નવો લુક, નવો અંદાજ!:ઇંગ્લેન્ડ સિરીઝ પછી બદલાયેલો દેખાયો રોહિત શર્મા, રવિ શાસ્ત્રીએ તસવીર શેર કરી

Last Updated: July 31, 2026By

ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા લંડનમાં સમય વિતાવી રહ્યો છે. લંડનમાં રોહિત શર્માની મુલાકાત ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે થઈ, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. રવિ શાસ્ત્રીએ પોતાના X એકાઉન્ટ પર રોહિત શર્મા સાથેનો ફોટો શેર કર્યો છે. તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. શાસ્ત્રીએ રોહિતના ખભા પર હાથ રાખ્યો છે અને તેની તરફ ઈશારો કરીને હસી રહ્યા છે. તો બીજી તરફ, રોહિત પહેલાં કરતાં બિલકુલ અલગ અંદાજમાં જોવા મળ્યો. તસવીરમાં રોહિત શર્મા ક્લીન શેવ લુકમાં નજરે પડ્યો. તેણે કાળા રંગની સ્ટાઇલિશ હાફ સ્લીવ શર્ટ પહેરેલી હતી, જેના પર સફેદ જિયોમેટ્રિક ડિઝાઇન બનેલી હતી. આ સાથે તેણે બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. તેનો આ નવો અવતાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફોટો શેર કરતાં રવિ શાસ્ત્રીએ લખ્યું, “લંડનની સફર દરમિયાન રિલેક્સ્ડ ‘શર્મા’ને મળીને ખૂબ સારું લાગ્યું.” લોર્ડ્સમાં સદી ફટકારી, ટીકાકારોને જવાબ આપ્યો ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝની શરૂઆત રોહિત માટે સારી રહી ન હતી. પહેલી બે મેચમાં તે માત્ર 11 અને 26 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ તેની નિવૃત્તિને લઈને અટકળો તેજ થઈ ગઈ હતી. અનેક રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોર્ડ્સ વન-ડે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે. જોકે, BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે રોહિત ટીમ ઈન્ડિયાની ભવિષ્યની યોજનાઓનો મહત્વનો હિસ્સો છે. ત્યારબાદ રોહિત શર્માએ આલોચકોને પોતાના બેટથી જવાબ આપ્યો. લોર્ડ્સ વન-ડેમાં તેણે માત્ર 110 બોલમાં 138 રનની શાનદાર ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 17 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. ભારત ભલે મેચ હારી ગયું, પરંતુ રોહિતે એ મેસેજ જરૂર આપી દીધો કે તેનામાં હજુ પણ મેચનું પાસું પલટવાની ક્ષમતા છે. રોહિત શર્મા હવે સપ્ટેમ્બરના અંતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ત્રણ મેચની હોમ વન-ડે સિરીઝથી મેદાન પર કમબેક કરી શકે છે. 2027 વન-ડે વર્લ્ડ કપને જોતાં આ સિરીઝ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Leave A Comment