Kiara Advani Success Story; From Rejections To Box Office Queen, Fugly – M.S. Dhoni

Last Updated: August 6, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Kiara Advani Success Story; From Rejections To Box Office Queen, Fugly M.S. Dhoni | Lust Stories, Kabir Singh, Toxic

2 કલાક પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્ર

  • કૉપી લિંક

આજ કિયારા અડવાણી બોલિવૂડની સૌથી સફળ એક્ટ્રેસિસમાંની એક ગણાય છે. મોટા બેનર, કરોડોની ફિલ્મો અને દેશભરમાં કરોડો પ્રશંસકો તેના નામે બોલે છે. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન સાથે ખાસ કનેક્શન હોવા છતાં તેના માટે સફળતાનો માર્ગ સરળ રહ્યો નથી.

પહેલી જ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ, મહિનાઓ સુધી કામ ન મળ્યું, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી સુપરહિટ ફિલ્મ પછી પણ તેને ઓડિશન આપવા પડ્યા અને ઘણી વાર રિજેક્શન સહન કરવું પડ્યું. ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ તેને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. આ જ કારણ છે કે, આજે પણ ઘણા લોકો ‘કબીર સિંહ’ને તેની પહેલી ફિલ્મ માને છે.

આજની સક્સેસ સ્ટોરીમાં જાણો કિયારા અડવાણીની અંગત જિંદગી અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

પપ્પા બિઝનેસમેન, મમ્મી ટીચર; પણ બાળપણથી સપનું હતું એક્ટ્રેસ બનવાનું

31 જુલાઈ 1992ના રોજ મુંબઈમાં જન્મેલી કિયારા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી બિઝનેસમેન છે, જ્યારે માતા જેનેવીવ જાફરી ટીચર રહી ચૂક્યા છે. જેનેવીવ જાફરી એક્ટર સઈદ જાફરીના ભાઈ હમીદ જાફરી અને તેમનાં પહેલાં પત્ની વેલેરીનાં દીકરી છે. બાદમાં હમીદ જાફરીએ અશોક કુમારનાં દીકરી ભારતી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા.

કિયારાનો પરિવાર ફિલ્મી દુનિયા સાથે સીધો જોડાયેલો નહોતો, પણ બોલિવૂડ સાથે પરિચય બાળપણથી હતો. કિયારાએ જણાવ્યું છે કે, તે બાળપણમાં અરીસા સામે ફિલ્મોના સીનનું પુનરાવર્તન કરતી હતી અને સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. ત્યારે જ તેણે ફિલ્મોમાં કામ કરવાનું સપનું જોયું. તેણે કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને જય હિંદ કોલેજમાંથી માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું. 10મી બોર્ડ પરીક્ષામાં તેને 92% માર્ક્સ આવ્યા હતા.

ફિલ્મોમાં આવતા પહેલા બાળકોને ભણાવતી હતી

ફિલ્મોમાં આવતા પહેલાં, કિયારા તેની માતાના પ્રી-સ્કૂલમાં નાના બાળકોને ભણાવતી હતી. ‘ફિલ્મ કમ્પેનિયન’ને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે, તેને બાળકો સાથે સમય વિતાવવો ગમતો હતો. થોડો સમય આ કામ કર્યા પછી, તેણે ફિલ્મોમાં આવવા માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું.

આલિયાથી કિયારા બનવા પાછળની કહાણી

કિયારાનું અસલી નામ આલિયા હતું. બોલિવૂડમાં પગ મૂકવાની તૈયારી દરમિયાન આલિયા ભટ્ટ પહેલેથી જ સ્થાપિત હતી, તેથી સલમાન ખાને તેને નામ બદલવાની સલાહ આપી. કિયારાએ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’માં જણાવ્યું હતું કે, ફિલ્મ ‘અંજાના અંજાની’માં પ્રિયંકા ચોપરાના પાત્ર ‘કિયારા’થી પ્રેરિત થઈને તેણે નવું નામ પસંદ કર્યું.

