પેટ્રોલ-ડીઝલ અને એટીએફની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો:નિકાસ સંતુલિત કરવા માટેનો નિર્ણય, દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર કોઈ અસર નહીં

Last Updated: August 3, 2026By

સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ નવા દરો 3 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે. સરકાર દર 15 દિવસે આ દરોની સમીક્ષા કરે છે. સરકારે ડીઝલની નિકાસ એટલે કે એક્સપોર્ટ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે SAEDને 15.5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 25.5 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. જ્યારે, ATF એટલે કે જેટ ફ્યુઅલની નિકાસ પરની ડ્યુટીને 14.5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 22 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. પેટ્રોલની નિકાસ પર પણ ડ્યુટી વધારવામાં આવી છે, જે હવે 2.5 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 3.5 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ભારતમાં ઓઈલની અછત ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘરેલું વપરાશ માટેના દરોમાં કોઈ ફેરફાર નહીં નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગુ પડતા વર્તમાન ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે સરકારે 27 માર્ચે ડીઝલ અને ATFની નિકાસ પર આ ટેક્સ લગાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 16 મેથી પેટ્રોલની નિકાસ પર પણ આ લેવી લાગુ કરવામાં આવી હતી. આ ટેક્સ શા માટે લગાવવામાં આવ્યો છે? વિન્ડફોલ ટેક્સ લાદવાનો મુખ્ય હેતુ દેશમાં ઇંધણની ઉપલબ્ધતા વધારવાનો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આવી સ્થિતિમાં, નિકાસકારો ભાવના તફાવતનો લાભ ન ​​ઉઠાવી શકે અને સ્થાનિક બજારમાં ઇંધણની અછત ન થાય, તે સુનિશ્ચિત કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

Leave A Comment