BCCI અધ્યક્ષ મિથુન મન્હાસની જન્મતારીખ પર વિવાદ:જમ્મુ કોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા, 3 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ માંગ્યો

Last Updated: August 20, 2026By

BCCI અધ્યક્ષ મિથુન મન્હાસની જન્મતારીખને લઈને વિવાદ સામે આવ્યો છે. જમ્મુની સ્પેશિયલ રેલવે મેજિસ્ટ્રેટ કોર્ટે તેમની જન્મતારીખમાં કથિત હેરાફેરીના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે નવાબાદ પોલીસને આ મામલાની તપાસ કરીને 3 સપ્ટેમ્બર 2026 અથવા તે પહેલાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. મિથુન મન્હાસ જમ્મુ-કાશ્મીરથી BCCI અધ્યક્ષ બનનાર પ્રથમ વ્યક્તિ છે. તેમની સપ્ટેમ્બર 2025માં આ પદ માટે પસંદગી કરવામાં આવી હતી. પૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર મન્હાસે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં જમ્મુ-કાશ્મીર અને દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું છે. પૂર્વ ડેપ્યુટી SPએ ફરિયાદ કરી આ મામલો પૂર્વ ડેપ્યુટી SP અને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ સંયુક્ત માનદ સચિવ સુદર્શન મહેતાની ફરિયાદ બાદ સામે આવ્યો છે. મહેતાનો આરોપ છે કે મન્હાસે જુનિયર ક્રિકેટમાં રાષ્ટ્રીય સ્તરે રમવાની પાત્રતાનો લાભ લેવા માટે અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ જન્મતારીખ નોંધાવી હતી. મહેતાએ આ જ આધારે છેતરપિંડી, ચીટિંગ અને બનાવટ સંબંધિત કેસોમાં FIR નોંધવાની માગ કરી હતી. જોકે, કોર્ટે હજુ FIRનો આદેશ આપ્યો નથી. બે રેકોર્ડમાં અલગ જન્મતારીખ ફરિયાદમાં જણાવાયું છે કે મન્હાસની જન્મતારીખ અલગ-અલગ રેકોર્ડમાં અલગ છે. મહારાજા હરિ સિંહ એગ્રીકલ્ચર કોલેજિયેટ સ્કૂલ (MHAC), નાગબનીના રેકોર્ડ મુજબ તેમની જન્મતારીખ 9 ડિસેમ્બર 1977 છે. જ્યારે, દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) વેબસાઇટ પર આ તારીખ 12 ઓક્ટોબર 1979 નોંધાયેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે બંને રેકોર્ડમાં લગભગ બે વર્ષનો તફાવત છે. ફરિયાદીએ આ જ તફાવતને જન્મતારીખમાં કથિત ગડબડનો આધાર બનાવ્યો છે. મહેતાની ફરિયાદમાં IPCની કલમ 415, 420 અને 462નો પણ ઉલ્લેખ છે. મિથુન મન્હાસની ક્રિકેટિંગ જર્ની, 3 પોઈન્ટમાં 1. JKની અંડર-15 ટીમથી શરૂઆત મન્હાસે જમ્મુ-કાશ્મીર માટે અંડર-15, અંડર-16 અને અંડર-19 ક્રિકેટ રમ્યા. તેમણે ત્રણ વર્ષ JKની અંડર-19 ટીમનો ભાગ રહીને સારું પ્રદર્શન કર્યું. 1995માં તેમણે લગભગ 750 રન બનાવ્યા અને દેશના સૌથી વધુ રન બનાવનાર અંડર-19 બેટર રહ્યા. આ પછી તેમને JKની ટીમની કેપ્ટનશીપ પણ મળી. 12મા ધોરણની પરીક્ષા પછી તેઓ પહેલીવાર થોડા મહિનાઓ માટે દિલ્હી આવ્યા. તે સમયે તેમની ઉંમર 17 વર્ષ હતી. અહીં તેમણે દિલ્હીની પ્રીમિયર ટુર્નામેન્ટમાં રમવાનું શરૂ કર્યું. તે સમયે દિલ્હીની ટીમમાં વીરેન્દ્ર સેહવાગ અને આશિષ નેહરા જેવા ખેલાડીઓ પણ હતા. દિલ્હીના ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શન પછી મન્હાસની પસંદગી અંડર-19 નેશનલ ટીમમાં થઈ. 1996માં તેમને દિલ્હીની રણજી ટીમમાં પસંદ કર્યા, જોકે તે સીઝનમાં તેમને મેચ રમવાની તક મળી નહીં. પછીના વર્ષે 1997માં તેમણે દિલ્હી તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું. 2. દિલ્હીને પોતાની આગેવાનીમાં રણજી ટ્રોફી જીતાડી દિલ્હી માટે રમતા મન્હાસે મિડલ ઓર્ડરમાં પોતાની જગ્યા મજબૂત કરી. 2001-02 સીઝનમાં તેણે પહેલીવાર રણજી ટ્રોફીમાં 1000થી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં સ્થાન મેળવ્યું. ત્યારબાદ તે 2006થી 2008 સુધી દિલ્હી રણજી ટીમના કેપ્ટન રહ્યા. તેમની કેપ્ટનશીપમાં દિલ્હીએ 2007-08 રણજી ટ્રોફી જીતી. આ દિલ્હીનો તે સમયે 16મો રણજી ખિતાબ હતો. મન્હાસ બાદમાં BCCI અધ્યક્ષ બનનાર જમ્મુ-કાશ્મીરના પ્રથમ વ્યક્તિ બન્યા. સપ્ટેમ્બર 2025માં તેમને આ પદ માટે પસંદ કર્યા હતા. 3. દિલ્હી ડેરડેવિલ્સથી IPL ડેબ્યૂ થયું રણજીમાં સારા પ્રદર્શનને કારણે મન્હાસની પસંદગી IPLની પ્રથમ સીઝનમાં થઈ. તેમણે 2008માં દિલ્હી ડેરડેવિલ્સથી IPL ડેબ્યૂ કર્યું. પછી વર્ષ 2011માં IPLમાં પુણે વોરિયર્સ ઇન્ડિયા સાથે જોડાયા. 2015માં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ બન્યા. ઉંમર વિવાદમાં પહેલા પણ ફસાયા છે ઘણા ક્રિકેટરો ક્રિકેટમાં ઉંમર સંબંધિત વિવાદ નવો નથી. જુનિયર ક્રિકેટમાં ઓછી ઉંમર બતાવીને રમવાના આરોપોમાં ઘણા ખેલાડીઓ તપાસ અને કાર્યવાહીનો સામનો કરી ચૂક્યા છે.