કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ:13 લોકોનાં મોત, જેમાં ઘણા ભારતીયો પણ સામેલ; 60થી વધુ ઘાયલ

Last Updated: June 22, 2026By

કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના LNG કોમ્પ્લેક્સમાં રવિવારે સાંજે વિસ્ફોટ થયો હતો. જેમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 66 લોકો ઘાયલ થયા છે. કતારના ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ સોમવારે તેની પુષ્ટિ કરી. મૃતકોમાં ભારત અને પાકિસ્તાનના નાગરિકોનો સમાવેશ થાય છે. ભારતીય નાગરિકોની ચોક્કસ સંખ્યા હજુ સામે આવી નથી. અલ-કાબીએ જણાવ્યું, વિસ્ફોટ રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી સ્થિત બરજાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટીમાં થયો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં ભારત, કતાર, તાન્ઝાનિયા, પાકિસ્તાન, ગિની, નેપાળ, બાંગ્લાદેશ, કેન્યા અને નાઇજીરીયાના નાગરિકોનો સમાવેશ થાય છે. ઉર્જા મંત્રીએ કહ્યું કે આ એક અકસ્માત હતો. તેમાં કોઈ ષડયંત્ર કે જાણી જોઈને કરવામાં આવેલી હરકતના સંકેત મળ્યા નથી. તેમના મતે, જરૂરી સમારકામના કારણે ડિસેમ્બર 2025 થી પ્લાન્ટનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ હતું અને તેને માત્ર બે દિવસ પહેલાં જ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દુર્ઘટના સંબંધિત બે તસવીરો… રાજધાની દોહા સુધી ધમાકાનો અવાજ સંભળાયો ઊર્જા મંત્રીના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે ઓપરેશન શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન બરજાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટીમાં વિસ્ફોટ અને આગ લાગી હતી. આપત્કાલીન ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી અને હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. રોઇટર્સ અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ રાજધાની દોહા સુધી સંભળાયો. 70 કિલોમીટર દૂર રહેતા લોકો પણ ગભરાઈ ગયા. જોકે, ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું કે આ દુર્ઘટનાથી પર્યાવરણને કોઈ ખતરો નથી અને કતારથી ગેસનો પુરવઠો પણ ચાલુ રહેશે. જ્યાં દુર્ઘટના થઈ, તે બરજાન ગેસ પ્લાન્ટ કતારના સૌથી મોટા ગેસ હબ રાસ લાફાનનો એક ભાગ છે. આ જ વિસ્તારમાંથી વિશ્વના ઘણા દેશોને ગેસ મોકલવામાં આવે છે. અહીંથી ઘરેલું વીજળી પ્લાન્ટો અને ઉદ્યોગોને પણ ગેસ સપ્લાય થાય છે. ભારતીય દૂતાવાસે કહ્યું- કતારના અધિકારીઓ સાથે સંપર્કમાં દોહા સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તે કતારના અધિકારીઓના સતત સંપર્કમાં છે અને મૃતકો તથા ઘાયલોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. દૂતાવાસે +974-55647502 અને +975-55384683 હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. આ ઉપરાંત cons.doha@mea.gov.in ઇમેઇલ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે. આ પહેલા દૂતાવાસે જણાવ્યું હતું કે ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો ગુમ છે. ઈરાન યુદ્ધમાં રાસ લાફાનના 2 યુનિટને નુકસાન થયું રોઇટર્સ અનુસાર, માર્ચમાં ઇરાનના મિસાઇલ હુમલામાં રાસ લાફાનના બે ગેસ યુનિટને નુકસાન થયું હતું. તેનાથી કતારની ગેસ નિકાસ ક્ષમતાનો લગભગ 17% હિસ્સો પ્રભાવિત થયો હતો. કતાર એનર્જીના CEO અનુસાર, આ યુનિટોના સંપૂર્ણ સમારકામમાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે છે. ઇરાન યુદ્ધ દરમિયાન કંપનીને લગભગ 10 હજાર કર્મચારીઓને ગેસ પ્લાન્ટ્સમાંથી હટાવવા પડ્યા હતા. જોકે, માર્ચમાં થયેલા મિસાઇલ હુમલામાં કોઈના ઘાયલ થવાની માહિતી મળી ન હતી. નિષ્ણાતો અનુસાર, LNG પ્લાન્ટને ફરીથી શરૂ કરવું એ ખૂબ જ જટિલ પ્રક્રિયા હોય છે અને તેને તબક્કાવાર રીતે કરવામાં આવે છે, જેથી તાપમાનમાં અચાનક ફેરફારથી ઉપકરણોને નુકસાન ન થાય. ———————– આ સમાચાર પણ વાંચો… અમેરિકાએ ઈરાનના ઓઈલ વેચાણ પર પ્રતિબંધ હટાવ્યો:આગામી 60 દિવસ ભારત પણ ખરીદી શકે છે, ઈરાનમાં ફરી તૈનાત થશે UNના ન્યુક્લિયર ઇન્સ્પેક્ટર અમેરિકાએ ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેચાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં 60 દિવસની છૂટ આપી છે. આ નિર્ણય સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશો વચ્ચે થયેલી વાતચીત બાદ લેવામાં આવ્યો છે. અમેરિકી નાણા મંત્રાલયે ઈરાની મૂળના ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના ઉત્પાદન, ડિલિવરી અને વેચાણ માટે અસ્થાયી સામાન્ય લાયસન્સ જાહેર કર્યું છે. આ છૂટ 21 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. તેનાથી ભારત સહિત ઘણા દેશો ફરીથી ઈરાની ઓઈલ ખરીદી શકશે. વાંચો સંપૂર્ણ સમાચાર…