'મને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે':મુકેશ ખન્નાએ કહ્યું- રણવીર સિંહને 'શક્તિમાન' નહીં બનવા દઉં, નવા ચહેરા માટે દેશભરમાં ઓડિશન લઈશ

Last Updated: April 20, 2026By

એક્ટર મુકેશ ખન્નાએ કહ્યું છે કે તે રણવીર સિંહને ‘શક્તિમાન’ના રોલમાં કાસ્ટ કરવાના પક્ષમાં નથી. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે શક્તિમાન માટે નવો ચહેરો પસંદ કરવામાં આવે, જેમાં તે જ છબી અને સાદગીની ઝલક હોય. આ માટે એક્ટર દેશભરમાં ઓડિશન લેવા તૈયાર છે. મુકેશ ખન્નાએ ઝૂમને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે આજના સમયમાં બાળકોને પહેલા કરતા ક્યાંય વધુ શક્તિમાનની જરૂર છે. તેના મતે, 1997ની પેઢીને જે રીતે આ પાત્રે સાચો રસ્તો બતાવ્યો હતો, તેના કરતાં ક્યાંય વધુ જરૂર આજે 2026ના બાળકોને છે. એક્ટરે કહ્યું કે લોકોમાં એક ગેરસમજ ફેલાઈ ગઈ છે કે તે એટલા માટે ના પાડી રહ્યા છે કારણ કે પોતે ફરીથી શક્તિમાન બનવા માંગે છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે પહેલાથી જ શક્તિમાન બની ચૂક્યા છે, હવે તેનું કામ આ પાત્રને આગળ વધારવાનું છે.
રણવીરની એક્ટિંગના વખાણ પણ કર્યા મુકેશ ખન્નાએ રણવીર સિંહની એક્ટિંગના વખાણ કરતા કહ્યું કે તે શાનદાર એક્ટર છે અને અલગ-અલગ પાત્રો ભજવવાની ક્ષમતા ધરાવે છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે શક્તિમાનનું પાત્ર માત્ર એક્ટિંગથી નહીં, પરંતુ પર્સનાલિટી અને ઇમેજ સાથે પણ જોડાયેલું છે. તેણે કહ્યું કે તેને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. શોને લઈને સોની તેને કરોડો રૂપિયા આપવા તૈયાર છે, પરંતુ તે કાસ્ટના કારણે સંમતિ નથી આપી રહ્યા. તે કોઈ મોટા સ્ટારને બદલે નવા ચહેરાને તક આપવા માંગે છે, જેના માટે તે આખા દેશમાં ઓડિશન લેવા પણ તૈયાર છે. તેણે એમ પણ કહ્યું કે પહેલેથી સ્થાપિત છબી ધરાવતા અભિનેતાઓ શક્તિમાન જેવા પાત્ર માટે યોગ્ય નથી, કારણ કે આ ભૂમિકામાં સાદગી અને નૈતિકતાની અલગ ઓળખ જોઈએ છે.