Pradeep Rawat Prayer Meet; Son Vikramaditya Cries Emotional Tribute
14 કલાક પેહલા
- કૉપી લિંક
મુંબઈમાં શુક્રવારે દિવંગત એક્ટર પ્રદીપ રાવતની પ્રાર્થના સભા યોજાઈ. જેમાં પરિવારની સાથે ફિલ્મ જગતના મિત્રો અને સાથી કલાકારો સામેલ થયા. પ્રદીપ રાવતનું 74 વર્ષની ઉંમરે બ્લડ કેન્સરથી નિધન થયું હતું. પ્રાર્થના સભામાં દીકરા વિક્રમાદિત્ય રાવતે પિતાને યાદ કરતા ભાવુક શ્રદ્ધાંજલિ આપી. તેણે કહ્યું કે, તે તેના પિતાનો વારસો આગળ વધારશે અને તેમનું નામ રોશન કરશે.
આ દરમિયાન પિતાને યાદ કરીને વિક્રમાદિત્ય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને કહ્યું, ‘તમે અહીં આવ્યા તે બદલ આભાર, હું વાત કરવાની સ્થિતિમાં નથી. ઘણી બધી યાદો છે. મારા હાથ-પગ ધ્રુજી રહ્યા છે.’

વિક્રમાદિત્યે બધાનો આભાર માન્યો.

પિતાને યાદ કરીને વિક્રમાદિત્ય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
‘પિતા સન્માનનીય અને આદરણીય વ્યક્તિ હતા’
પ્રાર્થના સભા દરમિયાન ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા વિક્રમાદિત્ય રાવત પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયો. તેણે કહ્યું, ‘સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે, હું મારા પિતા વિશે જેટલા પણ શબ્દો બોલું, તે હંમેશા ઓછા પડશે. તેઓ સન્માનનીય અને આદરણીય વ્યક્તિ હતા.’
તેણે આગળ કહ્યું, ‘હું ગમે તેટલી વાર ભગવાનને પ્રાર્થના કરું કે, ભગવાન મને પૂછે કે મને કેવા પિતા જોઈતા હતા, તો હું હંમેશા તેમનું નામ લઈશ.’
સલમાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, કહ્યું- ‘પપ્પા તેમની વાર્તાઓ સંભળાવતા હતા’
વિક્રમાદિત્યે કહ્યું, ‘હું ખરેખર એક વાત કહેતો હતો, હવે જો આ વાત તેમના સુધી પહોંચી જાય તો ખૂબ સારું રહેશે. હું પપ્પાને કહેતો હતો કે પપ્પા મારે સલમાન સરને મળવું છે, કારણ કે હું સલમાન ભાઈનો બહુ મોટો ફેન છું.’
તેણે આગળ કહ્યું, ‘ફક્ત એક્ટિંગ માટે જ નહીં, તે વ્યક્તિ ખૂબ સારા છે. પપ્પા મને તેમની વાર્તાઓ કહેતા હતા કે કેવી રીતે એક ઘરમાં રહેતા હતા, સલીમ સાહેબ, તેમની કેટલા નજીક હતા.’
વિક્રમાદિત્યએ ઉમેર્યું, ‘ખૂબ ખુશી થઈ કે સલમાન ભાઈજાને પપ્પાને એક ટ્રિબ્યુટ આપ્યું આટલા વર્ષો પછી જ્યારે તેમની વાતચીત નથી થઈ, મુલાકાત નથી થઈ. ખૂબ ખુશી થઈ.’

સલમાન ખાને પ્રદીપ રાવતને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.
બે મહિના પહેલાં શરૂ થઈ હતી હેડકી, દવાઓની અસર ન થઈ
વિક્રમાદિત્યએ પ્રદીપ રાવતની છેલ્લી બીમારી વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે, ‘શરૂઆતમાં તે સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા જેવી લાગી હતી, પરંતુ જલ્દી જ જીવલેણ સ્થિતિમાં બદલાઈ ગઈ. બે મહિના પહેલાં તેમને હેડકી આવવાની શરૂ થઈ. તેઓ ઘરે આવ્યા અને અમને લાગ્યું કે કદાચ કોઈ સામાન્ય ચેપ હશે. પરંતુ જ્યારે હેડકી વધતી ગઈ, ત્યારે અમે ડોક્ટરને ઘરે બોલાવ્યા.’
વિક્રમાદિત્યએ કહ્યું, ‘ડોક્ટરના આવ્યા પછી તેમણે જણાવ્યું કે ગંભીર ચેપ હોઈ શકે છે. ડોક્ટરે ઘણી દવાઓ લખી, પરંતુ કમનસીબે તેમાંથી કોઈની અસર ન થઈ.’
પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર ફરી પાછું આવ્યું હતું. 5 ઓગસ્ટ 2026ના રોજ તેમનું નિધન થયું. તેમના પરિવારમાં પત્ની કલ્યાણી રાવત અને દીકરો વિક્રમાદિત્ય રાવત છે.
‘પિતાના વારસાને વધુ મોટો કરીશ’
વિક્રમાદિત્યએ તેના પિતાના વારસાને આગળ વધારવાનું વચન આપ્યું. તેણે કહ્યું, ‘તેમને વિશ્વાસ હતો અને મને પણ વિશ્વાસ છે કે એક દિવસ હું તેમનું નામ રોશન કરીશ.’
તેણે કહ્યું, ‘હું તેમનો વારસો આગળ વધારીશ. હું તેમનો વારસો અપનાવવા માંગુ છું અને તેને વધુ મોટો બનાવવા માંગુ છું.’
પ્રેયર મીટની તસવીરો-

પ્રેયર મીટમાં દિવંગત એક્ટર પ્રદીપ રાવતને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

પત્ની અને દીકરા વિક્રમાદિત્યે હાથ જોડીને પ્રદીપ રાવતને શ્રદ્ધાંજલિ આપી.


પ્રદીપ રાવતના નજીકના મિત્ર યશપાલ શર્મા પ્રેયર મીટમાં પહોંચ્યા.

એક્ટર રઘુવીર યાદવ પણ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા.

ફિલ્મ ‘લગાન’ના એક્ટર આમિન હાજી પહોંચ્યા.

એક્ટર મુકેશ ઋષિ પ્રેયર મીટમાં સામેલ થયા.

કોમેડિયન સુનીલ પાલ પહોંચ્યા.

એક્ટર અખિલેન્દ્ર મિશ્રા શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.
74 વર્ષની ઉંમરે મંગળવારે પ્રદીપ રાવતનું નિધન થયું હતું. બુધવારે મુંબઈના ગોરેગાંવમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આમિર ખાન અને રઝા મુરાદ સહિત અનેક સેલેબ્સ પ્રદીપ રાવતના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


