સિરાજે સતત ત્રણ છગ્ગા ફટકારીને ભારતને જીતાડ્યું:વોર્મઅપ મેચમાં શ્રીલંકા-XIને 6 વિકેટે હરાવ્યું; ઈજામાંથી પરત ફરેલા ગિલે 44 રન બનાવ્યા

Last Updated: August 9, 2026By

ભારતે ટેસ્ટ સિરીઝ પહેલાં વોર્મઅપ મેચમાં શ્રીલંકા-XIને 6 વિકેટથી હરાવ્યું. મોહમ્મદ સિરાજે સતત ત્રણ છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. કોલંબોમાં મેચના છેલ્લા દિવસે રવિવારની રમત પૂરી થતાં પહેલાં ભારતને જીત માટે 16 રનની જરૂર હતી. એવામાં સિરાજે કેશરા નુવંથાની ઓવરના શરૂઆતના ત્રણ બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકાર્યા. આંગળીની ઇજામાંથી કમબેક કરી રહેલા કપ્તાન શુભમન ગિલે 44 રનની ઇનિંગ રમી. તેણે યશસ્વી જયસ્વાલ સાથે 105 રનની ભાગીદારી કરી. ભારતને 207 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેણે દિવસની રમત શરૂ થતાં પહેલાં જ પહેલી ઇનિંગ 357/6ના સ્કોર પર ડિકલેર કરી હતી. ત્યારબાદ શ્રીલંકા ક્રિકેટ XIએ પોતાની બીજી ઇનિંગ 200/6ના સ્કોર પર ડિકલેર કરી. શ્રીલંકા-XIએ પહેલી ઇનિંગમાં 363/8નો સ્કોર બનાવ્યો હતો. ભારત મેચ જીત્યા પછી પણ કેમ રમ્યું? ભારતના મેચ જીત્યા પછી પણ રમત ચાલુ રહી. અમ્પાયર્સે કેશરા નુવંથાની ઓવર પૂરી કરાવી. સિરાજે ઓવરના બાકીના ત્રણેય બોલ રખ્યા. હકીકતમાં પ્રેક્ટિસ મેચ પરિણામ સિરીઝ કે ટુર્નામેન્ટની જીત-હારમાં જોડાતું નથી. મેચનો હેતુ ખેલાડીઓને મેદાન અને પીચની પરિસ્થિતિ મુજબ તૈયાર કરવાનો હોય છે. આમાં ટીમ પોતાની પ્લેઇંગ-11 માં સ્ક્વોડમાં સામેલ તમામ 15 ખેલાડીઓને રમાડી શકે છે. જો ટીમ ઇચ્છે તો મેચ જીત્યા પછી પણ તે નક્કી કરેલી પૂરી ઓવરો સુધી બેટિંગ કરી શકે છે. નેટ સેશન દરમિયાન ગિલને ઇજા થઈ હતી વોર્મઅપ મેચ શરૂ થવાના એક દિવસ પહેલાં ગુરુવારે ટ્રેનિંગ દરમિયાન ગિલની આંગળીમાં ઇજા થઈ હતી. આ પછી તે મેચના પહેલા બે દિવસ મેદાન પર નહોતો ઉતર્યો. BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, “ગુરુવારે ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન કપ્તાન શુભમન ગિલના જમણા હાથની આંગળીમાં ઇજા થઈ હતી. સાવચેતીના ભાગરૂપે તેઓ શ્રીલંકા ક્રિકેટ XI સામેની પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે મેદાન પર નહીં ઉતરે.” કેએલ રાહુલે સંભાળી કપ્તાની ગિલની ગેરહાજરીમાં કેએલ રાહુલે કેપ્ટનની ભૂમિકા ભજવી. ગિલ ભારતની પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતર્યો નહોતો. ભારત તરફથી ડાબા હાથના બેટર દેવદત્ત પડિકલે અણનમ 142 રનની ઇનિંગ્સ રમી. જાડેજા અને બરારે 2-2 વિકેટ લીધી શ્રીલંકા-XIએ બીજી ઇનિંગમાં 45 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો. નિશાન ફર્નાન્ડોએ 63 રન બનાવ્યા, જ્યારે નિપુન ધનંજયાએ 46 અને અંજલા બંડારાએ 35 રનનું યોગદાન આપ્યું. રમેશ મેન્ડિસ 16 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને ગુરનૂર બરારે 2-2 વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને એક-એક વિકેટ મળી. પડિકલે અણનમ 142 રન બનાવ્યા ભારતે પ્રથમ દાવમાં 90 ઓવરમાં 6 વિકેટે 357 રન બનાવી દાવ ડિકલેર કર્યો. દેવદત્ત પડિકલે 142 રનની અણનમ ઇનિંગ્સ રમી. રવીન્દ્ર જાડેજાએ 63, કેએલ રાહુલે 40, માનવ સુથારે 41 અને ગુનૂર બરારે અણનમ 36 રન બનાવ્યા. શ્રીલંકા-XI તરફથી રમેશ મેન્ડિસ અને અસંકા મનોજે 2-2 વિકેટ લીધી, જ્યારે વિશ્વા ફર્નાન્ડો અને કેશારા નુવાનથાને એક-એક સફળતા મળી. બુમરાહ અને સુંદર પહેલાથી જ બહાર આગામી સપ્તાહે ગૉલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અભિયાન ફરી શરૂ થાય તે પહેલાં ભારતને ઘણી ઇજાઓનો સામનો કરવો પડ્યો છે. જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદર ઇજાઓને કારણે બહાર થઈ ચૂક્યા છે.