હોર્મુઝમાં 90 દિવસ ફસાયેલા રહ્યા રાયપુરના રુદ્રાંશ:જહાજ ઉપરથી મિસાઈલો-ડ્રોન ઉડતા જોયા, સાયરન વાગતા જ એન્જિન રૂમમાં છુપાઈ જતા હતા
જેમ જ હુમલાનું સાયરન વાગતું, જહાજના બધા 22 કર્મચારીઓ ભાગીને નીચે એન્જિન રૂમમાં છુપાઈ જતા હતા. આકાશમાં મિસાઈલો, ડ્રોન અને ફાઈટર જેટ ચક્કર લગાવી રહ્યા હતા અને અંદર બધા પોતાનો જીવ બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા. રાયપુરના રહેવાસી રુદ્રાંશ ચૌબે આ કાર્ગો શિપમાં ટ્રેની નેવિગેટિંગ ઓફિસર હતા. તેમણે મોતની આ જ દહેશત વચ્ચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં 3 મહિના વિતાવ્યા, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેમનું જહાજ બરાબર તે જ વિસ્તારમાં ફસાઈ ગયું જ્યાં લડાઈ ચાલી રહી હતી. ઘણી વાર મિસાઈલો જહાજની બરાબર ઉપરથી પસાર થઈ, એક ડ્રોનનો તૂટેલો કાટમાળ પણ તેમના જહાજ પર આવીને પડ્યો. 6 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી કંપનીએ એક સ્પેશિયલ બોટ (નાવ) મોકલીને રુદ્રાંશ અને તેમના સાથીઓને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. વાંચો પૂરો ઇન્ટરવ્યુ:- સવાલ: તે સમયે ત્યાંની પરિસ્થિતિ કેવી હતી અને તમે કેવી રીતે ફસાયા? જવાબ: અમે અમારો કાર્ગો ડિસ્ચાર્જ કરવા માટે હોર્મુઝ સ્ટ્રેટમાં ગયા હતા. ત્યારબાદ અમારે આગલો કાર્ગો લેવાનો હતો, ત્યારે જ ખબર પડી કે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે અને હોર્મુઝમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ત્યારબાદ લગભગ 3 મહિના સુધી અમે તે જ વિસ્તારમાં રહ્યા. આ દરમિયાન અમે કાર્ગો લોડ અને ડિસ્ચાર્જ પણ કર્યો અને ભારત લાવવા માટે એક વધુ કાર્ગો લોડ કર્યો. લાંબા સમય સુધી જહાજ એન્કર પર ઊભું રહ્યું અને અમે ત્યાં જ ફસાયા રહ્યા. સવાલ: દરિયાની વચ્ચે 24 કલાક રહેવું પડતું હતું, તે દરમિયાન પરિસ્થિતિ કેવી હતી? જવાબ: સમુદ્રમાં રહેવા દરમિયાન દરેક સમયે સતર્ક રહેવું પડતું હતું. યુદ્ધ શરૂ થવાના શરૂઆતના દિવસોમાં ડ્રોન, મિસાઈલ અને લડાકુ વિમાનોની ગતિવિધિઓ દેખાતી હતી. રેડિયો પર સતત અલગ-અલગ પ્રકારના એલર્ટ અને સૂચનાઓ મળી રહી હતી. જીપીએસ સ્પૂફિંગ (જીપીએસ સિગ્નલ હેકિંગ) જેવી ઘટનાઓ પણ બની રહી હતી. શરૂઆતમાં સ્થિતિ ઘણી પડકારજનક હતી, કારણ કે અમને સમજાતું ન હતું કે આગળ શું કરવું અને ક્યાં જવું. બાદમાં ડીજી શિપિંગ, ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન અને અમારી કંપની દ્વારા જારી કરાયેલા સુરક્ષા દિશા નિર્દેશોનું પાલન કરીને અમે પરિસ્થિતિનો સામનો કર્યો. સવાલ: પહેલી જ નોકરી અને ઘરથી દૂર સીધા યુદ્ધના મેદાનમાં એન્ટ્રી, મોતના આ ઓથાર વચ્ચે પોતાને અને ઘરના સભ્યોની ચિંતાને કેવી રીતે સંભાળી? જવાબ: મારો પ્રયાસ રહેતો હતો કે દરરોજ ઘરના સભ્યોને મારી સ્થિતિની જાણકારી આપું. સમાચારોમાં તેઓ સતત હુમલા અને તણાવના સમાચાર જોતા હતા, તેથી તેમને એ જણાવવું જરૂરી હતું કે હું સુરક્ષિત છું. સેટેલાઇટ કમ્યુનિકેશન દ્વારા અમે સંપર્કમાં રહેતા હતા. જોકે, ઘણી વાર જીપીએસ સ્પૂફિંગ અને ટેકનિકલ સમસ્યાઓના કારણે ચાર-પાંચ દિવસ સુધી વાત થઈ શકતી ન હતી, પરંતુ અમે કોઈક રીતે એક નાનો મેસેજ મોકલીને અમારા સુરક્ષિત હોવાની જાણકારી આપી દેતા હતા. સવાલ: શું ક્યારેય એવું બન્યું છે કે ડ્રોન કે મિસાઈલનો ખતરો તમારા જહાજની ખૂબ નજીક પહોંચી ગયો હોય? જવાબ: હા, એકવાર જ્યારે અમારું જહાજ બહેરીનની આસપાસ હતું, ત્યારે અમારા જહાજ ઉપર એક ડ્રોન વિસ્ફોટ થયો હતો. તેના કેટલાક અવશેષો જહાજ પર આવીને પડ્યા હતા. આ ઘટના પછી બધા લોકોને લાગ્યું કે સ્થિતિ ખરેખર ગંભીર છે. આ ઉપરાંત મિસાઈલો, ડ્રોન અને લડાકુ વિમાનો સતત અમારા ઉપરથી પસાર થતા દેખાતા હતા. શરૂઆતમાં તેનાથી ખૂબ ડર લાગ્યો, પરંતુ પછીથી અમે સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કર્યું અને પોતાને સંભાળ્યા. સવાલ: તે સમયે સૌથી વધુ ડર કઈ વાતનો લાગતો હતો? જવાબ: ડર એ જ હતો કે ક્યાંક કોઈ મિસાઈલ કે ડ્રોન ભૂલથી અમારા જહાજને નિશાન ન બનાવી દે. રાત્રે જ્યારે એલર્ટ આવતા હતા અથવા ઉપરથી લડાકુ વિમાન પસાર થતા હતા, ત્યારે મનમાં અનેક પ્રકારના વિચારો આવતા હતા. આવા સમયે અમે ઈશ્વરને યાદ કરતા હતા અને સુરક્ષિત રહેવાની પ્રાર્થના કરતા હતા. સવાલ: સમુદ્રમાં ઉતરતી વખતે મોટા-મોટા સપના રહ્યા હશે અને ત્યાં જઈને મિસાઈલો જોવી પડી, પહેલી નોકરીનો આ અનુભવ કેવો રહ્યો? જવાબ: કોલેજ અને એનસીસી દરમિયાન અમે ઘણી કટોકટીની પરિસ્થિતિઓ વિશે વાંચ્યું હતું અને તાલીમ લીધી હતી કે સંકટના સમયે કેવી રીતે કામ કરવું જોઈએ. પરંતુ આ પહેલીવાર હતું જ્યારે અમે આવી સ્થિતિને નજીકથી જોઈ. શરૂઆતમાં ઘણી ગભરાહટ હતી અને સમજાતું નહોતું કે શું કરવું. બાદમાં સુરક્ષા નિયમોનું પાલન કર્યું, કટોકટીની સ્થિતિમાં ત્યાંથી