ટીમ ઇન્ડિયામાં મિશન 'ક્લીન બોલ્ડ'?:ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારની તૈયારી, ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ ગંભીરના વિશ્વાસુની થઈ શકે હકાલપટ્ટી
ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે સતત બે T-20 સિરીઝ હાર્યા પછી ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટ અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ ટીમમાંથી બહાર થઈ શકે છે. બંનેનો વર્તમાન કરાર ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ પછી સમાપ્ત થઈ રહ્યો છે. સતત ખરાબ પ્રદર્શન બાદ BCCI ટીમ અને સપોર્ટ સ્ટાફની સમીક્ષા કરશે. ટીમની નબળી ફિલ્ડિંગ પણ બોર્ડની ચિંતા વધારી રહી છે. ભારતે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર 10થી વધુ કેચ છોડ્યા. આવી સ્થિતિમાં, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપને પણ હટાવી શકાય છે. ગયા વર્ષે તેમને અભિષેક નાયર સાથે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ફરીથી જવાબદારી સોંપવામાં આવી હતી. રયાન સતત ટ્રાવેલથી ખુશ નથી રિપોર્ટ્સ અનુસાર, રયાન ટેન ડોશેટ આખા વર્ષ દરમિયાન ભારતીય ટીમ સાથે સતત પ્રવાસ કરવાથી સંતુષ્ટ નથી. તેમણે આ વાત BCCI સમક્ષ પણ રજૂ કરી છે. સાથે જ તેમના કોઈ IPL ફ્રેન્ચાઈઝી સાથે જોડાવાની ચર્ચા છે. જ્યારે, મોર્ને મોર્કલ પણ અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. બાલાજીને મળી શકે છે મોટી જવાબદારી જો રાયન ટેન ડોશેટ અને મોર્ને મોર્કલ સપોર્ટ સ્ટાફમાંથી બહાર થાય, તો સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના નવા ફાસ્ટ બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીને શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ સાથે મોકલી શકાય છે. ભારત ઓગસ્ટની શરૂઆતમાં શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. જ્યારે, જુલાઈના અંતમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર યોજાનારી T-20 સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ CoEના કોચિંગ સ્ટાફ સાથે ટીમ ઈન્ડિયાની જવાબદારી સંભાળશે. ગંભીરે પોતે જ બંને કોચ પસંદ કર્યા હતા રાયન ટેન ડોશેટ અને મોર્ને મોર્કલને ગૌતમ ગંભીરે જુલાઈ 2024માં હેડ કોચ બન્યા પછી પોતાના સપોર્ટ સ્ટાફમાં સામેલ કર્યા હતા. આ પહેલા બેટિંગ કોચ અભિષેક નાયરની જગ્યાએ સિતાંશુ કોટકને જવાબદારી સોંપવામાં આવી છે. હવે ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ગંભીરના સપોર્ટ સ્ટાફમાં વધુ એક મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગંભીરે કોચ તરીકે 3 ટ્રોફી જીતી ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ વનડે અને T-20માં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જ્યારે ટેસ્ટમાં નિરાશાજનક રહ્યું છે. વનડેમાં ભારતે 23માંથી 16 મેચ જીતી અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાના નામે કરી. T-20માં ટીમે 53માંથી 37 મેચ જીતી, એશિયા કપ 2025 અને T-20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો. જોકે, આ પછી ભારત પ્રથમ વખત આયર્લેન્ડ (2-0) અને ઇંગ્લેન્ડ (4-0) સામે T-20 સિરીઝ હારી ગયું. જ્યારે ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ રહ્યો. ટીમે 18માંથી માત્ર 6 ટેસ્ટ જીતી, જ્યારે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે સિરીઝ ગુમાવી અને 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ હારી ગયું. 12 વર્ષ પછી ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું 2014 પછી પહેલીવાર ઇંગ્લેન્ડે ભારતને T-20 સિરીઝમાં હરાવ્યું. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 10 સિરીઝ રમાઈ છે, જેમાં ભારતે 5 અને ઇંગ્લેન્ડે 4 જીતી છે. એક સિરીઝ ડ્રો રહી હતી. પહેલીવાર આયર્લેન્ડ સામે પણ હાર્યા ઇંગ્લેન્ડ પહેલાં આયર્લેન્ડ સામે પણ 2 T-20 મેચોની સિરીઝમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમને 2023 પછી કોઈ T-20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2023માં વેસ્ટ ઇન્ડીઝે 3-2થી હરાવ્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

