જેલમાંથી બહાર આવતા જ રાજપાલ યાદવે ઇન્ડસ્ટ્રી પાસેથી કામ માંગ્યું:એક્ટરે કહ્યું- 'જે પણ ફી આપશો, તેમાં કામ કરવા તૈયાર છું'

Last Updated: February 18, 2026By

રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં 30 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ એક્ટરે બધાનો આભાર માન્યો. સાથે જ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી કામની અપીલ પણ કરી. તેણે કહ્યું કે, તેને ફરી એકવાર સારા રોલ આપીને તેનો સાથ આપવામાં આવે. ‘જે ફી આપશો, તે સ્વીકારીશ’ રાજપાલ યાદવે ‘ઇન્ડિયા ટીવી’ સાથેની વાતચીત દરમિયાન સૌપ્રથમ તેને મળેલા સમર્થન માટે લોકોનો આભાર માન્યો. તેણે કહ્યું, ‘તમારા સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. બાળકોથી લઈને અલગ-અલગ પેઢીના લોકો સુધી મને ભારતીય સિનેમામાં મારી આખી સફરમાં ખૂબ પ્રેમ મળ્યો છે અને હું તેના માટે બધાનો ખૂબ આભારી છું.’ રાજપાલ યાદવે કહ્યું, ‘મને ઇન્ડસ્ટ્રીમાં સારા રોલ્સની જરૂર છે. જે લોકોએ પહેલા મારી મદદ કરી છે, મારો સાથ આપ્યો છે, હું તેમને વિનંતી કરું છું કે તેઓ ફરી એકવાર તે રોલમાં મારી મદદ કરે, જે હું કરવા માંગુ છું. આ માટે તેઓ જે પણ ફી નક્કી કરશે, હું કામ કરવા તૈયાર છું.’ ‘હું દરેક આશીર્વાદને કારણે આગળ વધ્યો છું. હું તે લોકોનો આભાર માનું છું, જેમણે સોશિયલ મીડિયા પર મને સાથ આપ્યો અને હું તે લોકોનો પણ આભાર માનું છું જેમણે મારી નિંદા કરી.’ શા માટે જેલમાં બંધ હતો રાજપાલ યાદવ? વર્ષ 2010માં રાજપાલ યાદવે ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે પ્રાઇવેટ કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી અને રાજપાલ યાદવને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. રાજપાલ સમયસર લોનની રકમ ચૂકવી શક્યો નહીં. લોન લેતી વખતે રાજપાલે કંપનીને જે ચેક આપ્યા હતા, તે બાઉન્સ થઈ ગયા, જેના પછી એક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. બંને પક્ષો વચ્ચે સમાધાન છતાં સંપૂર્ણ ચુકવણી થઈ ન હતી અને સમય જતાં વ્યાજ ઉમેરાતું ગયું, જેના કારણે કુલ દેવું ઘણું વધી ગયું. વર્ષ 2018માં દિલ્હીની કડકડડૂમા કોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યો અને તેને છ મહિનાની જેલની સજા સંભળાવી. આ પછી તેણે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી, જ્યાં તેને ઘણી વખત રાહત મળી, કારણ કે તેણે ચુકવણી અને સમાધાનનું આશ્વાસન આપ્યું હતું. જોકે, ફેબ્રુઆરીની શરૂઆતમાં દિલ્હી હાઈકોર્ટે એક્ટરને અગાઉ આપવામાં આવેલી છૂટછાટો અને સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તેને 4 ફેબ્રુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પછી તેણે 5 ફેબ્રુઆરીના રોજ સાંજે લગભગ 4 વાગ્યે આત્મસમર્પણ કર્યું.