સુરક્ષિત બહાર નીકળવાની તૈયારીઓ સમજી અને એકબીજાની હિંમત વધારીને પરિસ્થિતિઓનો સામનો કર્યો. સવાલ: તે સમયે જહાજ પર કેટલા લોકો હતા અને તમે લોકો એકબીજાનું મનોબળ કેવી રીતે વધારતા હતા? જવાબ: અમારા જહાજ પર કુલ 22 ક્રૂ મેમ્બર હતા. તેમાંથી સૌથી ઓછો અનુભવ મારો જ હતો, કારણ કે આ મારી પહેલી દરિયાઈ યાત્રા અને પહેલી નોકરી હતી. અમે એક સરળ રીત અપનાવી હતી કે યુદ્ધ અને તણાવ વિશે વધુ વિચારવાને બદલે અમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સવાલ: શું જહાજ પર ખાવા-પીવા કે બીજી જરૂરિયાતોની કોઈ સમસ્યા થઈ? જવાબ: ના, જહાજમાં પૂરતો રાશન અને જરૂરી સામાન હાજર હતો. અસલી પડકાર માનસિક દબાણ હતો. દરરોજ આ જ તણાવ વચ્ચે પસાર થઈ રહ્યો હતો કે ખબર નહીં આગલી પળે શું થશે અને પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે. સવાલ: તો તમે ત્યાંથી બહાર કેવી રીતે નીકળ્યા? જવાબ: મારો 6 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ચૂક્યો હતો. આ દરમિયાન કંપનીએ અમારા માટે ખાસ વ્યવસ્થા કરી. એક સર્વિસ બોટ દ્વારા અમને બંદરગાહ સુધી પહોંચાડવામાં આવ્યા. હું અને મારી સાથે નવ અન્ય ક્રૂ મેમ્બર જહાજમાંથી ઉતર્યા. ત્યારબાદ અમે દુબઈ પહોંચ્યા અને ત્યાંથી હવાઈ માર્ગે પોતપોતાના ઘરો માટે રવાના થયા. સવાલ: હવે હોર્મુઝ ફરીથી બંધ થઈ ગયું છે, જ્યારે તમે ત્યાં ફસાયા હતા ત્યારે તમારો અનુભવ કેવો રહ્યો હતો? જવાબ: તે એક એવો અનુભવ હતો જેને હું આખી જીંદગી ભૂલી નહીં શકું. તે ભયાનક સંકટ વચ્ચે અમારી સૌથી મોટી જવાબદારી આખી ટીમને સુરક્ષિત રાખવાની હતી. જહાજ પર ભયનો માહોલ ન બને, તેથી અમે સતત એકબીજા સાથે વાત કરતા, બધાનો ઉત્સાહ વધારતા અને જેમ તેમ કરીને ઘરે પણ સંપર્ક જાળવી રાખતા હતા. આ જ મજબૂત ટીમ વર્કના જોરે અમે ત્યાંથી હેમખેમ બહાર નીકળી શક્યા. સવાલ: ઘરે પહોંચતા પરિવારની શું પ્રતિક્રિયા હતી? જવાબ: ઘરે પાછા ફરતા પરિવારની ખુશીનો પાર નહોતો. તેઓ પળેપળ મારી સુરક્ષાને લઈને ડરેલા હતા, કારણ કે તે વિસ્તારના સમાચાર સતત મીડિયામાં આવી રહ્યા હતા. મને હેમખેમ જોઈને બધાએ રાહતનો શ્વાસ લીધો. માતા-પિતાને ગર્વ હતો કે તેમનો દીકરો આટલા મોટા સંકટનો બહાદુરીથી સામનો કરીને પાછો ફર્યો છે. આ મુશ્કેલ સમયમાં પરિવારનો સહયોગ અને તેમની દુઆઓ જ મારી સૌથી મોટી તાકાત હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

