મનોજ મુન્તશિરે જંતર-મંતરના પ્રદર્શનકારીઓને દેશદ્રોહી ગણાવ્યા:કહ્યું- ત્યાં 'ભારત તેરે ટુકડે હોંગે' ગેંગ, હું સામેલ થવા નહીં જાઉં; સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા
ફિલ્મ ‘આદિપુરુષ’ના ડાયલોગ રાઈટર અને ગીતકાર મનોજ મુન્તશિર પોતાના એક નિવેદન પછી સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર આવી ગયા છે. દિલ્હીમાં NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનને લઈને મનોજ મુન્તશિરે એક ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનકારીઓને ‘દેશદ્રોહી’ ગણાવ્યા. તેમણે કહ્યું કે તે પૂરી જવાબદારી સાથે આ વાત કહી રહ્યા છે અને તેઓ ક્યારેય જંતર-મંતર નહીં જાય. જોકે, આ જ ઇન્ટરવ્યુમાં તેમણે NEET પેપર લીક મામલે સરકાર અને પ્રશાસનની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતા યુવાનોને સમર્થન પણ આપ્યું હતું. જંતર-મંતરના પ્રદર્શન પર શું બોલ્યા મનોજ મુન્તશિર ‘ટાઈમ્સ નાઉ નવભારત’ સાથેની વાતચીતમાં 50 વર્ષીય ગીતકાર મનોજ મુન્તશિરે સ્પષ્ટ કર્યું કે તેઓ ક્યારેય જંતર-મંતર નહીં જાય. તેમણે કહ્યું, “હું જંતર-મંતર એટલા માટે નહીં જાઉં કારણ કે આ સમયે ત્યાંનું પ્રતિનિધિત્વ કરનારા લોકો એવા નથી, જેમની સાથે ઊભા રહીને મને સારું લાગે.” તેમણે આગળ કહ્યું કે તેઓ ભાષણો સાંભળી રહ્યા છે અને ત્યાં આવતા લોકોને જોઈ રહ્યા છે. ત્યાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ અને ‘કાશ્મીર ભારતનો હિસ્સો નથી’ જેવી વાતો કરનારા લોકો આવી રહ્યા છે. મનોજે કહ્યું કે તેઓ મોટી જવાબદારી સાથે તેમને દેશદ્રોહી કહી રહ્યા છે. NEET પેપર લીક પર સરકાર અને સિસ્ટમને ઘેર્યા ઇન્ટરવ્યુ દરમિયાન જંતર-મંતરના પ્રદર્શનકારીઓનો વિરોધ કરવાની સાથે જ મનોજ મુન્તશિરે NEET પેપર લીકના મુદ્દે કેન્દ્ર સરકાર અને વહીવટી તંત્ર પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે દેશના યુવાનો આનાથી સારી વ્યવસ્થાના હકદાર છે. દુનિયામાં કોઈ એવું કહી શકે નહીં કે NEETનું પેપર લીક થવું સારી વાત છે. આ સદંતર ખોટું થયું છે. જો આ આખી વ્યવસ્થાને કારણે એક પણ બાળકની જાન જાય છે, તો આ આખી સિસ્ટમની નિષ્ફળતા અને જવાબદારી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલ કર્યા મનોજ મુન્તશિરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર સામે આવતા જ યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું, “દેશદ્રોહીની વ્યાખ્યા શું છે મનોજ મુન્તશિર? કરિયર માટે વિચારધારા બદલવી યોગ્ય નથી. જો દેશના હજારો યુવાનો દેશદ્રોહી છે તો પછી આ દેશને કોઈ બચાવી શકશે નહીં.” જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે ભગવાનને પ્રાર્થના છે કે આવનારી પેઢીઓ સાથે એવો વ્યવહાર ન થાય, જેવો તમે આ પેઢી સાથે કરી રહ્યા છો. અમેઠીથી નીકળીને બોલિવૂડ સુધીની સફર અને વિવાદ ઉત્તર પ્રદેશના અમેઠીમાં જન્મેલા મનોજ મુન્તશિર લાંબા સમયથી બોલિવૂડમાં ગીતકાર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ‘તેરી ગલિયાં’, ‘તેરી મિટ્ટી’ અને ‘દેશ મેરે’ જેવા ઘણા લોકપ્રિય ગીતો લખ્યા છે. જોકે, વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘આદિપુરુષ’ પછી તેઓ મોટા વિવાદમાં ફસાયા હતા. ફિલ્મમાં ભગવાન રામ, સીતા અને હનુમાન સાથે જોડાયેલા સંવાદોની ભાષાને લઈને દેશભરમાં તેમનો ભારે વિરોધ થયો હતો. ભારે વિરોધ પછી મેકર્સે ફિલ્મના ડાયલોગ બદલવા પડ્યા હતા. આ પછી પણ મનોજ મુન્તશિર પોતાના રાજકીય અને સામાજિક નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

