પાકિસ્તાનનું કાર્ગો પ્લેન કરાચી નજીક ગુમ થયું:નેવિગેશન સિસ્ટમમાં ખામી સર્જાઈ, 5 ક્રૂ મેમ્બર સવાર હતા, અરબી સમુદ્રમાં સર્ચ ઓપરેશન ચાલુ
પાકિસ્તાનનું એક કાર્ગો વિમાન મંગળવારે રાત્રે કરાચી પહોંચતા પહેલા ગુમ થઈ ગયું. વિમાન શારજાહથી કરાચી આવી રહ્યું હતું અને તેમાં 5 ક્રૂ મેમ્બર સવાર હતા. પાકિસ્તાન એરપોર્ટ્સ ઓથોરિટી (PAA) અનુસાર, રાત્રે 9:18 વાગ્યે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને નેવિગેશન સિસ્ટમમાં ખામી હોવાની જાણકારી આપી. કંટ્રોલ રૂમે વિમાનને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ લગભગ ત્રણ મિનિટ પછી તેનો સંપર્ક તૂટી ગયો. છેલ્લીવાર વિમાન કરાચીથી 155 નોટિકલ માઈલ (287 કિમી) પશ્ચિમમાં ટ્રેક કરવામાં આવ્યું હતું. વિમાન ગુમ થયા બાદ અરબી સમુદ્રમાં મોટા પાયે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન નેવી, એરફોર્સ અને અન્ય એજન્સીઓ શોધ અભિયાનમાં લાગી છે. અધિકારીઓએ હજુ સુધી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની કે કોઈ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ કરી નથી. વિમાન ગુમ થવાની લોકેશન… અકસ્માતનું કારણ હાલ સ્પષ્ટ નથી PAA એ જણાવ્યું છે કે વિમાન ગુમ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિમાન અને તેમાં સવાર 5 ક્રૂ મેમ્બરોની સ્થિતિ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ફ્લાઇટ રડાર 24 ના પ્રારંભિક ડેટા અનુસાર, છેલ્લી ઘડીએ વિમાને પહેલા ઊંચાઈ ગુમાવી, પછી થોડું ઉપર ગયું અને ત્યારબાદ અચાનક ઝડપથી નીચે આવ્યું. પ્રારંભિક અનુમાન છે કે વિમાન અરબી સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હોઈ શકે છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. સ્થાનિક મીડિયા અનુસાર, વિમાન બલુચિસ્તાનના ઓરમરા તટ નજીક ગુમ થયું. જ્યારે, K2 Airways એ જણાવ્યું છે કે તે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી અને અન્ય સરકારી એજન્સીઓ સાથે તપાસ અને સર્ચ ઓપરેશનમાં સંપૂર્ણ સહયોગ કરી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

