વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકન ખેલાડીને ધક્કો માર્યો, VIDEO:સુપર ઓવરમાં ઈન્ડિયા-Aની હાર પછી બોલાચાલી થઈ, કેપ્ટન તિલક પણ અમ્પાયરો સાથે બાખડ્યો
દાંબુલામાં એક રોમાંચક સુપર ઓવર મેચમાં ઈન્ડિયા-Aની હાર થયા બાદ તરત જ વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા-Aના ખેલાડીને ઉગ્ર ચર્ચાઓ પછી ધક્કો પણ માર્યો હતો. આ ઘટના કુગાથાસ માથુલને સૂર્યવંશીને છેલ્લો બોલ નાખ્યા બાદ તરત જ થઈ હતી. માથુલને પરફેક્ટ યોર્કર નાખ્યો અને જોરદાર સેલિબ્રેશન શરૂ કરી દીધું, જેમાં શ્રીલંકા-Aના અન્ય ખેલાડીઓ પણ જોડાયા. જોકે આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ એવી શંકા છે કે યુવા ઓપનર કાં તો માથુલનની ઉજવણીની રીતથી નાખુશ હતો અથવા મેચ પૂરી થયા પછી તેને કંઈક કહેવામાં આવ્યું હતું. સૂર્યવંશીએ ખેલાડીઓ સાથે ઉગ્ર દલીલો કરવાનું શરૂ કર્યું અને તેણે શ્રીલંકાના એક સ્ટાર ખેલાડીને ધક્કો પણ મારી દીધો. નિરોશન ડિકવેલાએ વચ્ચે પડીને સૂર્યવંશીને અલગ કરવો પડ્યો હતો. જ્યારે ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું ત્યારે પણ વૈભવ ખુશ નહોતો અને પેવેલિયન તરફ પરત ફરતી વખતે તેના સાથી ખેલાડીઓએ તેને શાંત કરવો પડ્યો હતો. કોમેન્ટેટર્સે જણાવ્યું હતું કે દિવસના આવા રોમાંચક મુકાબલા પછી આવી પરિસ્થિતિ સર્જાતી જોવી બિલકુલ યોગ્ય નહોતી. વૈભવની પહેલા પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે બોલાચાલી થઈ ચૂકી છે શ્રીલંકા-A સામે સુપર ઓવર પછી વૈભવ સૂર્યવંશી અને એક શ્રીલંકન ખેલાડી વચ્ચે થયેલી બોલાચાલી આ પહેલીવાર નથી. આ પહેલા પણ વૈભવ પાકિસ્તાન સામે અંડર-19 મેચમાં ઘણી વખત આક્રમક અંદાજમાં જોવા મળી ચૂક્યો છે. 2025 અંડર-19 એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનચેઝ દરમિયાન વૈભવ 26 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટ લીધા પછી પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝાએ તેને આક્રમક અંદાજમાં ઈશારો કર્યો હતો. જવાબમાં વૈભવે ગુસ્સામાં પોતાના શૂઝ તરફ ઈશારો કર્યો હતો. આ ઘટનાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી અને તેના વર્તન પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. બંને ટીમ 2026 U-19 વર્લ્ડ કપના સુપર સિક્સ મેચમાં ફરી સામસામે આવી હતી. ભારતે આ મેચ 58 રનથી જીતી હતી. મેચ દરમિયાન જ્યારે ભારતીય બોલર વિહાન મલ્હોત્રાએ પાકિસ્તાનના અલી હસન બલોચની વિકેટ લીધી, ત્યારે વૈભવ આક્રમક ઉજવણી મનાવતા જોવા મળ્યો હતો. સ્થિતિ એટલી હીટેડ થઈ ગઈ હતી કે વિહાન મલ્હોત્રાએ પોતે દોડીને વૈભવને પાછળ ખેંચવો પડ્યો હતો, જેથી મામલો આગળ ન વધે. સુપર ઓવર પહેલા અને તે પછી ભારે ડ્રામા થયો જ્યારે મેચ ટાઈ થઈ ત્યારે એ સ્પષ્ટ નહોતું કે સુપર ઓવર થશે કે નહીં. અમ્પાયરો દલીલ કરી રહ્યા હતા કે સાંજ ઘણી થઈ ગઈ છે અને આગળ મુકાબલો સંભવ નહીં બને. ત્યારબાદ ભારતીય કેપ્ટન તિલક વર્માની અમ્પાયર સાથે ચર્ચા થઈ. પછી સુપર ઓવર કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદનો વિવાદ સુપર ઓવરમાં શ્રીલંકાની ઇનિંગ્સના છેલ્લા બોલ પર થયો. અરશદ ખાનના ફુલટોસ બોલ પર શ્રીલંકન બેટર કેચ આઉટ થયો. અમ્પાયરે બેટરને આઉટ જાહેર કરી દીધા અને ભારતીય ફિલ્ડરો ગ્રાઉન્ડની બહાર જતો રહ્યો. ત્યારબાદ રિપ્લે જોયા પછી ખબર પડી કે આ બોલ નો-બોલ હતો. બોલ બેટરની કમરથી ઉપર હતો. આ પછી ભારતીય ફિલ્ડરોને ફરીથી બોલાવવામાં આવ્યા અને છેલ્લો બોલ ફરીથી નંખાયો. ડ્રામાની આગામી સિક્વન્સ સુપર ઓવર પછી જોવા મળી. ભારતના મેચ હાર્યા પછી શ્રીલંકન ખેલાડીઓએ વૈભવને કંઈક કહ્યું. આનાથી વૈભવ ભડકી ગયો અને તેમની શ્રીલંકન ખેલાડી સાથે ધક્કા-મુક્કી થઈ ગઈ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

