'મર્દાની 3'માં રાની મુખર્જીની દમદાર વાપસી!:'SSP શિવાની રોય'ના ચહેરા પર દેખાયો 'અમ્મા'નો ખોફ, ગંભીર મુદ્દો પણ ઇન્ટરવલ પછી ધીમી પડશે ફિલ્મ

Last Updated: January 30, 2026By

‘મર્દાની’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ફરી એકવાર સમાજના એ અંધારા ખૂણામાં ડોકિયું કરે છે, જ્યાં સત્ય ડરામણું અને પીડાદાયક છે. આ માત્ર એક પોલીસ કેસ નથી, પરંતુ માસૂમ બાળકીઓના અપહરણ, માનવ તસ્કરી અને મેડિકલ રિસર્ચના નામે થતા અમાનવીય શોષણ પર સીધો અને સ્પષ્ટ હુમલો છે. શિવાની શિવાજી રોય આ વખતે પણ સિસ્ટમ, અપરાધ અને લાલચની ખતરનાક જુગલબંધી સામે એકલા ટકરાતી જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી વાર્તાની શરૂઆત બુલંદશહરથી થાય છે, જ્યાં બે માસૂમ બાળકીઓ ઝિલમિલ અને રૂહાનીનું અપહરણ થાય છે. રૂહાની એક એમ્બેસેડરની દીકરી છે, જ્યારે ઝિલમિલ તે જ ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પરની દીકરી છે. આ મામલો માત્ર અપહરણ પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ તપાસ દરમિયાન નાની બાળકીઓની તસ્કરી અને સંગઠિત અપરાધનું એક ભયાવહ નેટવર્ક ધીમે ધીમે સામે આવવા લાગે છે. કેસની ગંભીરતાને જોતા તપાસ NIAને સોંપવામાં આવે છે અને જવાબદારી SSP શિવાની શિવાજી રોયને મળે છે. તપાસ આગળ વધે છે ત્યારે અમ્મા સામે આવે છે, એક ભિખારી માફિયાની સરગના, જે નિર્દોષ બાળકીઓને એક અત્યંત સંવેદનશીલ અને અમાનવીય ધંધાનો ભાગ બનાવે છે, જેના પડ જેમ જેમ ખુલે છે, વાર્તા વધુને વધુ બેચેન કરનારી બનતી જાય છે. આ દરમિયાન શિવાનીની મુલાકાત રામાનુજન સાથે થાય છે, જે ભિખારી માફિયા વિરુદ્ધ કામ કરતો એક સામાજિક કાર્યકર છે. બાળપણમાં માફિયા દ્વારા તેની આંગળીઓ કાપી નાખવામાં આવી હતી. અમ્માના ઠેકાણાઓ પર દરોડા પાડવાનો સિલસિલો શરૂ થાય છે, પરંતુ ઇન્ટરવલથી બરાબર પહેલાં અમ્મા શિવાનીને ખુલ્લો પડકાર આપે છે. અહીંથી વાર્તા રમતમાં બદલાઈ જાય છે. ઇન્ટરવલ પછી વાર્તા ઘણા પડ ખોલે છે. રામાનુજનના પાત્ર સાથે જોડાયેલું એક મોટું રહસ્ય સામે આવે છે, જે એ સંકેત આપે છે કે આ અપરાધ પાછળ માત્ર તસ્કરી જ નહીં, પરંતુ કંઈક એવું પણ છે, જેનો ઉપયોગ શક્તિશાળી લોકો પોતાના ફાયદા માટે કરે છે. સવાલ એ જ છે કે શું શિવાની આ આખા નેટવર્કને તોડી શકશે અને શું તે આ અમાનવીય સત્ય સુધી પહોંચી શકશે. ફિલ્મમાં એક્ટિંગ રાની મુખર્જી ફરી એકવાર સાબિત કરે છે કે ‘મર્દાની’ ફ્રેન્ચાઇઝીની અસલી તાકાત તે જ છે. તેની બોડી લેંગ્વેજ, આંખોની સખ્તાઈ અને સંવાદોની ડિલિવરી શિવાની શિવાજી રોયના પાત્રને સંપૂર્ણપણે અસલી અને ભરોસાપાત્ર બનાવી દે છે. અમ્માના રોલમાં મલ્લિકા પ્રસાદે જબરદસ્ત ભય પેદા કર્યો છે. ઘણા સીનમાં તેમનું પાત્ર રૂંવાડા ઊભા કરી દે છે અને તે રાનીને દરેક ફ્રેમમાં સખત ટક્કર આપતી જોવા મળે છે. રામાનુજનના પાત્રમાં પ્રજેશ કશ્યપ ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઈઝ સાબિત થાય છે. ફાતિમાના પાત્રમાં જાનકી બોડીવાલાની એક્ટિંગ સંતુલિત અને પ્રભાવી છે, જ્યારે જીશુ સેનગુપ્તા સીમિત સ્ક્રીન ટાઈમ હોવા છતાં પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહે છે. ફિલ્મમાં નિર્દેશન અને ટેકનિકલ પાસું અભિરાજ મીનાવાલાનું ડાયરેક્શન ફિલ્મને શરૂઆતથી અંત સુધી ગંભીર અને બેચેન માહોલમાં જાળવી રાખે છે. વાર્તામાં રહેલા ટ્વિસ્ટ અને ટર્ન ઘણી જગ્યાએ અસર છોડે છે, જોકે, ઇન્ટરવલ પછી કેટલાક સીનમાં ફિલ્મ થોડી ખેંચાયેલી (લાંબી) લાગી શકે છે. સેકન્ડ હાફમાં કેટલાક દ્રશ્યોમાં લોજિકનો અભાવ પણ સ્પષ્ટ દેખાય છે. ટેકનિકલી ફિલ્મ મજબૂત દેખાય છે. સિનેમેટોગ્રાફી વાર્તાના મૂડને ઉત્તમ રીતે સપોર્ટ કરે છે. રંગોની પસંદગી, લો-લાઇટ ફ્રેમ્સ અને ક્લોઝ-અપ શોટ્સ ક્રૂરતા અને સંવેદનશીલતા બંને ભાવોને ઉભારે છે. એક્શન સિક્વન્સ વાસ્તવિક લાગે છે અને ક્યાંય પણ બનાવટી લાગતા નથી. ફિલ્મમાં સંગીત ફિલ્મમાં કોઈ ગીત નથી અને તેની જરૂરિયાત પણ અનુભવાતી નથી. બેકગ્રાઉન્ડ સ્કોર ઇન્ટેન્સ છે અને દરેક દ્રશ્યમાં તણાવ, ડર અને બેચેનીનું વાતાવરણ જાળવી રાખે છે. ફિલ્મ વિશે અંતિમ ચુકાદો ‘મર્દાની 3’ એક હાર્ટ ટચિંગ ફિલ્મ છે, જે નાની બાળકીઓના અપહરણ, તસ્કરી અને મેડિકલ રિસર્ચના નામે થતા અમાનવીય શોષણને નિર્ભયતાથી ઉજાગર કરે છે. શક્તિશાળી અભિનય, મજબૂત બેકગ્રાઉન્ડ સ્કોર અને પ્રભાવશાળી ક્લાઇમેક્સ ફિલ્મને જોવા લાયક બનાવે છે. નબળા ડાયલોગ અને થોડી ખેંચાયેલી પટકથા હોવા છતાં, આ ફિલ્મ દર્શકોને વિચારવા મજબૂર કરે છે.