સલમાન ખાન સાથેના ખાસ કનેક્શને કામ ન અપાવ્યું

ઘણીવાર એવું માનવામાં આવે છે કે, સલમાન ખાનના પરિવાર સાથેના સંબંધોને કારણે કિયારાને ફિલ્મોમાં સરળતાથી એન્ટ્રી મળી, પરંતુ વાસ્તવિકતા અલગ છે. બંને પરિવારો વચ્ચે જૂના સંબંધો છે, જેને સલમાન અને કિયારા સ્વીકારી ચૂક્યા છે. કિયારાએ રાજ શમાણીના પોડકાસ્ટમાં કહ્યું હતું કે, તેને ક્યારેય માત્ર ઓળખને કારણે કામ મળ્યું નથી. દરેક ફિલ્મ માટે ઓડિશન આપવું પડ્યું.

ખરેખર, કિયારાનાં માતા જેનેવીવ જાફરી અને સલમાન ખાન બાળપણના મિત્રો રહ્યા છે. બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી સારા સંબંધો છે. કિયારાનાં માસી શાહીન જાફરી પણ એક સમયે સલમાન ખાનના નજીકના મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ રહી ચૂક્યાં છે. આ જ કારણ છે કે સલમાન, કિયારાને બાળપણથી ઓળખે છે.

પહેલી ફિલ્મ આવી અને સપનું તૂટતું દેખાયું

2014માં કબીર સદાનંદની ફિલ્મ ‘ફગલી’થી કિયારાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં મોહિત મારવાહ, વિજય રાજ અને જિમી શેરગિલ પણ હતા. રિલીઝ પહેલાં ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર તે ખરાબ રીતે ફ્લોપ રહી. પહેલી ફિલ્મની નિષ્ફળતાની સૌથી મોટી અસર કિયારાની કારકિર્દી પર પડી. જ્યાં ઘણા નવા કલાકારોને પહેલી ફિલ્મ પછી ઓફર મળવા લાગે છે, ત્યાં કિયારાનો ફોન વાગતો બંધ થઈ ગયો.

મહિનાઓ સુધી કોઈ કામ ન મળ્યું, પોતાના પર શંકા થવા લાગી હતી

‘ફગલી’ ફ્લોપ થયા પછી કિયારાનો સૌથી મુશ્કેલ સમય શરૂ થયો. તેણે ‘ફિલ્મ કમ્પેનિયન’ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ઘણા મહિનાઓ સુધી તેની પાસે કોઈ નવી ફિલ્મ નહોતી. તે રોજ મેનેજરને પૂછતી હતી કે, કોઈ કોલ આવ્યો કે નહીં. દરરોજ આશા રહેતી હતી કે, કદાચ કોઈ ડિરેક્ટર કે પ્રોડ્યુસર ફોન કરશે, પરંતુ જવાબ ‘ના’ જ આવતો હતો.

ધીમે ધીમે તેને પોતાના પર શંકા થવા લાગી. શું તેણે ખોટી કારકિર્દી પસંદ કરી લીધી? શું પહેલી ફિલ્મ જ છેલ્લી ફિલ્મ બની જશે? શું હવે કોઈ તેને તક આપશે? આ પ્રશ્નો સતત મનમાં ચાલતા રહેતા હતા. પરંતુ તેણે ઓડિશન આપવાનું છોડ્યું નહીં.

એક ઓડિશને બદલી નાખી જિંદગી

લગભગ બે વર્ષના સંઘર્ષ પછી કિયારાને નીરજ પાંડેની ફિલ્મ ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ માટે ઓડિશનનો મોકો મળ્યો. આમાં તેને સાક્ષી ધોનીનું પાત્ર ભજવવાનું હતું. કિયારા કહે છે કે, આ રોલ માટે પણ ઘણા રાઉન્ડના ઓડિશન અને લુક ટેસ્ટ આપવા પડ્યા હતા. છેલ્લી ઘડી સુધી તેને વિશ્વાસ નહોતો કે ફિલ્મ મળશે કે નહીં? રોલ મળતાં તેને લાગ્યું કે હવે તેની જિંદગી બદલાઈ જશે.

