FSSAI Bans Plastic Packaging for Pan Masala & Gutkha

Last Updated: August 11, 2026By

નવી દિલ્હી1 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ પાન મસાલાના પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો હેઠળ, કંપનીઓ હવે ફક્ત કાગળ, ટીન અથવા ગ્લાસ કન્ટેનરમાં જ પાન મસાલા પેક કરીને વેચી શકશે.

કંપનીઓએ નવા ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો તરફ વળવું પડશે. FSSAI એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકેજિંગ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2026 ને નોટિફાય કર્યું છે. આ નવા નિયમો તાત્કાલિક અમલમાં આવી ગયા છે.

FSSAI ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકેજિંગ એમેન્ડમેન્ટ રેગ્યુલેશનનો નોટિફિકેશન લેટર.

FSSAI ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકેજિંગ એમેન્ડમેન્ટ રેગ્યુલેશનનો નોટિફિકેશન લેટર.

9 પ્રશ્નોના જવાબમાં સમજીએ કે નવા નિયમો શું છે, કંપનીઓએ શું ફેરફારો કરવા પડશે અને સામાન્ય ગ્રાહકો પર શું અસર થશે…

પ્રશ્ન 1: FSSAI એ કયા નિયમો લાગુ કર્યા છે?

જવાબ: FSSAI એ પાન મસાલાના પેકેજિંગમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક, પોલિથીન, PVC, પોલિએસ્ટર અથવા સિન્થેટિક પોલિમરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

પ્રશ્ન 2: પ્લાસ્ટિક-એલ્યુમિનિયમ ફોઇલ પેકેજિંગ શા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું?

જવાબ: મુખ્ય કારણ પર્યાવરણ સુરક્ષા છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઇલવાળા પાઉચ વર્ષો સુધી નષ્ટ થતા નથી અને પ્રદૂષણ વધારે છે. આ નિયમનો હેતુ પાન મસાલાના પેકેજિંગને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત અને ઇકો-ફ્રેન્ડલી બનાવવાનો છે. આ નિર્ણય પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 ના ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016’ ની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે.

પ્રશ્ન 3: હવે કંપનીઓ પેકેજિંગ માટે શું ઉપયોગ કરશે?

જવાબ: પાન મસાલા બનાવતી કંપનીઓ હવે ફક્ત પ્લાસ્ટિક-મુક્ત કાગળ, પેપરબોર્ડ, સેલ્યુલોઝ અથવા અન્ય કુદરતી રીતે મળતી સામગ્રીનો ઉપયોગ કરી શકશે. FSSAI એ ટીનના ડબ્બા અથવા કાચના કન્ટેનરને પણ પેકેજિંગ માટે મંજૂરી આપી છે.

પ્રશ્ન 4: શું કંપની બહાર કાગળ અને અંદર પ્લાસ્ટિક કે ચળકતી પન્ની લગાવી શકે છે?

જવાબ: ના. FSSAI એ તેના પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ કંપની નિયમોથી બચવા માટે બહારથી કાગળનું કવર લગાવે છે, પરંતુ પાઉચની અંદર ભેજ રોકવા માટે પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમનો ઉપયોગ કરે છે તો તેને ગેરકાનૂની ગણવામાં આવશે. પેકેજિંગ અંદર અને બહાર, બંને તરફથી સંપૂર્ણપણે પ્લાસ્ટિક-ફ્રી હોવું જોઈએ.

પ્રશ્ન 5: શું આ પ્રકારનો બદલાવ પહેલીવાર થયો છે?

જવાબ: હા, પેકેજિંગના નિયમોને લઈને આ એક મોટો બદલાવ છે. 2018ના ‘ખાદ્ય સુરક્ષા અને માનક (પેકેજિંગ) નિયમો’માં સુધારો કરવામાં આવ્યો છે. હવે પાન મસાલાને ‘શેડ્યૂલ 4’ હેઠળ નવી એન્ટ્રી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તેમાં સરકાર તે સામાનની યાદી રાખે છે, જેના માટે પેકેજિંગ મટીરીયલના ખાસ નિયમો અને સૂચનો નક્કી કરવામાં આવે છે.

પ્રશ્ન 6: શું પાન મસાલા કે ગુટખાના વેચાણ પર પણ પ્રતિબંધ છે?

જવાબ: ના, FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે આ નોટિફિકેશન ખાસ કરીને માત્ર પેકેજિંગ નિયમો માટે છે. પ્રોડક્ટ તરીકે પાન મસાલાના વેચાણ પર કોઈ નવો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. તે બજારમાં વેચાતો રહેશે.

પ્રશ્ન 7: નિયમોનું પાલન ન કરતી કંપનીઓ સામે શું કાર્યવાહી થશે?

જવાબ: જો કોઈ કંપની પ્લાસ્ટિક, સિન્થેટિક પોલિમર અથવા એલ્યુમિનિયમ લેયરવાળી પેકેજિંગનો ઉપયોગ ચાલુ રાખે છે, તો તેના પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અને ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમાં ભારે દંડ લાદવાથી લઈને ઉત્પાદન પર પ્રતિબંધ અને કંપનીનું લાઇસન્સ રદ કરી શકાય છે.

પ્રશ્ન 8: શું પાન મસાલાના ભાવ પર પણ અસર પડશે?

જવાબ: હા, તેના ભાવમાં વધારો થવાની સંભાવના છે. પ્લાસ્ટિક પાઉચની સરખામણીમાં કાગળ, ટીન કે કાચની પેકેજિંગ તૈયાર કરવી કંપનીઓ માટે થોડી મોંઘી હોય છે. જ્યારે કંપનીઓની પેકેજિંગ કોસ્ટ એટલે કે ખર્ચ વધશે, ત્યારે તેઓ તેનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે, જેનાથી આવનારા સમયમાં પાન મસાલાના ભાવ વધી શકે છે.

પ્રશ્ન 9: નવા નિયમો ક્યારથી લાગુ ગણાશે?

જવાબ: 10 ઓગસ્ટ 2026 ના રોજ રાજપત્રમાં પ્રકાશિત થતાની સાથે જ આ નિયમો લાગુ થઈ ગયા છે. કંપનીઓએ હવે તાત્કાલિક તેમની પેકેજિંગ વ્યવસ્થા બદલવી પડશે.

———————-

આ સમાચાર પણ વાંચો:

હવે બજારમાં જોવા મળશે પ્લાસ્ટિકની નવી નોટો:10 અને 20 રૂપિયાની 100-100 કરોડ નોટ આવશે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી મંજૂરી

સરકારે 10 અને 20 રૂપિયાની પોલિમર બેંક નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. બંનેના 100-100 કરોડ પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટ જાહેર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી.

RBIએ 10 અને 20 રૂપિયાની 100-100 કરોડ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટ્રાયલ સફળ થયા પછી, આ બંનેની પોલિમર નોટો નિયમિતપણે જાહેર કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે સરકારે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. RBI અનુસાર, પોલિમર નોટો કાગળની બનેલી નોટો સાથે જાહેર કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર…