પાકિસ્તાની PM બોલ્યા- કાશ્મીર PAKનો હિસ્સો બનશે:કાશ્મીરીઓ સાથે મજબૂતીથી ઊભા છીએ, આ વિસ્તાર પાકિસ્તાનની લાઇફલાઇન છે

Last Updated: February 6, 2026By

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે PoKમાં કાશ્મીરને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મુઝફ્ફરાબાદમાં વિધાનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, ‘કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે.’ શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓની સાથે મજબૂતીથી ઊભું છે અને જમ્મુ-કાશ્મીર વિવાદનો ઉકેલ કાશ્મીરના લોકોની ઈચ્છા મુજબ થવો જોઈએ. શાહબાઝે કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવોને લાગુ કરવાથી જ થઈ શકે છે. તેમણે કહ્યું, ‘હું પાકિસ્તાની લોકો અને પાકિસ્તાની નેતૃત્વ વતી કાશ્મીરના મારા ભાઈઓ સાથે એકતા દર્શાવવા આવ્યો છું.’ તેમણે કહ્યું કે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ આ ક્ષેત્રને પાકિસ્તાનની લાઇફ લાઇન ગણાવ્યું હતું. શાહબાઝ બોલ્યા- અમે શાંતિ ઇચ્છીએ છીએ, જે ન્યાયના આધારે જ શક્ય છે શાહબાઝે એમ પણ કહ્યું કે પાકિસ્તાન ક્ષેત્રમાં શાંતિ ઇચ્છે છે, પરંતુ આ શાંતિ સમાનતા અને ન્યાયના આધારે જ શક્ય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં કાશ્મીર એકતા દિવસ (કાશ્મીર સોલિડેરિટી ડે) મનાવવામાં આવ્યો. આમાં રેલીઓ, પ્રદર્શનો અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ રન રેડિયો પાકિસ્તાને જણાવ્યું કે સંઘર્ષમાં જીવ ગુમાવનારાઓની યાદમાં સવારે 10 વાગ્યે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું. લોકો બેનરો અને પ્લેકાર્ડ લઈને આવ્યા હતા. ભારતે પાકિસ્તાનના દાવાઓને સતત નકારી કાઢ્યા છે. નવી દિલ્હીનું સ્પષ્ટ કહેવું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ હતા, છે અને હંમેશા રહેશે. શહબાઝ બોલ્યા- કાશ્મીરનો મુદ્દો અમારી ફોરેન પોલિસીનો પાયો છે શહબાઝ શરીફે કહ્યું કે કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનની ફોરેન પોલિસીનો આધાર છે. શહબાઝે ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા ચાર દિવસીય સૈન્ય સંઘર્ષને પણ યાદ કર્યો. તેમણે દાવો કર્યો કે આ સંઘર્ષ પછી કાશ્મીર મુદ્દો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પૂરી તાકાત સાથે ઉઠાવવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત હવે પ્રોક્સી દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાન મિલિટન્ટ ગ્રુપ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ને ભારતનું સમર્થન મળવાનો દાવો કરે છે, જ્યારે ભારત આવા આરોપોને હંમેશા નકારતું રહ્યું છે. પાકિસ્તાની PMએ કાશ્મીરને પેલેસ્ટાઈન સાથે જોડ્યું શાહબાઝે સભામાં કહ્યું કે કાશ્મીરની લડાઈ પેલેસ્ટાઈન જેવી છે. તેમણે બંને મુદ્દાઓને ન્યાય અને આત્મનિર્ણયની લડાઈ ગણાવી. પાકિસ્તાની PMએ અલગતાવાદી અને ઉગ્રવાદી આંદોલનો સાથે સંકળાયેલા ઘણા લોકોનો પણ ઉલ્લેખ કર્યો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ એક નિવેદન જારી કરીને કાશ્મીરીઓ માટે પાકિસ્તાનના નૈતિક, રાજદ્વારી અને રાજકીય સમર્થનની વાત દોહરાવી. તેમણે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દો ઉઠાવતો રહેશે. ભારત વિરુદ્ધ જીતનો દાવો કરી ચૂકેલા પાકિસ્તાની PM શહબાઝ શરીફે સપ્ટેમ્બર 2025માં UNમાં ભારતને દુશ્મન ગણાવતા દાવો કર્યો હતો કે ભારત સાથેના સંઘર્ષમાં પાકિસ્તાનની જીત થઈ હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને સંઘર્ષ દરમિયાન ભારતના 7 વિમાન તોડી પાડ્યા હતા. શહબાઝે કહ્યું કે તેમણે પહેલગામ હુમલાની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની અપીલ કરી હતી, પરંતુ ભારતે તે પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને તે દુર્ઘટનાનો રાજકીય ફાયદો ઉઠાવ્યો. ભારતનું કટ્ટરપંથી હિંદુત્વ દુનિયા માટે એક ગંભીર ખતરો છે. શરીફે કહ્યું કે તેઓ ગયા વર્ષે જ UNના મંચ પરથી ચેતવણી આપી ચૂક્યા હતા કે પાકિસ્તાન કોઈ બાહ્ય હુમલાને સહન કરશે નહીં. તેમણે કહ્યું કે તેમની ચેતવણી સાચી સાબિત થઈ. આ વર્ષે મે મહિનામાં કોઈ ઉશ્કેરણી વિના પાકિસ્તાન પર હુમલો થયો. પાકિસ્તાની PM બોલ્યા હતા- દુશ્મન એક ટીપું પણ પાણી છીનવી શકતો નથી શહબાઝ શરીફે ઓક્ટોબર 2025માં સિંધુ જળ સંધિને સ્થગિત કરવા પર ભારતને ધમકી આપી હતી. શરીફે કહ્યું- દુશ્મન પાકિસ્તાન પાસેથી એક ટીપું પાણી પણ છીનવી શકશે નહીં. તમે અમને પાણી રોકવાની ધમકી આપી. જો આવું કરવાનો પ્રયાસ કર્યો તો પાકિસ્તાન તમને એવો પાઠ ભણાવશે, જેને તમે આખી જીંદગી ભૂલી શકશો નહીં. શરીફે કહ્યું કે જો ભારત પાકિસ્તાન તરફ વહેતું પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તે સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન હશે. તેમણે ધમકી આપતા કહ્યું કે તેનો જવાબ નિર્ણાયક રીતે આપવામાં આવશે. પાકિસ્તાની પીએમએ આગળ કહ્યું કે પાણી પાકિસ્તાનની લાઇફલાઇન છે અને આંતરરાષ્ટ્રીય કરારો હેઠળ દેશના અધિકારો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ભારતે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાં તબાહ કર્યા હતા 7 મે, 2025ના રોજ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં હાજર 9 આતંકી ઠેકાણાં પર સચોટ સૈન્ય હુમલા કર્યા હતા. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 લોકોના જીવ ગયા હતા. ભારતીય સેનાએ આ ઓપરેશનમાં સવાઈ નાલા, સરજાળ, મુરીદકે, કોટલી, કોટલી ગુલપુર, મેહમુના જોયા, ભિમ્બર અને બહાવલપુર જેવા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આમાંથી મુરીદકે, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું મુખ્યાલય પણ હતું. આ ઓપરેશનમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ હતી.