જિન્નાની બીમારી છુપાવનારા ડોકટરોને પાકિસ્તાન સન્માનિત કરશે:મુંબઈના બે ડોકટરોએ 1946માં જણાવ્યું હતું- જિન્નાને ગંભીર ટીબી
પાકિસ્તાન તેના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાની ગંભીર બીમારીની માહિતી ગુપ્ત રાખનારા મુંબઈના બે ડોકટરોને દેશના મોટા નાગરિક સન્માનોમાંથી એક નિશાન-એ-ઇમ્તિયાઝ આપશે. બંને ડોકટરોએ 1946માં જિન્નાના એક્સ-રેની તપાસ કરીને તેમને ગંભીર ટીબી હોવાની માહિતી આપી હતી. પાકિસ્તાનના યોજના મંત્રી અને એવોર્ડ્સ કમિટીના અધ્યક્ષ અહસન ઇકબાલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે બંને ડોકટરોને સન્માનિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ડોકટરોએ જિન્નાની બીમારીની વાત કોઈને કહી ન હતી અને તે સમયે ‘ચુપચાપ પણ ખૂબ મોટી જવાબદારી નિભાવી.’ મુંબઈના પારસી સમુદાયના બંને ડોકટરો જિન્નાની બીમારી છુપાવનારા બંને ડોકટરો મુંબઈના પારસી સમુદાયના હતા. ડો. જે.આર. પટેલ અને ડો. જે.એ. ધાયભો-કૂએ 1946માં જિન્નાના એક્સ-રેની તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે જિન્નાને ગંભીર ટીબી હતો. ફ્રીડમ એટ મિડનાઈટ પુસ્તક મુજબ, ડોકટરોને લાગતું હતું કે જિન્ના પાસે માત્ર 1થી 2 વર્ષનો સમય બાકી છે. તેમની બીમારી વિશે બહુ ઓછા લોકોને ખબર હતી. તેમાં તેમની બહેન ફાતિમા જિન્ના અને બંને ડોકટરોનો સમાવેશ થતો હતો. ‘જિન્નાની બીમારી સામે આવત, તો પાકિસ્તાન ન બનત’ જિન્નાની બીમારીની વાત છુપાવવાને અવારનવાર ભારતના ભાગલા અને પાકિસ્તાન બનવા સાથે જોડીને જોવામાં આવે છે. પાકિસ્તાનના મંત્રી અહસન ઈકબાલે જણાવ્યું કે પૂર્વ બ્રિટિશ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને કહ્યું હતું કે જો તેમને તે સમયે ખબર હોત કે જિન્ના ગંભીર રીતે બીમાર છે, તો તેઓ ભારતની આઝાદી થોડા મહિનાઓ માટે ટાળી શક્યા હોત. તેમના મતે, જો આવું થયું હોત તો કદાચ પાકિસ્તાન ન બનત. જોકે, એ ચોક્કસપણે કહી શકાય નહીં કે જિન્નાની બીમારી સામે આવતા પાકિસ્તાનનું નિર્માણ અટકી જ જાત. પાકિસ્તાન બન્યાના લગભગ એક વર્ષ પછી જિન્નાનું મૃત્યુ 11 સપ્ટેમ્બર 1948ના રોજ થયું હતું. હવે પાકિસ્તાન આ બંને ડોકટરોને મરણોત્તર સન્માન આપવા જઈ રહ્યું છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

