Alka Yagnik Honored Padma Bhushan Rashtrapati Bhavan Emotional Post Sharing Neuro Disease Battle Photos
- Gujarati News
- Entertainment
- Alka Yagnik Honored Padma Bhushan Rashtrapati Bhavan Emotional Post Sharing Neuro Disease Battle Photos | Hearing Loss
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ સિંગર અલકા યાજ્ઞિકને મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. સન્માન લેતા પહેલાં સિંગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ લીધા અને પછી એવોર્ડ લેવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફ પગલાં ભર્યા. સન્માન મળ્યા બાદ હવે સિંગરે એક ભાવુક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે, કે તેઓ છેલ્લા 2 વર્ષથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
‘મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તસવીર શેર કરતા અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘છેલ્લા 2 વર્ષથી હું લોકોની નજરથી દૂર રહી છું. ન તો જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો અને ન તો મારા જીવન વિશે વધુ કંઈ શેર કર્યું. તમારામાંથી ઘણા લોકો જાણે છે કે હું સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. આવા સમયે તમારો પ્રેમ, પ્રાર્થનાઓ, મેસેજ અને અતૂટ સમર્થન દરેક પગલે મારી સાથે રહ્યું.’

અલકા યાજ્ઞિકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ‘પદ્મ ભુષણ’ એનાયત થયો.
તેમણે આગળ લખ્યું, ‘આજે જ્યારે હું દેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનોમાંના એક પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવા માટે બહાર નીકળી, ત્યારે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું હતું. આ સન્માન મારા માટે અત્યંત નમ્ર અને ભાવુક કરનારું છે. ભલે આના પર મારું નામ લખેલું હોય, પરંતુ આ સન્માન એટલું જ તે બધા લોકોનું છે, જેમણે મારા અવાજને અપનાવ્યો, મારા ગીતોને પેઢીઓ સુધી જીવંત રાખ્યા અને મારા સારા-ખરાબ દરેક સમયમાં મારો સાથ આપ્યો.’

અલકા યાજ્ઞિકની પોસ્ટ.
‘ધીમે ધીમે જીવનના માર્ગ પર પાછી ફરી રહી છું’
સિંગરે આગળ લખ્યું કે, ‘આ ક્ષણ મારા માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ફક્ત મારા કામની ઓળખ નથી, પરંતુ પ્રેમ, આશા અને હિંમતથી મળતી શક્તિની યાદ પણ છે. હું ધીમે ધીમે ફરીથી મારા જીવનના માર્ગ પર પાછી ફરી રહી છું અને આજે અહીં આવવું મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ફક્ત મારા માટે નહીં, પરંતુ તમારા બધા માટે પણ છે, જેઓ આ સફરનો ભાગ રહ્યા છે.’
અલકા યાજ્ઞિકને છે દુર્લભ ન્યુરો ડિઝીઝ, સાંભળવામાં થાય છે તકલીફ
અલકા યાજ્ઞિક છેલ્લા 2 વર્ષથી સંગીતથી દૂર છે. તેમને દુર્લભ ન્યુરો ડિઝીઝ છે, જેના કારણે તેમને સંભળાવાનું લગભગ બંધ થઈ ગયું છે. સારવાર દરમિયાન તેમને લાઉડ મ્યુઝિકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
અલકા યાજ્ઞિકે 2 વર્ષ પહેલા આ અંગે જાણકારી આપતા સંગીતમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘થોડા અઠવાડિયા પહેલા જ્યારે હું એક ફ્લાઇટમાંથી બહાર નીકળી, ત્યારે અચાનક મને સંભળાવાનું બંધ થઈ ગયું. તે ઘટના પછી ઘણા અઠવાડિયા સુધી હિંમત એકઠી કર્યા પછી હવે હું મારી ચૂપકીદી તોડવા માંગુ છું, કારણ કે ઘણા લોકો પૂછી રહ્યા હતા કે, હું આ દિવસોમાં કેમ દેખાતી નથી. ડોકટરોએ જણાવ્યું છે કે, મને એક દુર્લભ બીમારી થઈ છે, જેને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહેવાય છે. આ એક વાયરલ ઇન્ફેક્શનના કારણે થયું છે. આ અચાનક આવેલી મોટી સમસ્યા હતી, જેના માટે હું બિલકુલ તૈયાર નહોતી.’

અલકા યાજ્ઞિકે લાંબી પોસ્ટ લખીને બીમારી વિશે ચાહકોને જણાવ્યું હતું.
તેમણે આગળ લખ્યું હતું કે, ‘હું હજી આ સ્થિતિને સમજવાનો અને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું. તમને બધાને બસ એટલી જ વિનંતી છે કે મને તમારી પ્રાર્થનાઓમાં યાદ રાખો. મારા ચાહકો અને યુવા સાથીઓને હું એ પણ કહેવા માંગુ છું કે, ખૂબ જ તેજ અવાજવાળા સંગીત અને હેડફોનના વધુ પડતા ઉપયોગથી સાવચેત રહો.’
‘એક દિવસ હું મારા વ્યવસાય સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેનાથી થતા જોખમો વિશે વિગતવાર વાત કરવા માંગીશ. હાલમાં, તમારા બધાના પ્રેમ અને સમર્થનના સહારે હું મારી જિંદગીને ફરીથી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છું અને આશા રાખું છું કે જલ્દી જ તમારા બધાની વચ્ચે પાછી ફરીશ.’

આ સેલેબ્સને મળ્યાં પદ્મ સન્માન
અલકા યાજ્ઞિક ઉપરાંત સાઉથ સ્ટાર મમ્મૂટીને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. મમ્મૂટી 50 વર્ષથી ફિલ્મોમાં સક્રિય છે. તેઓ ઘણી ભાષાઓમાં 400થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેઓ ચેરિટીનું કામ પણ કરે છે.

સાઉથ સ્ટાર મમ્મૂટી.
પીઢ એક્ટર સતીશ કૌશિકને પણ મરણોત્તર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ચાર દાયકાની કારકિર્દીમાં તેમની બહુમુખી પ્રતિભા અને કોમિક ટાઈમિંગ માટે જાણીતા સતીશ કૌશિકે ઘણી ફિલ્મો અને યાદગાર ટીવી શોમાં કામ કર્યું.

સતીશ કૌશિકનું સન્માન તેમના ભાઈએ સ્વીકાર્યું.
બોલિવૂડ એક્ટર, પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા માધવન રંગનાથન (આર. માધવન)ને ભારતીય સિનેમા અને કલાના ક્ષેત્રમાં તેના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં એક્ટર ફિલ્મ ‘ધુરંધર’ને કારણે ચર્ચામાં છે.

‘ધુરંધર’ એક્ટર આર. માધવન.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


