અદાણીની અમેરિકી કોર્ટમાંથી ફ્રોડ કેસ રદ કરવાની માગ:કહ્યું- કેસ અમેરિકી અધિકાર ક્ષેત્રની બહાર છે, કોઈપણ પ્રકારની છેતરપિંડી સાબિત થઈ નથી
ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીએ અમેરિકી રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા દાખલ કરાયેલા સિવિલ ફ્રોડ કેસને ફગાવી દેવાની માગ કરી છે. તેમણે કહ્યું કે આ મામલો અમેરિકી અધિકારક્ષેત્રની બહાર છે અને તેમાં કોઈ નક્કર આરોપો નથી. અદાણી ગ્રુપે ન્યૂયોર્કની અદાલતમાં પ્રી-મોશન લેટર દાખલ કરીને જણાવ્યું કે જે ડીલને લઈને આરોપો લગાવવામાં આવ્યા છે તે અમેરિકાની બહાર થઈ હતી. તેથી SECનો મુકદ્દમો કાયદેસર રીતે નબળો છે અને તેને સંપૂર્ણપણે ફગાવી દેવો જોઈએ. SECએ 24 નવેમ્બરે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. SECએ આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ 2021ના બોન્ડ જાહેર કરવા દરમિયાન રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા અને લાંચના કેસનો ખુલાસો કર્યો ન હતો. અદાણીની દલીલ- અમેરિકા સાથે કોઈ સીધો સંબંધ નથી અદાણીના વકીલોએ કેસ રદ કરવાની માગ સાથે દલીલ કરી છે કે ન તો ગૌતમ અદાણી કે ન તો સાગર અદાણીનો અમેરિકા સાથે એવો કોઈ સંપર્ક રહ્યો છે જે આ કેસ માટે જરૂરી હોય. સાથે જ, બોન્ડ જાહેર કરવાની પ્રક્રિયામાં તેમની કોઈ સીધી ભૂમિકા નહોતી. અદાણી પક્ષે અમેરિકી સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયોનો હવાલો આપતા કહ્યું કે SEC એ દર્શાવવામાં નિષ્ફળ રહ્યું છે કે તેમાં કોઈ ‘ઘરેલું લેણદેણ’ (Domestic Transaction) સામેલ હતું. તેમણે કહ્યું કે બોન્ડ જાહેર કરનાર કંપની ભારતીય છે, તે અમેરિકામાં લિસ્ટેડ નથી અને કથિત ઘટના પણ સંપૂર્ણપણે ભારતમાં બની છે. આવી સ્થિતિમાં, અમેરિકી કાયદાઓને દેશની સીમાની બહાર (Extraterritorial) લાગુ કરી શકાય નહીં. 750 મિલિયન ડોલરનો બોન્ડ સેલ અને વિદેશી નિયમો ફાઇલિંગમાં જણાવાયું હતું કે 750 મિલિયન ડોલર (લગભગ ₹6,300 કરોડ) ના બોન્ડનું વેચાણ અમેરિકાની બહાર નિયમ 144A અને રેગ્યુલેશન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સિક્યોરિટીઝ બિન-અમેરિકી અંડરરાઇટર્સને વેચવામાં આવી હતી અને બાદમાં તેનો અમુક હિસ્સો યોગ્ય સંસ્થાકીય ખરીદદારો (QIBs) ને ફરીથી વેચવામાં આવ્યો હતો. વકીલોનું કહેવું છે કે ફરિયાદમાં એવો કોઈ આરોપ નથી કે ગૌતમ અદાણીએ આ ઇશ્યુને મંજૂરી આપી હતી અથવા અમેરિકી રોકાણકારોને પ્રભાવિત કરતી કોઈ મીટિંગમાં ભાગ લીધો હતો. ગ્રુપે કોર્ટને એ પણ જાણકારી આપી કે SEC એ રોકાણકારોને થયેલા કોઈપણ નુકસાનનો ઉલ્લેખ કર્યો નથી. ગ્રુપ મુજબ, આ બોન્ડ્સની મેચ્યોરિટી 2024માં પૂરી થઈ ગઈ હતી અને રોકાણકારોને વ્યાજ સહિત પૂરા પૈસા પાછા આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, લાંચરુશવતના આરોપોને પણ ગ્રુપે સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેના પક્ષમાં કોઈ વિશ્વસનીય પુરાવા નથી. ભવિષ્યની રણનીતિ: 30 એપ્રિલે મોટી સુનાવણી સંભવ અદાણી ગ્રુપે માગ કરી છે કે આ મામલાને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. તેમણે એ પણ કહ્યું છે કે જો જરૂર પડી તો તેઓ પ્રી-મોશન કોન્ફરન્સ માટે હાજર થવા તૈયાર છે. હવે સૌની નજર 30 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે આ મામલામાં વિસ્તૃત મોશન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

