નેતન્યાહૂએ કહ્યું-ગાઝામાં અમેરિકાના કારણે આપણા સૈનિકો મર્યા:બાઇડન પર હથિયારોનો પુરવઠો રોકવાનો આરોપ લગાવ્યો, કહ્યું- હવે પોતાની હથિયાર ઇન્ડસ્ટ્રી બનાવીશું

Last Updated: January 28, 2026By

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાના કારણે ઇઝરાયલના ઘણા સૈનિકો માર્યા ગયા. ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, તેમણે કહ્યું કે હમાસ વિરુદ્ધ ગાઝા યુદ્ધ દરમિયાન હથિયારો અને ગોળા-બારૂદનો પુરવઠો રોકી દેવામાં આવ્યો હતો. નેતન્યાહૂએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઇઝરાયલ પાસે જરૂરી ગોળા-બારૂદ ખતમ થઈ ગયો હતો, આ કારણે કેટલાક સૈનિકોના જીવ ગયા. જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે આ કારણે કેટલા સૈનિકોના મોત થયા. ઇઝરાયલી પીએમએ સીધા જ પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનનું નામ લીધું ન હતું, પરંતુ કહ્યું કે આ હથિયારો પરનો પ્રતિબંધ ત્યારે સમાપ્ત થયો જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા. તેમના મતે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ ઇઝરાયલને ફરીથી હથિયારો મળવા લાગ્યા. નેતન્યાહૂએ કહ્યું કે વિદેશી સૈન્ય સહાયતા પર નિર્ભરતા ઘટાડવા માટે તેઓ એક મજબૂત અને સ્વતંત્ર ઘરેલું હથિયાર ઉદ્યોગ બનાવશે. નેતન્યાહૂ અમેરિકી સહાયતા પર નિર્ભરતા ઘટાડવા માગે છે નેતન્યાહૂએ કહ્યું કે યુદ્ધમાં સૈનિકોનું મૃત્યુ સામાન્ય બાબત છે, પરંતુ સાથે જ એવો પણ તર્ક આપ્યો કે કેટલીક મોતોને ટાળી શકાઈ હોત. નેતન્યાહૂએ જણાવ્યું કે દારૂગોળાની અછતને કારણે સૈનિકોને ઘરોમાં ઘૂસીને લડવું પડ્યું અને ઘણા સૈનિકો માર્યા ગયા. નેતન્યાહૂએ ભારપૂર્વક કહ્યું કે તેમણે નિર્ણય કર્યો છે કે આવું ફરી ક્યારેય થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આગામી દાયકાની અંદર ઇઝરાયલ અમેરિકી સહાયતા પર નિર્ભરતા ઘટાડે. નેતન્યાહૂએ ઇઝરાયલ-અમેરિકા સંબંધને સહાયતામાંથી ભાગીદારીમાં બદલવાની વાત કરી, જેમાં ઇઝરાયલમાં વિકાસ શામેલ હોય. તેમણે આગળ કહ્યું કે આ પ્રકારનો સહયોગ ભારત અને જર્મની સહિત અન્ય સહયોગી દેશો સુધી પણ વધારી શકાય છે. તેમનો લક્ષ્ય હથિયારોના ક્ષેત્રમાં મહત્તમ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો છે, જેથી ક્યારેય હથિયારો કે ગોળા-બારૂદની અછત ન થાય. નેતન્યાહૂ બોલ્યા- હવે ઇઝરાયલ પાસે બે ઉદ્દેશ્ય નેતન્યાહૂએ કહ્યું કે ગાઝામાંથી છેલ્લા બંધકની વાપસી પછી હવે ઇઝરાયલનું સંપૂર્ણ ધ્યાન હમાસ પાસેથી હથિયારો છીનવી લેવા અને ગાઝાને સંપૂર્ણપણે ખાલી કરવા પર છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ બંને ઉદ્દેશ્ય પૂરા ન થાય ત્યાં સુધી ગાઝામાં કોઈપણ પ્રકારનું પુનર્નિર્માણ થવા દેવામાં આવશે નહીં. નેતન્યાહૂએ કહ્યું કે હવે ઇઝરાયલ સામે બે જ કામ બાકી છે. હમાસને હથિયારોથી મુક્ત કરવું અને ગાઝાને સુરંગો તથા હથિયારોથી ખાલી કરવું. તેમણે ચેતવણી આપતા કહ્યું કે આ કામ સરળ રીતે થાય કે કડક રીતે, પરંતુ થશે જરૂર. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે ગાઝામાં વિકાસનું કામ પહેલા શરૂ થઈ શકે છે, પરંતુ આવું બિલકુલ નહીં થાય. નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણી વાર કહી ચૂક્યા છે કે ગાઝાને ફરીથી નવેસરથી પુનર્ગઠિત અને વિકસિત કરવો જોઈએ, જેથી ત્યાંથી હિંસા અને આતંકવાદના મૂળિયાં ખતમ થાય. ટ્રમ્પનું માનવું રહ્યું છે કે જો ગાઝામાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા સાથે નવું માળખું ઊભું કરવામાં આવે અને કટ્ટરપંથી સંગઠનોનો સંપૂર્ણપણે સફાયો થાય, તો જ ત્યાં કાયમી શાંતિ શક્ય છે. નેતન્યાહૂ બોલ્યા- અલગ પેલેસ્ટાઈન કોઈ પણ સંજોગોમાં નહીં બને નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે એક અલગ પેલેસ્ટાઈની દેશ બનવાની કોઈ શક્યતા નથી અને ન તો આવું થવા દેવામાં આવશે. તેમણે કહ્યું કે ઇઝરાયલ ગાઝા અને કબજા હેઠળના વેસ્ટ બેંક બંને પર નિયંત્રણ જાળવી રાખશે, ભલે બાકીના દેશો એક અલગ પેલેસ્ટાઈનને માન્યતા આપતા રહે. નેતન્યાહૂએ કહ્યું કે ટુ સ્ટેટ સોલ્યુશન (દ્વિ રાષ્ટ્ર સમાધાન) ને લાગુ થવાથી તેમણે વારંવાર રોક્યું છે. નેતન્યાહૂએ પુનરોચ્ચાર કર્યો કે ઇઝરાયલ જોર્ડન નદીથી લઈને સમુદ્ર સુધી નિયંત્રણ જાળવી રાખશે. તેમણે ઈરાનને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના તાજેતરના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો. અમેરિકાએ આ વિસ્તારમાં પોતાનું એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ તૈનાત કર્યું છે. નેતન્યાહુએ કહ્યું કે ટ્રમ્પ પોતાનો નિર્ણય પોતે લેશે અને ઈઝરાયેલ પોતાનો. પરંતુ જો ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની મોટી ભૂલ કરી, તો ઈઝરાયેલ એવો જવાબ આપશે, જેવો ઈરાને પહેલા ક્યારેય જોયો નહીં હોય.