી સામાન્ય વાતો કરી શકતો હોત. પાકિસ્તાનની જનતા પોતાના ચૂંટાયેલા નેતાને આઝાદ જોવા માંગે છે, પરંતુ મને મારા પિતાની પહેલા કરતાં પણ વધુ યાદ આવે છે.’ કાસિમે પાકિસ્તાનની હાલની વ્યવસ્થા પર પણ પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે સૈન્ય સમર્થિત સરકાર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડી રહી છે, રાજકીય વિરોધીઓને કચડી રહી છે અને લોકો પાસેથી પોતાના નેતાઓને ચૂંટવાનો અધિકાર છીનવી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે તે આ મામલે ચૂપ ન રહે. ઈમરાન ખાનને આંખમાં શું થયું?
CRVOની સારવાર સામાન્ય દવાથી કે નાના ક્લિનિકમાં કરી શકાતી નથી. તેને રેટિના નિષ્ણાત પાસેથી તાત્કાલિક સારવારની જરૂર છે. સારવાર દરમિયાન, આંખની અંદર બળતરા ઘટાડવા માટે ખાસ ઇન્જેક્શન આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, લેસર સારવાર પણ જરૂરી છે. આ ઉપરાંત, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા રોગોને કન્ટ્રોલ કરવા પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેને બ્લોકેજના મુખ્ય કારણો માનવામાં આવે છે. આ રોગની સારવાર માટે ઓપરેશન થિયેટર જેવી સુવિધાઓ, જંતુરહિત વાતાવરણ અને અનુભવી નિષ્ણાતો જરૂરી છે. શા માટે જેલમાં છે ઇમરાન ખાન?
73 વર્ષના ઇમરાન ખાનને 5 ઓગસ્ટ 2023ના રોજ તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેમની સામે અન્ય ઘણા કેસોમાં પણ કાર્યવાહી થઈ અને તેઓ સતત રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ છે. તેમને હાલમાં એકાંત કારાવાસ (સોલિટરી કન્ફાઇનમેન્ટ)માં રાખવામાં આવ્યા છે. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ઇમરાન ખાનની લીગલ ટીમ અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)એ દાવો કર્યો હતો કે સારવારમાં વિલંબને કારણે તેમની જમણી આંખની રોશની ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને તેમાં માત્ર 15 ટકા જેટલી જ દ્રષ્ટિ બાકી બચી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મેડિકલ બોર્ડની રચના કરીને તેમની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ઇમરાનનો પરિવાર અને પાર્ટી સતત આરોપ લગાવતા રહ્યા છે કે તેમને સ્વતંત્ર ડોક્ટરો સુધી પહોંચ આપવામાં આવી રહી નથી અને જેલમાં તેમને પૂરતી તબીબી સુવિધાઓ મળી રહી નથી. જોકે પાકિસ્તાન સરકાર આ આરોપોને ફગાવતા સતત કહેતી રહી છે કે ઇમરાન ખાનને તમામ જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઇમરાન ખાનના સમર્થનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પણ પાકિસ્તાન સરકારને પત્ર લખીને તેમની સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવા અને યોગ્ય તબીબી સુવિધા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.