Editor's View: પાકિસ્તાનમાં સરકાર પાડવાની તૈયારી:મુનીરનો ખતરનાક પ્લાન, ગૃહમંત્રીને બલિનો બકરો બનાવ્યા, હવે શું થઇ શકે? ત્રણ સંભાવના પર દુનિયાની નજર

Last Updated: August 5, 2026By

“છેલ્લા 21 વર્ષથી નેતાઓ અને ન્યાયાધીશોએ મળીને દેશને લૂંટ્યો છે અને હવે પાકિસ્તાનની સિસ્ટમ પૂરી રીતે કોલેપ્સ થઈ ગઈ છે.” આ વાત પાકિસ્તાનના ગૃહમંત્રીએ કરી છે. જેનું કામ સિસ્ટમ બનાવવાનું છે એ જ સિસ્ટમ કોલેપ્સ થવાની વાતો કરે છે. જે પાકિસ્તાન દુનિયા સામે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીનું નાટક કરતું હતું, ત્યાં હવે ગમે ત્યારે તખ્તાપલટો થઇ શકે છે. PoKમાં વિદ્રોહ અને બલૂચોના બળવા વચ્ચે ગૃહમંત્રી મોહસિન નકવીએ બલિનો બકરો બની શરીફ સામે શિંગડાં ભરાવ્યા છે. જો આ શતરંજ પર મુનીરનો વજીર બરાબર ચાલ્યો તો પાકિસ્તાનમાં ચોથી વખત સત્તાપલટો થઇ શકે છે. આજે આ કારસા અને એ પછીની ત્રણ સંભાવનાઓની વાત કરીએ. નમસ્કાર… આખી ગેમમાં સૌથી મોટો ખેલાડી છે એક મીડિયા બેરોન. જે સીધા દેશના શક્તિશાળી પદ સુધી પહોંચી ગયા છે. એનું નામ છે, મોહસિન નકવી. આ મહાશય રાતોરાત પંજાબ પ્રાંતના કેરટેકર મુખ્યમંત્રી બની ગયા હતા. અત્યારે એ ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે. નકવીની અસલી તાકાત તેની ખુરસી નહીં, પણ આર્મી ચીફ આસિમ મુનીર સાથેની પાક્કી દોસ્તી છે. સગપણમાં એ આમ તો મુનીરના સાળા છે. આ નકવીએ ભરી સભામાં એવો સ્કેમ બોમ્બ ફોડ્યો છે, જેણે વડાપ્રધાન શાહબાઝ શરીફની ઊંઘ હરામ કરી દીધી છે. નકવીએ ખુલ્લેઆમ કહી દીધું કે, જરા વિચારો, તમારા જ ઘરનો મોભી એમ કહે કે મારું ઘર પડું પડું થઈ રહ્યું છે, તો તેનો મતલબ શું? આ માત્ર હતાશાનું નિવેદન નથી, આ શાહબાઝ સરકારને ઉખેડી ફેંકવાનું પહેલું સત્તાવાર સિગ્નલ વધુ લાગી રહ્યું છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ 21 વર્ષના કૌભાંડના આક્ષેપમાં નકવીએ ક્યાંય પાકિસ્તાની આર્મીનું નામ પણ નથી લીધું. આ મહાશયને બીજી ઓળખથી તમે વધુ સારી રીતે સમજી શકશો. 2025માં ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ જીતી અને ટ્રોફી લઇને દુઇબથી જે ભાગી ગયા એ આ પોતે છે. કોક્રોચ ભેગા થાય તો બધું પલટી શકેઃ નકવી પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાંના બેરોજગાર અને હતાશ યુવાનોને નકવીએ કોકરોચ સાથે સરખાવીને એક નવો વિવાદ ઊભો કર્યો છે. સામાન્ય પાકિસ્તાની યુવાન આજે મફત લેપટોપ કે સ્ટાઈપેન્ડ નથી માંગતો, તેને મેરિટ પર નોકરી જોઈએ છે. નકવી આ યુવાનોની નિરાશાનો ઉપયોગ કરીને પોતાને ભવિષ્યના વિઝનરી વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. હવે IMF 2026 મુજબના મુખ્ય આર્થિક સૂચકાંકો પર પણ નજર કરી લઈએ… હવે તમને થશે કે તો શું પાકિસ્તાનમાં ફરીથી પરવેઝ મુશર્રફની જેમ માર્શલ લો લાગશે? સીધો જવાબ છે – ના. આસિમ મુનીર જૂના જનરલો કરતાં ઘણા સ્માર્ટ છે. તેમને ખબર છે કે જો સીધી સત્તા હાથમાં લીધી તો લોકશાહીના નામે IMF અને વર્લ્ડ બેંક તરફથી આવતી ડોલરની ભીખ તરત બંધ થઈ જશે. એટલા માટે જ મુનીરે હાઈબ્રિડ કૂપ 2.0 અપનાવ્યું છે. તેમણે સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન કાઉન્સિલ એટલે કે SIFC નામની એક સંસ્થા બનાવીને દેશની અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિ પોતાના સીધા કંટ્રોલમાં લઈ લીધી છે. પાવર આર્મીને અને મોંઘવારી જનતાને મુનીરની સ્ટ્રેટેજી એકદમ પાણી જેવી ક્લિયર છે: નિર્ણયો, પૈસા અને પાવર આર્મીના હાથમાં રહેશે, પણ મોંઘવારી, ગરીબી અને બેરોજગારીની ગાળો ખાવા માટે શાહબાઝ શરીફની કહેવાતી સરકારને ઢાલ તરીકે આગળ રાખવામાં આવશે. ભારત પર મંડરાતો ખતરો વાત કરીએ આપણી. સામાન્ય રીતે આપણને થાય કે પાકિસ્તાનમાં સરકાર પડે કે આર્મી રાજ કરે, આપણે શું? પણ એવું નથી. જ્યારે પણ પાકિસ્તાનમાં આર્મી ભીંસમાં આવે છે, ત્યારે ત્યાં બોમ્બ ફૂટે છે અને તેનો અવાજ કાશ્મીરથી લઈને દલાલ સ્ટ્રીટ સુધી સંભળાય છે. અત્યારે PoK અને બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે ભયંકર બળવો ચાલી રહ્યો છે. લોટ અને વીજળી માટે લોકો રસ્તા પર છે અને આર્મી તેમના પર ગોળીઓ ચલાવી રહી છે. હવે, પાકિસ્તાની લોકોના ગુસ્સાને ડાયવર્ટ કરવા માટે આર્મી ચીફ આસિમ મુનીર પાસે એક જ જૂનો અને જાણીતો રસ્તો છે… ભારત વિરોધી એજન્ડા. ધ્યાન ભટકાવવા ભારત પર હુમલા કરતું પાક. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘૂસણખોરી વધારવી એ આર્મીની જૂની રમત છે. હમણાં જ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એજન્સીઓને મોટો ફટકો પડ્યો છે. તેનો બદલો લેવા સરહદ પર છમકલાં વધી શકે છે. હવે આની સીધી અસર તમારા અને મારા ખિસ્સા પર કેવી રીતે પડશે? સમજો. જ્યારે પણ સરહદ પર ટેન્શન વધે છે કે યુદ્ધ જેવો માહોલ બને છે, ત્યારે ભારતીય શેરબજારમાં એટલે કે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલે છે. કરોડો રોકાણકારોના રૂપિયા ધોવાઈ જાય છે. આ સિવાય, સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકારે પોતાનું ડિફેન્સ બજેટ વધારવું પડે છે. આ બજેટનો સીધો બોજ કોના પર પડે છે? આપણા જેવા સામાન્ય ટેક્સપેયર પર! ગુજરાત જેવા વેપારી રાજ્ય માટે સરહદી શાંતિ ખૂબ જરૂરી છે, કારણ કે તણાવના માહોલમાં વિદેશી કંપનીઓ જેને FDI કહેવાય છે તે દેશમાં રોકાણ કરતા ડરે છે. એટલે પાકિસ્તાનની અસ્થિરતા એ માત્ર સરહદનો નહીં, આપણા ઘરના બજેટનો પણ પ્રશ્ન છે. આ ખેલનો અંત શું આવશે? પાકિસ્તાનના ભવિષ્ય માટે અત્યારે ત્રણ જ શક્યતાઓ દેખાઈ રહી છે.
પાકિસ્તાનની સૌથી મોટી કરુણતા એ છે કે ત્યાંની સિસ્ટમમાં જનતાનો કોઈ રોલ જ નથી. જે દેશ બંધારણથી ચાલવો જોઈએ, તે આજે લશ્કરી બૂટની એડી નીચે કચડાઈને એક હાઈબ્રિડ લેબોરેટરી બની ગયો છે. જે દેશ અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી બનવાના નાટકો કરે છે, તેના પોતાના જ ઘરમાં સત્તાની આગ લાગેલી છે. આ એક અત્યાધુનિક લશ્કરી સરમુખત્યારશાહી છે, જે ભવિષ્યમાં દક્ષિણ એશિયા અને ભારત માટે સૌથી મોટો ખતરો બની શકે છે. અને છેલ્લે… મુનીર અને શાહબાઝને ટ્રમ્પે ઠેંગો દેખાડ્યો છે. આવું એટલા માટે કારણ કે અમેરિકા હવાઈ ધડાકા વચ્ચે ઈરાન સાથે ફરી ચર્ચા કરવા એક ટેબલે બેસવા તૈયાર છે. પણ આ વખતે મધ્યસ્થતા કરવા મેદાને પાકિસ્તાન નહીં પણ સાઉદી, UAE અને કતર છે. શાંતિવાર્તા માટે પાકિસ્તાનનો પ પણ ટ્રમ્પે પોતાના મોઢામાંથી નથી કાઢ્યો. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.
આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
(રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)

Leave A Comment