સારા અલી ખાન અમરનાથ યાત્રા પર નીકળી!:પહેલગામમાં સ્થાનિક પરિવાર સાથે સમય વિતાવ્યો, ટ્રેકિંગ સ્ટિક સાથે જોવા મળી; PHOTOS
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામ પહોંચી. પહેલગામના નૂર મડ હાઉસે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સારાની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સારા અમરનાથ યાત્રા માટે કાશ્મીર પહોંચી છે. જોકે, સારા અલી ખાન કે તેની ટીમે અત્યાર સુધી અમરનાથ યાત્રાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તસવીરોમાં સારા સ્થાનિક ગુજ્જર-બકરવાલ પરિવાર સાથે સમય વિતાવતી જોવા મળી રહી છે. તેણે પરિવાર સાથે બેસીને ફોટો પણ પડાવ્યો. નોંધનીય છે કે, નૂર મડ હાઉસમાં લાકડાની આંચ પર ધીમે ધીમે રાંધેલું સ્થાનિક કાશ્મીરી ભોજન પીરસવામાં આવે છે. નૂર મડ હાઉસે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘સારા અલી ખાનનું મહેમાન તરીકે નહીં, પરંતુ પરિવારના સભ્ય તરીકે સ્વાગત કરવું અમારા માટે સન્માનની વાત હતી. તેમની સાદગી, નમ્રતા અને પોતાપણું હંમેશા યાદ રહેશે. નૂર મડ હાઉસમાં તેમનું હંમેશા સ્વાગત રહેશે.’ શું સારા અમરનાથ યાત્રા પર છે? પોસ્ટમાં લોકેશન પહેલગામ, કાશ્મીર આપવામાં આવ્યું છે. પહેલગામ, અમરનાથ યાત્રાના પરંપરાગત માર્ગનો મુખ્ય બેઝ કેમ્પ પણ છે અને આ જ કારણે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે, સારા અમરનાથ યાત્રા માટે પહોંચી છે. જોકે, પોસ્ટમાં ક્યાંય પણ અમરનાથ યાત્રા કે બાબા બર્ફાનીના દર્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી હાલમાં તેને માત્ર અટકળ જ માની શકાય છે. અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી શરૂ થઈ છે અને પહેલગામ માર્ગેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા છે. સારા અલી ખાન આ પહેલા પણ કેદારનાથ, મહાકાલ મંદિર, કાશી વિશ્વનાથ અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેતી રહી છે. સારા જુલાઈ 2023માં અમરનાથ યાત્રા પર ગઈ હતી. તેણે બાબા બર્ફાનીના દર્શન કરીને પોતાની યાત્રાના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટ્રોલિંગ પર સારાએ ખુલ્લો જવાબ આપ્યો હતો નોંધનીય છે કે, સારાના પિતા સૈફ અલી ખાન મુસ્લિમ છે, જ્યારે તેના માતા અમૃતા સિંહ હિંદુ છે. સારા તેના પિતાની જ સરનેમ લગાવે છે. સારા અલી ખાનની મંદિરોમાં જવા બદલ કટ્ટરપંથીઓએ ટીકા કરી હતી. મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મ પ્રત્યેની તેની શ્રદ્ધા કેટલાક લોકોને પસંદ નથી આવતી. તેવામાં તેની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ના પ્રમોશન દરમિયાન સારાએ વિરોધીઓને જવાબ પણ આપ્યો હતો. સારાએ કહ્યું હતું કે, ‘હું જેટલી શ્રદ્ધાથી અજમેર શરીફ જઈશ, તેટલી જ શ્રદ્ધાથી ગુરુદ્વારા બાંગ્લા સાહિબ કે મહાકાલ જઈશ અને જતી રહીશ. જેને મને ટ્રોલ કરવી હોય, તે ટ્રોલ કરી શકે છે. મને કોઈ ફરક પડતો નથી. પરંતુ ક્યાંય પણ જઈને સૌથી મહત્વની વાત એ હોય છે કે તમને ત્યાંની ઊર્જા સારી લાગવી જોઈએ. હું ઊર્જામાં માન્યતા રાખું છું.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

