Mirzapur Film Star Cast Ahmedabad Visit; Pankaj Tripathi Ali Fazal Divyenndu Jitendra Kumar Promote Movie
- Gujarati News
- Entertainment
- Mirzapur Film Star Cast Ahmedabad Visit; Pankaj Tripathi Ali Fazal Divyenndu Jitendra Kumar Promote Movie
36 મિનિટ પેહલાલેખક: જ્હાનવી ટીલાવત
- કૉપી લિંક
પૂર્વાંચલમાં ‘ભૌકાલ’ મચાવ્યા બાદ મિર્ઝાપુરના કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત પશ્ચિમ તરફ સામ્રાજ્ય ફેલાવવા માટે તૈયાર છે. લગભગ એક દશક એટલે કે 2018થી ઘરે ઘરે આ નામોને જાણીતી કરનારી સિરીઝ ‘મિર્ઝાપુર’ નવા અવતારમાં ફિલ્મ સ્વરૂપે આવી રહી છે. ત્યારે ફિલ્મના પ્રમોશન માટે ‘મિર્ઝાપુર ધ મુવી’ની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી.
HOCCOના બુલેટ આઇસક્રીમ લોન્ચ ઇવેન્ટ દરમિયાન ‘મિર્ઝાપુર ધ મુવી’ની સ્ટારકાસ્ટ, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા અને જીતેન્દ્ર કુમારે ફિલ્મ વિશે ખુલીને વાતચીત કરી હતી. આ દરમિયાન HOCCO આઇસક્રીમના ફાઉન્ડર અંકિત ચોના પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘મિર્ઝાપુર ધ મુવી’ની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની.
એસન્સ એ જ, ફ્લેવર નવો
સિરીઝ ફિલ્મથી કેટલી અલગ છે, તેના વિશે વાત કરતા ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલે કહ્યું કે, ‘પાત્રો એ જૂના જ છે, પણ ફિલ્મની વાર્તા આખી નવી છે. ફિલ્મમાં ફ્લેવર નવા છે, એસન્સ એ જ છે.’

અલી ફઝલે સિરીઝ અને ફિલ્મમાં ગુડ્ડુ પંડિતનું પાત્ર ભજવ્યું છે.
‘અમારા તરફથી ચાહકોને ભેટ છે’
વાતને આગળ વધારતા મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માએ કહ્યું કે, ‘અમારા તરફથી ફેન્સ માટે આ દાવત છે. તેમણે ત્રણ સિઝનમાં અમને જે પ્રેમ આપ્યો છે, આટલા વર્ષો અમારી સાથે રહ્યા, નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો છે, દરેક પાત્રને ઓળખ અપાવી છે. જ્યારે અમે સિરીઝ શરૂ કરી, ત્યારે OTTની પણ શરૂઆત થઈ રહી હતી. તો એવું કહી શકાય કે અમે અને OTT એક સાથે ગ્રો થયા છીએ. તો અમે વિચાર્યું કે અમારા ચાહકોને એક ગિફ્ટ આપીએ અને અમે ‘મિર્ઝાપુર’ને ફિલ્મ તરીકે લાવ્યા.

દિવ્યેન્દુ શર્માને મુન્ના ભૈયા તરીકે ઘણી લોકપ્રિયતા મળી છે.
‘મિર્ઝાપુર’માં માત્ર હિંસા નથી
સિરીઝની લોકપ્રિયતા વિશે વાત કરતા દિવ્યેન્દુએ કહ્યું કે, ”મિર્ઝાપુર’ માત્ર એટલા માટે લોકોને પસંદ નથી કારણ કે તેમાં માત્ર હિંસા છે, તેમાં ફેમિલી ડાયનેમિક્સ છે, પોલિટિક્સ છે, ડ્રામા છે. આનો સૌથી મોટો ક્રેડિટ અમારા રાઇટર પુનિત ક્રિશ્ના, ડિરેક્ટર ગુરુને જાય છે. સિરીઝમાં દરેકનું પાત્ર ગ્રે શેડ ધરાવે છે. તેમાં સ્ત્રીઓ પણ દયાની મુર્તિ નથી. તેમની પણ ડ્યુઆલિટી છે. છતાં દરેક પાત્રો એવા કેમ છે, તેનું વ્યવસ્થિત રીતે જસ્ટિફીકેશન આપવામાં આવ્યું છે, તેથી લોકો તે પાત્રોને સંપૂર્ણપણે સમજી શકે છે.
કાલીન ભૈયાનો આ ગુણ પંકજ ત્રિપાઠીએ આત્મસાત કર્યો
સ્ટારકાસ્ટ લગભગ એક દાયકાથી આ પાત્રો ભજવી રહી છે. ત્યારે સિરીઝમાં પૂર્વાંચલની ગાદી પર બેસીને રાજ કરનારા કાલીન ભૈયાના પાત્રમાંથી શું આત્મસાત કર્યું, તેના વિશે વાત કરતા પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, ‘આપણે બધા રિએક્ટિવ હોઈએ છીએ. પણ જ્યારે તમે ધ્યાન આપશો તો કાલીન ભૈયા રિએક્ટિવ નથી, તે રિસ્પોન્સિવ છે. કાલીન ભૈયા ખુશ છે, તેમને માઠું લાગ્યું છે એ ક્યારેય એ જ ક્ષણમાં ખબર પડતી નથી. તેને જે કરવું હોય છે તે શાંત રહીને ઠંડા કલેજે કરે છે. મેં ત્રણ સિઝન દરમિયાન કાલીન ભૈયાનો આ ગુણ આત્મસાત કર્યો છે.’

પંકજ ત્રિપાઠીએ ‘કાલીન ભૈયા’ના ગુણો વિશે જણાવ્યું.
બબલુ પંડિત તરીકે જીતેન્દ્ર કુમારની ન્યુ એન્ટ્રી
‘મિર્ઝાપુર’ સિરીઝમાં બબલુ પંડિતનું પાત્ર વિક્રાંત મેસ્સીએ ભજવ્યું છે, જ્યારે ફિલ્મમાં આ પાત્ર જીતેન્દ્ર કુમાર ભજવી રહ્યો છે. આ અંગે વાત કરતા જીતેન્દ્રએ કહ્યું કે, ‘જ્યારે મેં વાર્તા સાંભળી, ત્યારે એ ફ્રેશ લાગી. ફિલ્મમાં એક્શન છે, ડ્રામા છે પણ સાથે જ ઇમોશનલ કનેક્ટ પણ છે. હું અલગ અલગ પાત્રોની શોધમાં હોઉં છું. હું નવો હોવા છતાં દરેક લોકોએ મને બબલુ તરીકે સ્વીકારી લીધો. મને એ વાતની ખુશી છે કે, જે પહેલી યુટ્યુબ સિરીઝ બની હતી, તેનો હું ભાગ રહ્યો છું અને આજે જ્યારે સિરીઝમાંથી પહેલી ફિલ્મ બની રહી છે, તેનો પણ હું ભાગ બન્યો છું.’

જીતેન્દ્ર કુમારે બબલુ પંડિત તરીકે વિક્રાંત મેસ્સીને રિપ્લેસ કર્યો છે.
એક્શનની સાથે સાથે મ્યુઝિકનો પણ દબદબો
એક્શન પેક્ડ ફિલ્મમાં મ્યુઝિક પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ વિશે અલી ફઝલે કહ્યું કે, ‘ફિલ્મમાં 9 ગીતો છે, જેમાં અમે નુસરત ફતેહ અલી ખાનનું ગીત સાંસો કી માલાને રી-ક્રિએટ કર્યું છે.’
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


