દુષ્કર્મી વિલનની ભૂમિકાએ રાજ બબ્બરને હીરો બનાવી દીધા!:સ્મિતા માટે પત્ની-બાળકોને તરછોડ્યા, તેમના જ દીકરાએ છેડો ફાડ્યો; શાહરુખ ખાનને મસ્તીખોર બનાવ્યો

Last Updated: June 22, 2026By

‘મહાભારત’ ટીવી સિરિયલ બનાવનાર બી.આર. ચોપરા તેના પહેલાં એક ફિલ્મ બનાવી રહ્યા હતા. નામ હતું ‘ઇન્સાફ કા તરાઝુ’. કોઈ પણ મોટો એક્ટર ફિલ્મમાં વિલન રમેશ ગુપ્તા બનવા તૈયાર નહોતો, જેને ઝીનત અમાન પર દુષ્કર્મ આચરતો બતાવવાનો હતો. દરેક એક્ટરને ડર હતો કે, આ ભૂમિકા તેની છબી બગાડી નાખશે. ત્યારે એક નવા એક્ટરે આ ભૂમિકા માટે હા પાડી દીધી. ફિલ્મ રિલીઝ થતા જ બ્લોકબસ્ટર બની ગઈ. તે નવા એક્ટરનો અભિનય એટલો દમદાર હતો કે, જ્યારે તે માતા સાથે ફિલ્મના પ્રીમિયર પર પહોંચ્યો, ત્યારે ફિલ્મ જોયા પછી દરેક વ્યક્તિ તેનાથી નફરત કરવા લાગી. રેપ સીનનો એવો પ્રભાવ પડ્યો કે, પ્રીમિયરમાં જ નારાજ લોકો મોઢા બગાડીને ગાળો આપવા લાગ્યા. આ બધું જોઈને માતા ત્યાં જ રડી પડ્યા અને કહ્યું, ‘બેટા, અમે ઓછું ખાઈશું, પણ આવા કામ ન કર.’ તે એક્ટર હતા, રાજ બબ્બર, જે આજે 74 વર્ષના થઈ ચૂક્યા છે. જન્મદિવસના ખાસ અવસરે જાણો તેમના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલા કેટલાક વણકહ્યા કિસ્સાઓ- ફિલ્મ જોઈને માતા નારાજ હતા, ખુશીના આંસુ સમજીને રાજે પગે લાગી લીધું રાજ બબ્બરનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમના દાદા અને પિતા બંને રેલવેમાં કામ કરતા હતા. પરિવારના વિભાજન પછી ઉત્તર પ્રદેશના આગ્રાના ટુંડલામાં આવીને વસ્યા હતા. બાળપણ ભાડાના મકાનોમાં વીત્યું. તેમણે આગ્રા કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો અને 1975માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી સ્નાતક થયા. NSDમાં મેથડ એક્ટિંગની તાલીમે તેમને સ્ટ્રીટ થિયેટરથી લઈને મોટા પડદા સુધીનો માર્ગ બતાવ્યો. ફિલ્મોમાં એક્ટિંગ કરવા મુંબઈ આવ્યા પછી શરૂઆતમાં તેમણે લગભગ 14 ફિલ્મોમાં ખૂબ નાના-નાના રોલ કર્યા હતા. તેમની પહેલી ફિલ્મ ‘શારદા’ હતી, જેમાં તેમનો ફક્ત એક ડાયલોગ હતો. તે જ સમયે, તેમને 1980માં બી.આર. ચોપરાની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાઝુ’થી મોટો બ્રેક મળ્યો. આમાં રાજ બબ્બરે રેપિસ્ટ રમેશ ગુપ્તાનો રોલ કર્યો. ફિલ્મમાં ઝીનત અમાન પર રેપનો સીન આજે પણ ચર્ચામાં છે. ફિલ્મના પ્રીમિયરમાં રાજ બબ્બર માતા સાથે દિલ્હી ગયા. તે વિવાદાસ્પદ રેપ સીન જોઈને માતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. રાજ બબ્બરે ટીવી શો ‘આપ કી અદાલત’માં