સલમાન ખાનના પિતા સલીમ ખાન વેન્ટિલેટર પર શિફ્ટ:તબિયત બગડ્યા બાદ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરિવારના અનેક સભ્યો હોસ્પિટલ પહોંચ્યા

Last Updated: February 17, 2026By

સલમાન ખાનના પિતા અને દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુ (ICU) માં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમને ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. બુધવારે સવારે 11 વાગ્યે પરિવારની મંજૂરી મળ્યા બાદ મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. સલીમ ખાનની તબિયત બગડ્યા બાદ પુત્ર સલમાન ખાન સહિત પરિવારના અનેક સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા. પુત્રી અલવીરા દોડતા લીલાવતી હોસ્પિટલ જતી જોવા મળી હતી. આ ઉપરાંત તેમની બંને પત્નીઓ સલમા અને હેલન, પુત્ર અરબાઝ, જમાઈ અતુલ અગ્નિહોત્રી અને આયુષ શર્માને પણ હોસ્પિટલની બહાર જોવામાં આવ્યા હતા. 1960ના દાયકામાં થઈ હતી કરિયરની શરૂઆત
સલીમ ખાનનો જન્મ 24 નવેમ્બર, 1935ના રોજ થયો હતો અને તેઓ હાલ 90 વર્ષના છે. તેમને હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત પટકથા લેખકોમાંના એક ગણવામાં આવે છે. સલીમ ખાને તેમની કારકિર્દીની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. તેમણે 1960ના દાયકામાં ફિલ્મ ‘બારાત’થી શરૂઆત કરી, પરંતુ તેમને મર્યાદિત અને નાની ભૂમિકાઓ મળી હતી. લગભગ બે ડઝન ફિલ્મોમાં કામ કર્યા પછી, તેમને સમજાયું કે એક્ટિંગ તેમની સાચી શક્તિ નથી. ત્યાર બાદ તેઓ લેખન તરફ વળ્યા અને પટકથા લેખનમાં પ્રવેશ કર્યો. જાવેદ અખ્તર સાથે તેમની પ્રખ્યાત સલીમ-જાવેદ જોડીએ ઘણી કલ્ટ ક્લાસિક ફિલ્મો આપી, જેમાં ‘શોલે’, ‘દીવાર’, ‘ઝંઝીર’ અને ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સલીમ-જાવેદને ભારતીય સિનેમામાં સ્ટારનો દરજ્જો મેળવનારા પ્રથમ લેખકો માનવામાં આવે છે. તેમણે અમિતાભ બચ્ચનની ‘એન્ગ્રી યંગમેન’ની છબિ સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સલીમ ખાન અને સલમાના લગ્ન 1964માં થયાં હતાં
સલમાનના પિતા અને સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને 1964માં સુશીલા ચરક સાથે લગ્ન કર્યા હતા. સુશીલાનો જન્મ એક મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. સલીમ ખાન સાથે લગ્ન કરવા માટે, તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ બદલીને સલમા રાખ્યું. સલીમના બીજા લગ્ન એક્ટ્રેસ હેલન સાથે થયા હતા, જે એક ખ્રિસ્તી છે. ફક્ત સલમાનના પિતા જ નહીં, તેના ભાઈ-બહેનો પણ અલગ-અલગ ધર્મોમાં લગ્ન કરેલાં છે. તેમને ચાર બાળકો છે: સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાન. બાદમાં 1981માં સલીમ ખાને એક્ટ્રેસ હેલન રિચાર્ડસન સાથે લગ્ન કર્યા. થોડાં વર્ષો પછી સલીમ ખાન અને હેલેને અર્પિતાને દત્તક લીધી. તેમનો મોટો દીકરો સલમાન ખાન હિન્દી સિનેમાના ટોચના એક્ટરોમાંનો એક ગણવામાં આવે છે, જ્યારે અરબાઝ અને સોહેલ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમની દીકરીઓમાં અલવીરાએ અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા અને અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે.