એર ઇન્ડિયાના નવા CEO બન્યા ટેવોલ્ડે ગેબ્રેમેરિયમ:કેમ્પબેલ વિલ્સનની જગ્યા લીધી, ઇથોપિયન એરલાઇન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહી ચૂક્યા છે
એર ઇન્ડિયાએ ટેવોલ્ડે ગેબ્રેમેરિયમને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO અને મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય પૂર્વ CEO કેમ્પબેલ વિલ્સનના રાજીનામા અને એરલાઇનને નુકસાનમાંથી બહાર આવવાની ધીમી ગતિ વચ્ચે લેવામાં આવ્યો છે. કેમ્પબેલ વિલ્સને જુલાઈ 2022માં એર ઇન્ડિયાની કમાન સંભાળી હતી. નુકસાન અને કંપનીના સુધારામાં થઈ રહેલા વિલંબ વચ્ચે તેમણે 2024માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેને બોર્ડે સ્વીકારી લીધું હતું. વિલ્સન નવા ઉત્તરાધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી નોટિસ પિરિયડ દરમિયાન પોતાના પદ પર રહ્યા હતા. આફ્રિકન એવિએશન ઇન્ડસ્ટ્રીના મોટા ચહેરાઓમાંના એક છે ટેવોલ્ડે ટેવોલ્ડે ગેબ્રેમેરિયમ એક ઇથિયોપિયન બિઝનેસ એક્ઝિક્યુટિવ છે અને તેમને આફ્રિકાના સૌથી સફળ એવિએશન લીડર્સમાંથી એક ગણવામાં આવે છે. તેમણે 2011થી 2022 સુધી ઇથિયોપિયન એરલાઇન્સ ગ્રુપના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કર્યું. 11 વર્ષના કાર્યકાળમાં એરક્રાફ્ટ ફ્લીટને 4 ગણો કર્યો ટેવોલ્ડેના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન ઇથિયોપિયન એરલાઇન્સે ઝડપથી વિસ્તરણ કર્યું અને આફ્રિકાની સૌથી મોટી એરલાઇન બની: મહામારીમાં સરકારી મદદ વિના એરલાઇનને નફામાં રાખી કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે દુનિયાભરની એવિએશન કંપનીઓ નાદારીના આરે હતી અને સરકારી નાણાકીય પેકેજ પર નિર્ભર હતી, ત્યારે ટેવોલ્ડેએ કાર્ગો એટલે કે માલસામાનની હેરફેરના ઓપરેશન્સનો ઝડપથી વિસ્તાર કર્યો. આના કારણે તેમણે ઇથિયોપિયન એરલાઇન્સને કોઈપણ સરકારી બેલઆઉટ પેકેજ વિના નફામાં જાળવી રાખી. માર્ચ 2022માં, લગભગ એક વર્ષથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમવાને કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ એર ઇન્ડિયાની કમાન સંભાળીને ટાટા ગ્રુપના એવિએશન બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરશે. એર ઇન્ડિયા માટે આગળ શું પડકારો છે? નવા CEO સામે સૌથી મોટો પડકાર જૂના પડી ગયેલા ફ્લીટ એટલે કે જૂના વિમાનોને સુધારવા અને એરલાઇનના વર્ક કલ્ચરને ટાટાના ધોરણો અનુસાર ઢાળવાનો રહેશે. એર ઇન્ડિયા હાલમાં ઇન્ડિગો સાથે માર્કેટ શેરની લડાઈ લડી રહી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય રૂટ પર એમિરેટ્સ અને કતાર એરવેઝ જેવા મોટા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા માટે સર્વિસ ક્વોલિટીમાં સુધારાની જરૂર છે. 2026માં એર ઇન્ડિયાને લગભગ 20,000 કરોડના નુકસાનની આશંકા ભારતની બીજી સૌથી મોટી એરલાઇન કંપની એર ઇન્ડિયા હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2026માં એરલાઇનને લગભગ ₹20,000 કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે. નુકસાનનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે એરસ્પેસ પર પ્રતિબંધો લાગુ પડ્યા છે, જેનાથી એરલાઇનને ફ્લાઇટ્સના રૂટ બદલવા અને વધારાના ફ્યુઅલ સ્ટોપ લેવા પડી રહ્યા છે. તેની સૌથી વધુ અસર લોંગ-હોલ ઇન્ટરનેશનલ રૂટ્સ પર પડી છે અને ઓપરેટિંગ કોસ્ટ વધી ગઈ છે. આ ઉપરાંત, નવા વિમાનોની ડિલિવરીમાં વિલંબથી એરલાઇનની ક્ષમતા વધારવાની યોજના પ્રભાવિત થઈ રહી છે, જેનાથી ઓપરેશન્સ પર દબાણ વધ્યું છે. આ સિવાય એર ઇન્ડિયા હજુ પણ ગયા વર્ષે થયેલા પ્લેન ક્રેશની અસરથી ઝઝૂમી રહી છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ AI 171 ટેક-ઓફના તરત જ બાદ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 260 લોકોના મોત થયા હતા. આ ઘટનાની અસર હજુ પણ એરલાઈનની પબ્લિક ઈમેજ અને ઓપરેશનલ માહોલ પર દેખાઈ રહી છે. આ પડકારો વચ્ચે કંપની રીસ્ટ્રક્ચરિંગ અને વિસ્તરણ યોજનાઓ પર કામ ચાલુ રાખી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

