Gujarat News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ ફરી ભગવાન રામના નામે લોકો વચ્ચે જશે

Last Updated: January 23, 2026By

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ ફરી એક વખત રામના નામે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. પરંતુ રામજીનું નામ થોડુ અલગ રીતે લેશે. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ અને સ્વરૂપ બદલીને VB G Ram G કરવામાં આવ્યું છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વિરોધાત્મક પ્રચાર થઈ રહ્યો છે. તેનું ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ દ્વારા હવે આ યોજનાને ગ્રામીણ સ્તરે પહોંચાડવા કામગીરી શરૂ કરાઈ છે.

આ અભિયાન આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલાવાશે.

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે રામ મંદિરના નામે પ્રચાર કર્યો હતો. હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં G Ram G ના નામે પ્રચાર કરશે. કેન્દ્ર સરકારે જે રીતે મનરેગા યોજનાનું નામ બદલી તેમાં કેટલાક સુધારા કર્યા તેના લાભ શું છે તેની માહિતી ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે આવતીકાલથી અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલાવાશે. આજે ભાજપની બેઠક મળી હતી જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લા તથા શહેર પ્રમુખોને માર્ગ દર્શન આપવામાં આવ્યું છે. રાજ્યના 18 હજાર ગામડાઓમાં વસતા લોકો સુધી પહોંચીને ખેડૂત અને મજૂર વર્ગને કેવી રીતે આ યોજનાથી ફાયદો થશે તેની જાણકારી આપવામાં આવશે.

ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થાય તેવી ભીતિ

ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થાય તેવી ભીતિ છે. કારણ કે મનરેગા બાબતે કોંગ્રેસનો પ્રચાર ગામડામાં થઈ રહ્યો છે. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સંવિધાનના નામે પ્રચાર કર્યો તેનાથી ભાજપને કેટલુંક નુકસાન પહોંચ્યું હતું. એ જ રીતે હાલમાં કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આવી મનરેગામાં સુધારા બાદ કેટલું નુકસાન થશે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.જેની ગામડામાં અસર હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી હવે ભાજપ દ્વારા પણ આ યોજનાને લઈને તેના ફાયદા શું છે તેની જાણ ગ્રામ્ય વિસ્તારોમાં કરાશે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બચુ ખાબડ પણ આજની બેઠકમાં હાજર હતાં.

આ પણ વાંચોઃ Patan News : સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, દારૂની મહેફિલ માણતા 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ!