પૂર્વ પત્ની ધનશ્રી વર્મા સાથે દેખાશે ચહલ?:રિયાલિટી શો 'ધ 50'માં ક્રિકેટરના સામેલ થવાની ચર્ચાએ જોર પકડ્યું, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી આખી વાત પર પ્રકાશ પાડ્યો

Last Updated: January 14, 2026By

યુઝવેન્દ્ર ચહલ અને તેની પૂર્વ પત્ની ધનશ્રી વર્માના એક આગામી રિયાલિટી શોમાં સાથે જોવા મળવાની અટકળો પર હવે ખુદ ક્રિકેટરે પૂર્ણવિરામ મૂકી દીધું છે. તાજેતરમાં સમાચાર હતા કે ચહલ રિયાલિટી શો ‘ધ 50’ માં ભાગ લઈ શકે છે અને શોમાં તે ધનશ્રી સાથે જોવા મળી શકે છે. જોકે યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ તમામ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. આ સમગ્ર મામલે ક્રિકેટર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં લખવામાં આવ્યું હતું કે, “આ સમયે યુઝવેન્દ્ર ચહલના કોઈપણ રિયાલિટી શોમાં સામેલ થવાને લઈને જે સમાચાર ફેલાઈ રહ્યા છે, તેમાં કોઈ સત્યતા નથી. આ તમામ દાવાઓ માત્ર અટકળો છે અને ખોટા છે. તાજેતરના અહેવાલોમાં જણાવેલ કોઈપણ શો સાથે યુઝવેન્દ્રનો કોઈ સંબંધ નથી અને આ પ્રકારની કોઈ વાતચીત કે પ્રતિબદ્ધતા પણ થઈ નથી. અમે મીડિયા પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરીએ છીએ કે પુષ્ટિ વગરની માહિતી શેર ન કરે.” જ્યારે ધનશ્રી વર્માએ અત્યાર સુધી આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. રિયાલિટી શો ‘ધ 50’નું પ્રીમિયર 1 ફેબ્રુઆરીએ થવાનું છે, જેને ફિલ્મમેકર ફરાહ ખાન હોસ્ટ કરશે. ફરાહના મતે, આ શો ભારતીય રિયાલિટી ટીવીના પરંપરાગત ફોર્મેટથી અલગ હશે. ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020માં ગુરુગ્રામમાં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત કોવિડ-19 મહામારી દરમિયાન થઈ હતી, જ્યારે ચહલે ધનશ્રી પાસેથી ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું. જોકે જૂન 2022માં બંને અલગ થઈ ગયા અને માર્ચ 2024માં તેમના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી ચહલનું નામ RJ મહવશ સાથે જોવા મળ્યા બાદ ચર્ચામાં આવ્યું હતું, જોકે મહવશ અને ચહલે હંમેશાં એકબીજાને માત્ર સારા મિત્રો ગણાવ્યા છે. બીજી તરફ, ધનશ્રી તાજેતરમાં રિયાલિટી શો રાઇઝ એન્ડ ફોલની પ્રથમ સિઝનમાં જોવા મળી હતી.