કરીના કપૂરના માસીએ 1 રૂપિયાની ફીથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું:'સાધના કટ'થી દેશભરમાં છવાઈ ગયાં, છેલ્લા દિવસોમાં એક એક પૈસા માટે ફાંફા મારવા પડ્યા
હિન્દી સિનેમાના 60 અને 70ના દાયકામાં એક એવી એક્ટ્રેસ આવી, જેમણે પોતાની સુંદરતા, અભિનય અને સ્ટાઇલથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી. નામ હતું સાધના શિવદાસાની. ક્યારેક તેમની ફિલ્મો હિટ થતી હતી અને તેમની હેરસ્ટાઇલ આખા દેશમાં ટ્રેન્ડ કરતી હતી, પરંતુ જીવનના છેલ્લા તબક્કામાં તેમને બીમારી, આર્થિક તંગી અને એકલતાનો સામનો કરવો પડ્યો. સાધનાનો જન્મ 2 સપ્ટેમ્બર 1941ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના કરાચીમાં એક સિંધી પરિવારમાં થયો હતો. 1947ના ભાગલા પછી તેમનો પરિવાર ભારત આવીને મુંબઈમાં સ્થાયી થયો. બાળપણથી જ સાધના એક્ટ્રેસ બનવા માંગતાં હતાં. લગભગ 14 વર્ષની ઉંમરે તેમને રાજ કપૂરની ફિલ્મ ‘શ્રી 420’માં કામ કરવાની તક મળી, જ્યાં તેઓ ‘મુડ મુડ કે’ ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળ્યાં હતાં. 1 રૂપિયાની ફીથી ફિલ્મી સફર શરૂ થઈ સાધનાની એક્ટિંગ કારકિર્દી ફિલ્મ ‘અબાના’થી શરૂ થઈ. જે ભારતની પહેલી સિંધી ફિલ્મ હતી. આ ફિલ્મ 1958માં રિલીઝ થઈ હતી. એવું કહેવાય છે કે, આ ફિલ્મ માટે તેમને માત્ર 1 રૂપિયાની ફી મળી હતી. આ જ નાની ફી આગળ જતાં તેમની મોટી ફિલ્મી સફરની શરૂઆત બની. ‘લવ ઇન શિમલા’એ બદલી કિસ્મત સાધનાને ખાસ ઓળખ 1960માં આવેલી ફિલ્મ ‘લવ ઇન શિમલા’થી મળી હતી. આર.કે. નય્યરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં તે જોય મુખર્જી સાથે મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મ સફળ રહી અને સાધના રાતોરાત સ્ટાર બની ગઈ. ફિલ્મમાં તેમનો ફ્રિન્જ હેરસ્ટાઇલ એટલો લોકપ્રિય થયો કે આગળ જતાં તેને ‘સાધના કટ’ તરીકે ઓળખવામાં આવ્યો. ઓડ્રી હેપબર્નથી પ્રેરિત આ લુકને સામાન્ય મહિલાઓએ પણ ખૂબ અપનાવ્યો. ચૂડીદાર સલવાર સૂટના ચલણને લોકપ્રિય બનાવવાનો શ્રેય પણ સાધનાને આપવામાં આવે છે. આ પછી સાધનાએ ‘પરખ’, ‘હમ દોનો’, ‘મન-મૌજી’, ‘એક મુસાફિર એક હસીના’, ‘મેરે મહેબૂબ’ અને ‘ઇંતકામ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. 1960ના દાયકામાં તેમની 19 ફિલ્મો રિલીઝ થઈ, જેમાં 11 ફિલ્મો હિટ હતી અને આ રીતે તે હિન્દી સિનેમાની મોટા સ્ટાર બની ગયા. ડિરેક્ટર સાથે પ્રેમ થયો, 1966માં લગ્ન કર્યા ‘લવ ઇન શિમલા’ના સેટ પર સાધનાને ડિરેક્ટર આર.કે. નય્યર સાથે પ્રેમ થયો. બંનેએ 1966માં લગ્ન કર્યા. લગ્ન પછી પણ સાધનાએ ફિલ્મોમાં કામ ચાલુ રાખ્યું. જોકે, પછીના વર્ષોમાં તેમનું જીવન મુશ્કેલીઓથી ઘેરાવા લાગ્યું. 1960ના દાયકાના અંતમાં સાધના હાઈપરથાઈરોઈડિઝમની સમસ્યાથી પીડાવા લાગ્યાં. સારવારને કારણે તેમને ફિલ્મોથી દૂર રહેવું પડ્યું અને ઘણા મોટા પ્રોજેક્ટ તેમના હાથમાંથી નીકળી ગયા. પછીથી તેમણે ‘ઇંતકામ’ અને ‘એક ફૂલ દો માલી’ જેવી ફિલ્મોથી વાપસી કરી, પરંતુ 1970ના દાયકામાં તેમની ફિલ્મી ઓફરો ઓછી થતી ગઈ. તેમણે 1974માં ‘ગીતા મેરા નામ’થી ડિરેક્શનમાં પણ હાથ અજમાવ્યો. ધીમે ધીમે તેઓ ફિલ્મો અને જાહેર જીવનથી દૂર થતા ગયા. પતિના મૃત્યુ બાદ એકલતા વધી 1995માં આર.કે. નય્યરનું નિધન થયું. બંનેને કોઈ સંતાન નહોતું. પતિના અવસાન બાદ સાધના ઘણા એકલા પડી ગયાં. તેમની તબિયત પણ સતત બગડતી રહી. આંખોની સમસ્યા અને થાઇરોઇડ જેવી પરેશાનીઓના કારણે તેમનું ઘરની બહાર નીકળવું ઓછું થઈ ગયું. જોકે, તેમના છેલ્લા વર્ષો કાનૂની વિવાદોથી પણ ઘેરાયેલા રહ્યા. સાધના સાથે સંકળાયેલા ત્રણ કેસ સામે આવ્યા. આમાંથી એક કેસ તેમના સાન્તાક્રુઝ સ્થિત બિલ્ડિંગના મકાનમાલિક યુસુફ લકડાવાલાએ કર્યો હતો. એક કેસ સાધનાએ તેમની સામે ઉત્પીડનનો આરોપ લગાવતા નોંધાવ્યો હતો. આ પછી વિવાદ સાથે સંકળાયેલો માનહાનિનો કેસ પણ સામે આવ્યો. તે સમયે સાધના આર્થિક અને શારીરિક મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યા હતાં. તેમના માટે સારવાર અને કાનૂની ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો હતો. તેમણે મદદની અપીલ પણ કરી, પરંતુ તેમને અપેક્ષિત સહારો મળ્યો નહીં. પછીના સમયમાં વહીદા રહેમાન, નંદા, આશા પારેખ અને હેલન જેવી તેમની સમકાલીન એક્ટ્રેસિસ તેમની નજીક રહી અને તેમને ભાવનાત્મક ટેકો આપતી હતી. આમ છતાં, સાધનાનો છેલ્લો સમય ઘણો એકલતામાં વીત્યો. 25 ડિસેમ્બર 2015ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં બીમારી બાદ સાધનાનું નિધન થયું.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