જણાવ્યું હતું કે, ‘જ્યારે ફિલ્મનું પ્રીમિયર થયું, ત્યારે હું મારી માતા સાથે વિજ્ઞાન ભવન (દિલ્હી)માં તેને જોવા ગયો હતો. જ્યારે અમે ફિલ્મ જોઈને ઇન્ટરવલમાં બેઠા હતા, ત્યારે અમને કોઈએ ઓળખ્યા નહીં. અમે ફિલ્મ જોતા રહ્યા. ત્યારબાદ અંતમાં મને ખૂબ ગાળો પડી રહી હતી. ઇન્ટરવલમાં પણ દરેક માણસ મને ગાળો આપી રહ્યો હતો. ખાસ કરીને સ્ત્રીઓ ખૂબ ગાળો આપી રહી હતી.’ તેમણે આગળ કહ્યું હતું કે, ‘તો મારી માતાને ખૂબ ખરાબ લાગ્યું. જ્યારે અમે ટેક્સીમાં બેસી ગયા, ત્યારે મારી માતા રડવા લાગી. મને લાગ્યું કે ખુશીના આંસુ આવી રહ્યા છે કે, તેમના દીકરાએ ફિલ્મમાં કામ કર્યું છે. મેં ખુશીમાં માતાના પગ સ્પર્શ કર્યા. ત્યારે તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, ‘બેટા, અમે ઓછું ખાઈ લઈશું, પણ તું આવું કામ ન કર.’ એક્ટરે આગળ કહ્યું હતું કે, ‘ત્યારે મને લાગ્યું કે મારી ડ્રામા સ્કૂલની ટ્રેનિંગ અને મારી પૂરી મહેનત સફળ થઈ ગઈ. માતાના આ શબ્દોથી મને લાગ્યું કે મને સફળતા મળી ગઈ. મારી માતાએ પણ સમજ્યું કે હું આવું જ કામ કરું છું. જો હું આવું ન કરું, તો હું મારા તે રોલમાં સફળ ન થયો.’ રાજ બબ્બરનો ‘નિકાહ’ (1982)માં સલમા આગા અને દીપક પરાશર સાથેનો રોલ યાદગાર રહ્યો. ‘આજ કી આવાઝ’ (1984)માં સ્મિતા પાટીલ સાથે પ્રોફેસરનો રોલ, જ્યાં તેઓ વિજિલન્ટે બની જાય છે, તેણે તેમને વિવેચનાત્મક પ્રશંસા (ક્રિટિકલ એક્લેમ) અપાવી. આ રોલ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટરનું નોમિનેશન મળ્યું. રાજ બબ્બર પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં વિલનના રોલમાં જોવા મળ્યા. તેમાં ‘ઇન્સાફ કા તરાઝુ’ (1980), ‘સાજિશ’ (1988), ‘આંખેં’ (1993), ‘દલાલ’ (1993), ‘અંદાઝ’ (1994), ‘ધ ગેમ્બલર’ (1995), ‘યારાના’ (1995), ‘બરસાત’ (1995), ‘ઝિદ્દી’ (1997), ‘ગુંડાગર્દી’ (1997), ‘દાગ: ધ ફાયર’ (1999) અને ‘ઇન્ડિયન’ (2001) જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. મુસ્લિમ ગર્લફ્રેન્ડનો ધર્મ પરિવર્તન કરાવવાની પરિવારની માંગને ઘસીને ના પાડી દીધી રાજ બબ્બર અને નાદિરા ઝહીરની લવ સ્ટોરી રંગમંચથી શરૂ થઈને જીવનની મુશ્કેલ પરીક્ષાઓ સુધી પહોંચી. દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં થયેલી પહેલી મુલાકાત ધીમે ધીમે ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ. તે સમયે નાદિરા, રાજ બબ્બરની સિનિયર હતા અને નાટકોનું ડિરેક્શન કરતા હતાં. નાદિરાએ લખેલા એક નાટકમાં રાજ બબ્બરે અભિનય કર્યો હતો. નાદિરા, રાજ બબ્બરથી ચાર વર્ષ મોટા હતાં અને મુસ્લિમ પરિવારમાંથી હતાં, જ્યારે રાજ પંજાબી હિંદુ હતા. લગ્ન પહેલા પરિવાર તરફથી નાદિરાનું નામ અને ધર્મ બદલવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રાજ બબ્બરે સ્પષ્ટ કહી દીધું, ‘નાદિરા છે, તો નાદિરા જ રહેશે.’ તેમણે ન તો ધર્મ પરિવર્તન કરાવ્યું અને ન તો નામ બદલ્યું. આ નિર્ણયમાં રાજ બબ્બરના પિતાએ પણ તેમને પૂરો સાથ આપ્યો હતો. ત્યારબાદ બંનેએ કોઈ પણ ધર્મ પરિવર્તન કર્યા વિના ગુરુદ્વારામાં આનંદ કારજ વિધિ હેઠળ લગ્ન કર્યાં હતાં. વર્ષ 1975માં બંનેએ પ્રેમ લગ્ન કર્યાં અને આ લગ્નથી તેમને બે બાળકો, દીકરી જૂહી અને દીકરો આર્ય, થયા. સ્મિતા પાટીલ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતા ‘ભીગી પલકે’ ફિલ્મમાં કામ કરતી વખતે, રાજ બબ્બર એક્ટ્રેસ સ્મિતા પાટીલ સાથે પ્રેમમાં પડી ગયા. એવું કહેવાય છે કે સ્મિતા પાટીલ સાથે કામ કરવા માટે રાજ બબ્બર પોતાની ફી અડધી ઘટાડી દેતા હતા. બંને વચ્ચે પ્રેમ એટલો બધો વધી ગયો કે તેઓ સમાજની ચિંતા કર્યા વિના લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા. આ વાતની ઘણી ટીકા થઈ અને થોડા સમય પછી તેમણે લગ્ન કરી લીધા. સ્મિતા પાટીલ જાણતા હતા કે રાજ બબ્બર પહેલાથી જ પરિણીત છે અને બે બાળકોના પિતા છે. સ્મિતા પાટીલની બાયોગ્રાફીમાં, લેખિકા મૈથિલી રાવે લખ્યું છે કે- ‘સ્મિતા પાટીલ એ જાણ્યા પછી પણ પાછળ હટી શકતી ન હતી કે તેમના પ્રેમને કારણે કોઈનું ઘર બરબાદ થઈ રહ્યું છે.’ દીકરાએ લગ્નમાં રાજ બબ્બરને ન બોલાવ્યા રાજ બબ્બર અને સ્મિતા પાટીલના દીકરા પ્રતીકના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઘણી અંતર આવી ગયું છે. જ્યારે સ્મિતા પાટીલનું નિધન થયું, ત્યારે પ્રતીક ફક્ત 15 દિવસનો હતો. જેના પછી પ્રતીકનું પાલન-પોષણ તેમના નાના-નાનીએ કર્યું. ફેબ્રુઆરી 2025માં પ્રતીકે એક્ટ્રેસ પ્રિયા બેનર્જી સાથે બીજા લગ્ન કર્યા, પરંતુ આ પ્રસંગે તેણે પિતા રાજ બબ્બર અને સાવકા ભાઈ-બહેનોને આમંત્રણ ન આપ્યું. એટલું જ નહીં, તેણે પોતાના નામમાંથી ‘બબ્બર’ સરનેમ હટાવીને સત્તાવાર રીતે ‘પ્રતીક સ્મિતા પાટીલ’ કરી લીધું. તાજેતરમાં રાજ બબ્બરની પહેલી પત્નીના દીકરા આર્યએ બીજી પત્નીના દીકરા પ્રતીક પર આરોપ લગાવ્યો કે, તેણે પોતાના પિતાની સંપત્તિ અને પૈસાનો ફાયદો ઉઠાવ્યો. વિકી લાલવાણી સાથેની વાતચીતમાં આર્યએ કહ્યું, ‘અમને સમજાયું જ નહીં કે પોતાની પૂર્વ પત્નીથી છૂટાછેડાનો મામલો ઉકેલાતા જ તેણે અચાનક અમારો સંપર્ક કરવાનું કેમ બંધ કરી દીધું. મેં તેને ઘણા મેસેજ કર્યા, ઘણી વાર ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.’ આર્યએ કહ્યું, ‘જ્યારે તારું (પ્રતીક) કરિયર સારું ચાલી રહ્યું ન હોય અને ગુજરાન ચલાવવા માટે પપ્પા પાસેથી ખિસ્સા ખર્ચ જોઈતો હોય, ત્યારે તે તારા પિતા હોય છે. જ્યારે તારે તે ઘરમાં રહેવું હોય, જે તારા પિતાએ સ્મિતા મા માટે ખરીદ્યું હતું, ત્યારે પણ તે તારા પિતા હોય છે. જ્યારે તારે બધા ફાયદા જોઈતા હોય છે, ત્યારે પણ તે તારા પિતા હોય છે, પરંતુ જ્યારે સમાજ સામે તેમને પોતાના પિતા માનવાની અને સન્માન આપવાની વાત આવે છે, ત્યારે તે તારા પિતા નથી રહેતા!’ તેણે એમ પણ કહ્યું કે, ‘એ બહુ દુઃખદ છે કે જે સ્મિતા મા માટે મારા પિતાએ પોતાનો પરિવાર છોડ્યો હતો, આજે એ જ સ્મિતા માનો દીકરો તેમને પોતાના પિતા માનવા તૈયાર નથી.’ શાહરૂખે રાજ બબ્બરને પૂછ્યો હતો મજેદાર પ્રશ્ન શાહરૂખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ ખાન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ની કેન્ટીન ચલાવતા હતા, જ્યાં બાળપણમાં સ્કૂલ પછી શાહરૂખ કલાકો વિતાવતો હતો. ત્યાં જ તેની મુલાકાત રાજ બબ્બર સાથે પણ થતી હતી. રાજ બબ્બર NSDના 1975 બેચના વિદ્યાર્થી હતા. શાહરૂખ રાજ બબ્બરને પ્રેમથી ‘બબ્બર શેર અંકલ’ કહીને બોલાવતો હતો. ‘આપ કી અદાલત’માં શાહરૂખે મજાકમાં કહ્યું હતું કે, ‘રાજ બબ્બર પાસેથી મેં તોફાન કરવાનું પણ શીખ્યું હતું.’ એક કિસ્સો જણાવતા તેણે કહ્યું હતું કે, ‘એક પ્લેમાં કિસિંગ સીન હતો. તેઓ મોટા રિયલ લાઇફ પ્લે હતા. તો રોહિણીજી (રોહિણી હટ્ટંગડી) સાથે તેમનો (રાજ બબ્બર) કિસિંગ સીન હતો. તો મેં એક દિવસ તેમને કહ્યું, ‘અંકલ, અંકલ, તમે ખરેખર તેમને કિસ કરો છો?’ તો તેમણે મને કહ્યું કે, ‘બેટા, જઈને આંટીને પૂછી લે. તે તને જણાવશે.’ શાહરૂખે આગળ કહ્યું હતું કે, ‘તેમણે મને ઘણો પ્રેમ કર્યો. હું એમ નથી કહી રહ્યો કે તેમણે મને બદમાશી શીખવી, પણ મને ખૂબ પ્રેમ કર્યો.’ સલમાને સરપ્રાઈઝમાં લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી સલમાન ખાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’માં રાજ બબ્બરે કરીના કપૂરના પિતાનો રોલ કર્યો હતો. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના રિપોર્ટ અનુસાર, તેમણે આ રોલ માટે સલમાન ખાન પાસેથી કોઈ ફી પણ લીધી ન હતી. જોકે, શૂટિંગ પૂરી થવાના છેલ્લા દિવસે સલમાને રાજ બબ્બરને જાણ કર્યા વિના એક લક્ઝરી કાર ગિફ્ટ કરી દીધી. સલમાનની આ સરપ્રાઈઝ અને ઉદારતાથી રાજ બબ્બર એટલા ભાવુક થઈ ગયા કે તેમની આંખોમાં આંસુ આવી ગયા.