‘એમ.એસ.ધોની’ બ્લોકબસ્ટર થઈ, પરંતુ કિયારા માટે કંઈ બદલાયું નહીં

30 સપ્ટેમ્બર 2016ના રોજ રિલીઝ થયેલી ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોની અને કિયારા અડવાણીએ સાક્ષી ધોનીનો રોલ કર્યો હતો. ફિલ્મની સફળતા પછી લોકોને લાગ્યું કે તેનો સંઘર્ષ પૂરો થઈ ગયો છે, પરંતુ એવું નહોતું.

કિયારાએ જણાવ્યું કે, ફિલ્મ હિટ હોવા છતાં તેને પહેલાની જેમ ઓડિશન આપવા પડતા હતા અને ઘણી વાર સ્ક્રીન ટેસ્ટ પછી પણ રોલ મળતો નહોતો. તેણે કહ્યું હતું કે, ‘લોકોને ફક્ત તમારી રિલીઝ થયેલી ફિલ્મો જ દેખાય છે, પરંતુ તેની પાછળ કેટલા ઓડિશન અને કેટલા રિજેક્શન હોય છે, તે કોઈ જોતું નથી.’

ઘણી ફિલ્મો માટે ઓડિશન આપ્યા, પરંતુ દર વખતે મંઝિલ ન મળી

કિયારા કહે છે કે, તે સમયે તે લગભગ દરેક મોટા પ્રોડક્શન હાઉસ માટે ઓડિશન આપી રહી હતી. ઘણી વાર છેલ્લા રાઉન્ડ, લુક ટેસ્ટ અને કોસ્ચ્યુમ ટ્રાયલ સુધી પહોંચ્યા પછી પણ રોલ કોઈ અન્ય એક્ટ્રેસને મળી જતો. દરેક રિજેક્શન પછી તે વિચારતી હતી કે, ક્યાં કમી રહી ગઈ? જોકે તેણે નક્કી કરી લીધું હતું કે, રિજેક્શનને પોતાની ઓળખ નહીં બનવા દે.

જ્યારે મોટા ફેશન ડિઝાઇનર્સે કહ્યું – ‘હજુ તું સ્ટાર નથી’

આજે કિયારા મોટા ફેશન બ્રાન્ડ્સનો ચહેરો છે, પરંતુ શરૂઆતના દિવસોમાં તેને રેડ કાર્પેટ માટે કપડાં પણ મળતા નહોતા. લિલી સિંહના પોડકાસ્ટમાં તેણે જણાવ્યું હતું કે, ઘણા મોટા ડિઝાઇનર્સ આઉટફિટ આપવાની ના પાડી દેતા હતા, કારણ કે તે મોટી સ્ટાર નહોતી. ઘણા ઇવેન્ટ્સમાં તેને નાના ડિઝાઇનર્સના કપડાં પહેરવા પડતા હતા.

તેણે કહ્યું કે, આ વાત ખૂંચતી હતી, પરંતુ તેને નબળાઈ બનવા દીધી નહીં. તેના મતે, ‘જો તમારું કામ સારું હશે, તો એક દિવસ એ જ લોકો તમારી સાથે કામ કરવા માંગશે.’ આજે દેશના લગભગ બધા મોટા ફેશન ડિઝાઇનર્સ અને લક્ઝરી બ્રાન્ડ્સ તેની સાથે કામ કરે છે.

કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા ટ્રોલિંગને ક્યારેય જવાબ આપ્યો નથી.

કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા ટ્રોલિંગને ક્યારેય જવાબ આપ્યો નથી.

