What Happens to Aadhaar Card After Death? UIDAI Process | Gujarat News

Last Updated: August 7, 2026By

વ્યક્તિના મૃત્યુ પછી તેના સરકારી દસ્તાવેજો અને વિશેષ કરીને આધાર કાર્ડનું શું થાય છે તે પ્રશ્ન અનેક લોકોના મનમાં થતો હોય છે. ઓળખની ચોરી અને નાણાકીય છેતરપિંડી જેવી ગેરરીતિઓ અટકાવવા માટે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા મૃત વ્યક્તિઓના આધાર નંબરોને ડિસેક્ટ કરવાની પ્રક્રિયા અત્યંત ઝડપી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશભરમાં કરોડો મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિસેક્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે, UIDAI ક્યારેય આધાર રેકોર્ડ સંપૂર્ણપણે ભૂંસી નાખતું નથી, પરંતુ મૃત્યુને કારણે તેને કાયમી રૂપે ‘નિષ્ક્રિય’ તરીકે ચિહ્નિત કરી દે છે.

આધાર સક્રિય રાખવાથી થાય છે જોખમો

મૃત્યુ પછી આધાર નંબર સક્રિય રાખવાથી મોટા સુરક્ષા અને કાનૂની જોખમો ઉભા થઈ શકે છે. છેતરપિંડી કરનારાઓ આવા સક્રિય આધારનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે બેંક ખાતા ખોલાવવું, લોન મેળવવી, સિમ કાર્ડ ખરીદવા અથવા પેન્શન અને રાશન જેવા સરકારી લાભો હડપ કરી શકે છે. જેના કારણે મૃતકના પરિવારને ગંભીર કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ જોખમોને ટાળવા માટે આધારને નિષ્ક્રિય કરવું અનિવાર્ય છે.

આધારકાર્ડનો ડેટા ડિલીટ નથી કરાતો

સવાલ એ થાય છે કે UIDAI આધાર ડેટા કાયમી ધોરણે કેમ કાઢી નાખતું નથી? તેનું કારણ એ છે કે દરેક આધાર નંબર અનન્ય (Unique) હોય છે અને તે ક્યારેય અન્ય વ્યક્તિને ફરીથી ફાળવવામાં આવતો નથી. આ ઉપરાંત, મિલકતની માલિકી, બેંક ખાતા અને ટેક્સ ફાઇલિંગ જેવા કાનૂની તથા નાણાકીય હેતુઓ માટે ઐતિહાસિક રેકોર્ડ સાચવવા જરૂરી બને છે. બાયોમેટ્રિક ક્લોનિંગ કે છેતરપિંડી રોકવા માટે મૃતકની ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક ડેટાને કાયમી ધોરણે લોક કરી દેવામાં આવે છે.

મૃત્યુનો રેકોર્ડ મેળવ્યા બાદ કરે છે સંપૂર્ણ પ્રક્રિયા

આધાર ડેટાબેઝને અપડેટ રાખવા માટે UIDAI વિવિધ એજન્સીઓ સાથે મળીને કામ કરે છે. તે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા તેમજ કલ્યાણકારી યોજનાઓ અને બેંકો પાસેથી મૃત્યુના રેકોર્ડ મેળવે છે. આ ઉપરાંત, પરિવારો પોતે પણ myAadhaar પોર્ટલ પર જઈને મૃત્યુ પ્રમાણપત્ર અને જરૂરી વિગતો રજૂ કરીને ઓનલાઈન માધ્યમથી મૃતક સભ્યના આધારની જાણ કરી શકે છે અને તેને નિષ્ક્રિય કરાવી શકે છે. આ પારદર્શક વ્યવસ્થાથી છેતરપિંડી અટકે છે અને ડેટા સુરક્ષિત રહે છે.

આ પણ વાંચોઃ હમારી છોરીયા છોરો સે કમ હૈ કે? ભાવના કંથ બની દેશની પ્રથમ મહિલા “ટોપ ગન” પાઇલટ