'કાલા હિરણ' વિવાદમાં નવો વળાંક:ટીઝર હટાવવાના હાઇકોર્ટના નિર્ણયને મેકર્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો; સલમાનની અરજી બાદ કોર્ટે આદેશ આપ્યો હતો
ફિલ્મ નિર્માતા અમિત જાનીએ તેની ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી’નું ટીઝર હટાવવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટે સલમાન ખાનની અરજી પર સુનાવણી કરતા ટીઝર અને તેની સાથે સંબંધિત પ્રચાર સામગ્રી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ ફિલ્મ બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે સંકળાયેલા 1998ના ચર્ચિત કાળા હરણના શિકાર કેસથી પ્રેરિત હોવાનું કહેવાય છે. સલમાનની ફરિયાદ બાદ હાઈકોર્ટે તેના વ્યક્તિત્વ અધિકારોના કથિત ઉલ્લંઘનનો હવાલો આપતા પ્રચાર સામગ્રી હટાવવાનો આદેશ આપ્યો હતો. જાનીએ તેની અપીલમાં કહ્યું છે કે, ‘આ આદેશ અયોગ્ય સેન્સરશીપ છે અને મારી અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને મર્યાદિત કરે છે.’ તેનું કહેવું છે કે, ‘સાર્વજનિક રેકોર્ડ અને ઐતિહાસિક કાનૂની મામલાઓ પર કોઈનો એકાધિકાર હોઈ શકે નહીં.’ જાનીએ હાઈકોર્ટના આદેશને ઉતાવળિયો ગણાવ્યો કાનૂની વિવાદ વચ્ચે ફિલ્મ નિર્માતાની સુરક્ષાને લઈને પણ ચિંતા સામે આવી છે. જાનીનો દાવો છે કે, સંગઠિત ગુનાહિત જૂથોએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. આ જૂથોએ તેની પાસેથી ફિલ્મ પ્રોજેક્ટ છોડી દેવાની માંગ કરી છે. જાનીએ અપીલમાં જણાવ્યું કે, હાઈકોર્ટે તેની કાનૂની ટીમને પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપ્યા વિના જ રોક લગાવવાનો આદેશ જારી કરી દીધો. સલમાનની અરજી પર ટીઝર અને ઇન્ટરવ્યુ હટાવવાનો આદેશ આ ઘટનાક્રમ તે આદેશ પછી સામે આવ્યો છે, જે હાઈકોર્ટે સલમાન ખાનના વ્યક્તિત્વ અધિકારોની સુરક્ષાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો. 27 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી’ના ટીઝરને સોશિયલ મીડિયા પરથી હટાવવાના નિર્દેશ આપ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે, જો પ્રોડ્યુસર 24 કલાકની અંદર ટીઝરની લિંક નહીં હટાવે, તો એક્સ (અગાઉ ટ્વિટર) અને યુટ્યુબ જેવી ઇન્ટરનેટ કંપનીઓને તેને હટાવવાના આદેશ આપવામાં આવશે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જ્યોતિ સિંહે ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીના વલણ પર સખત નારાજગી વ્યક્ત કરી. અદાલતે કહ્યું કે, ‘આરોપી દરરોજ પોતાની મર્યાદાઓ ઓળંગી રહ્યો છે અને પોતાને કાયદાથી ઉપર સમજી રહ્યો છે.’ જજે ટિપ્પણી કરી કે, ‘કોઈ સામાન્ય નાગરિક સાથે પણ આવો વ્યવહાર કરી શકાય નહીં. શાખ બનાવવામાં ઘણી મહેનત લાગે છે અને એકવાર છબી ખરાબ થયા પછી તેને પાછી મેળવવી સરળ હોતી નથી.’ અદાલતે ફિલ્મ નિર્માતા અમિત જાની દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુ પણ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાનું રક્ષણ જરૂરી છે.’ કોર્ટે ફિલ્મમાં એક્ટરના સંદર્ભો દેખાવા પર ચિંતા પણ વ્યક્ત કરી હતી. અદાલતે સંકેત આપ્યો હતો કે, તે પછીથી વધુ કડક ટિપ્પણીઓ સાથેનો વિસ્તૃત આદેશ જારી કરશે. સલમાને આ આરોપો લગાવ્યા સલમાન ખાનના પક્ષના વકીલોએ કોર્ટને જણાવ્યું કે ટીઝરમાં એક પાત્રને સલમાન જેવી શક્લ અને તેમનું પ્રખ્યાત બ્રેસલેટ પહેરાવીને બતાવવામાં આવ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ સલમાન ખાન અને 1998ના કાળા હરણ કેસ પર આધારિત છે. સલમાન તરફથી જણાવવામાં આવ્યું કે, તેણે પહેલા પ્રોડ્યુસરને લીગલ નોટિસ મોકલી હતી, પરંતુ અમિત જાનીએ એક ઇન્ટરવ્યુમાં તે નોટિસ ફાડી નાખી અને ઇન્ટરનેટ પર ધમકીઓ મળવાનો દાવો કરવા લાગ્યા. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, એક પોસ્ટરમાં પાત્રને રાઇફલ પકડેલું બતાવવામાં આવ્યું છે. સલમાને દાવો કર્યો છે કે, આવા ચિત્રણથી લોકો ભ્રમિત થઈ શકે છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે આ વાત ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે 1998ના કેસ સાથે સંકળાયેલી આર્મ્સ એક્ટની કાર્યવાહીમાં સલમાન ખાન નિર્દોષ છૂટી ગયો છે. પ્રોડ્યુસરની દલીલ- કોઈનું નામ ઉપયોગમાં લેવાયું નથી સુનાવણી દરમિયાન પ્રોડ્યુસર અમિત જાનીના વકીલે પક્ષ રજૂ કરતા કહ્યું કે, ફિલ્મમાં સલમાન ખાનનું નામ ક્યાંય ઉપયોગમાં લેવાયું નથી. ટીઝરમાં કોઈ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કે ડીપફેક ટેકનિકનો પ્રયોગ પણ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે, આ ફક્ત એક ટીઝર છે અને સાર્વજનિક ઘટનાઓ પર ફિલ્મ બનાવવાથી કોઈના પર્સનલ રાઇટ્સનું હનન થતું નથી. જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દેતા કહ્યું કે મામલો અદાલતમાં પેન્ડિંગ હોય ત્યારે આવી વસ્તુઓ સાર્વજનિક કરવી અદાલતની અવમાનનાના દાયરામાં આવે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