ટીકાઓ પણ મળી અને એક્ટિંગ પર પણ પ્રશ્નો ઉઠ્યા

શરૂઆતની ફિલ્મો પછી કેટલાક વિવેચકોનું માનવું હતું કે, કિયારાની સ્ક્રીન પ્રેઝન્સ સારી છે, પરંતુ એક્ટિંગમાં સુધારાની જરૂર છે. સોશિયલ મીડિયા પર પણ તેને ઘણી વાર ટ્રોલ કરવામાં આવી. તેણે ટીકાઓથી ભાગવાને બદલે દરેક ફિલ્મ પછી પોતાનું કામ જોયું અને સુધારો કર્યો. તેણે એક્ટિંગ વર્કશોપ્સ કર્યા તથા ડાયલોગ ડિલિવરી અને ઇમોશનલ સીન પર ખાસ મહેનત કરી. આ જ મહેનત પછીની ફિલ્મોમાં સ્પષ્ટ દેખાઈ.

‘લસ્ટ સ્ટોરીઝ’એ લોકોની વિચારસરણી બદલી નાખી

2018માં નેટફ્લિક્સની એન્થોલોજી ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’ રિલીઝ થઈ. કરણ જોહર દ્વારા ડિરેક્ટેડ આ વાર્તામાં કિયારાનો રોલ નાનો, પણ પડકારજનક હતો. ફિલ્મ રિલીઝ થતાં જ તેના અભિનયની ખૂબ ચર્ચા થઈ. પહેલીવાર વિવેચકોએ તેને માત્ર સુંદર ચહેરો જ નહીં, પણ એક સારી એક્ટ્રેસ પણ માની. ઘણા ફિલ્મ વિવેચકો અનુસાર, આ જ ફિલ્મે કિયારા પ્રત્યે ઇન્ડસ્ટ્રીનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો.

પછી આવી ‘કબીર સિંહ’ અને રાતોરાત બદલાઈ ગઈ જિંદગી

2019માં શાહિદ કપૂર સાથે રિલીઝ થયેલી ‘કબીર સિંહ’ કિયારાના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની. ફિલ્મે બોક્સ ઓફિસ પર 370 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો અને વર્ષની સૌથી મોટી હિન્દી ફિલ્મોમાં સામેલ રહી. પ્રીતિના શાંત અને સંવેદનશીલ પાત્રે તેને ઘેર ઘેર ઓળખ અપાવી. આ પછી તેની પાસે ફિલ્મોની ભરમાર થઈ ગઈ અને ડિરેક્ટર્સ-પ્રોડ્યુસર્સ જાતે ઓફર આપવા લાગ્યા.

એક પછી એક હિટ ફિલ્મોએ બનાવી દીધી બોક્સ ઓફિસ ક્વીન

‘કબીર સિંહ’ પછી કિયારાએ પાછળ વળીને જોયું નથી. ‘ગુડ ન્યૂઝ’, ‘શેરશાહ’, ‘ભૂલ ભુલૈયા 2’ અને ‘સત્યપ્રેમ કી કથા’માં અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવીને તેણે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી. ખાસ કરીને ‘શેરશાહ’માં ડિમ્પલ ચીમાના પાત્રને દર્શકો અને વિવેચકોએ ખૂબ વખાણ્યું. અહીંથી તે માત્ર સ્ટાર જ નહીં, પરંતુ એક સશક્ત એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઈ ગઈ.

કિયારાએ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે.

કિયારાએ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે.

લગ્ન પછી પણ કરિયર અટક્યું નહીં, પરંતુ વધુ મજબૂત બન્યું

7 ફેબ્રુઆરી 2023ના રોજ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને તે વર્ષના ચર્ચિત સેલિબ્રિટી લગ્નોમાંનું એક હતું. લગ્ન પછી પણ તેણે મોટા બેનરોની ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. ‘સત્યપ્રેમ કી કથા’માં તેના એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ. ઘણા વિવેચકોએ તેને તેની કારકિર્દીના સૌથી પરિપક્વ પ્રદર્શનમાંનું એક ગણાવ્યું.

‘ટોક્સિક’ દુનિયાભરના સિનેમાઘરોમાં 26 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થશે.

‘ટોક્સિક’ દુનિયાભરના સિનેમાઘરોમાં 26 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થશે.

માતા બન્યા પછી હવે સૌથી મોટા કમબેકની તૈયારી

2025માં કિયારાએ દીકરી સરાયાહને જન્મ આપ્યો. આ પછી કિયારાએ થોડા સમય માટે કામમાંથી બ્રેક લીધો. હવે તે મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. તેની ચર્ચિત આગામી ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ છે, જેમાં તે સુપરસ્ટાર યશ સાથે જોવા મળશે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે, આ તેના કરિયરની સૌથી મોટી પાન-ઈન્ડિયા રિલીઝમાંથી એક હોઈ શકે છે.

‘ટોક્સિક’ના ગીત ‘તબાહી’ પર ટ્રોલ થઈ

જોકે, ફિલ્મના ગીત ‘તબાહી’માં યશ અને કિયારા અડવાણીના ઇન્ટિમેટ સીન્સને લઈને સોશિયલ મીડિયા પર કિયારાને ટ્રોલ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે લગ્ન અને માતા બન્યા પછી તેના બોલ્ડ સીન કરવા પર પ્રશ્ન ઉઠાવ્યા. જ્યારે ઘણા લોકોએ તેને મહિલા કલાકારો પ્રત્યે ડબલ સ્ટાન્ડર્ડ ગણાવ્યું, કારણ કે યશ પણ પરિણીત છે અને બે બાળકોના પિતા છે.

કિયારા બોલી – ‘લોકો પ્રામાણિકતાથી કરેલા કામ સાથે જોડાશે’

ટ્રોલિંગ વચ્ચે કિયારા અડવાણીએ સીધા વિવાદ પર પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ ફિલ્મ અને પોતાના પાત્રનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું, ‘મને લાગે છે કે લોકો પ્રામાણિકતાથી કરેલા કામ સાથે જોડાય છે. ‘ટોક્સિક’માં મારું પાત્ર મારા કરિયરના સૌથી રચનાત્મક અને સંતોષકારક અનુભવોમાંથી એક રહ્યું છે. જ્યારે દર્શકો આખી ફિલ્મ જોશે, ત્યારે તેમને આ પાત્ર અને વાર્તાનો સંદર્ભ વધુ સારી રીતે સમજાશે.’

કિયારાના સમર્થનમાં તેની કો-સ્ટાર હુમા કુરેશી પણ સામે આવી હતી. તેણે ટ્રોલિંગને ‘સિક’ અને ‘ડિસ્ગસ્ટિંગ’ ગણાવતા કહ્યું કે, ‘કોઈ એક્ટ્રેસને માત્ર એટલા માટે નિશાન બનાવવી ખોટું છે કારણ કે, તે પોતાના પ્રોફેશનનો ભાગ ભજવી રહી છે.’ હુમાએ કહ્યું કે, ‘કલાકારોને અંગત જીવન નહીં, પરંતુ તેમના કામના આધારે આંકવા જોઈએ.’ ફિલ્મમાં કામ કરી રહેલા બ્રિટિશ એક્ટર બેનેડિક્ટ ગેરેટે પણ કિયારાનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે, ‘કલાકારો માત્ર પોતાનું પાત્ર ભજવી રહ્યા છે અને તેમને અંગત જીવનના આધારે જજ કરવા યોગ્ય નથી.’

આ પહેલાં ફિલ્મના ટીઝર અને પ્રમોશનલ કન્ટેન્ટને લઈને પણ સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી. કેટલાક લોકોએ મહિલા પાત્રોની રજૂઆત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે મેકર્સનું કહેવું છે કે ફિલ્મનો સંપૂર્ણ સંદર્ભ રિલીઝ થયા પછી જ સમજાશે.

Leave A Comment