PM મોદીએ મન કી બાતમાં કહ્યું, બાજરીનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, શું ખરેખર આ સુપરફૂડ તંદુરસ્તી માટે ફાયદાકારક છે

Last Updated: January 26, 2026By

વર્ષ 2026 ના પ્રથમ “મન કી બાત” કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ “મન કી બાત”ના 130માં એપિસોડમાં સમાજ, કૃષિ, આરોગ્ય અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ બાજરીનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન ગણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે હું તમારા બધાના બાજરી પ્રત્યેના પ્રેમ માટે પ્રશંસા કરવા માંગુ છું. શું ખરેખર બાજરીનું સેવન શરીરની તંદુરસ્તી માટે ખૂબ અસરકારક છે. જાણો બાજરી ખાવાના ફાયદા.

બાજરી પોષકતત્વોનો છે ખજાનો

બાજરી એ માત્ર એક પરંપરાગત અનાજ નથી, પણ તે પોષક તત્વોનો ખજાનો છે. ખાસ કરીને શિયાળામાં બાજરીનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. શરીરને ઉર્જા વધારવાથી લઈને હાડકાંની મજબૂતાઈ માટે તમે બાજરીનું તમે વિવિધ રીતે સેવન કરી શકો છો. બાજરીનો રોટલો, બાજરીના વડા, બાજરીની ભાખરી જુદી-જદી વાનગી ખાઈ તમે શિયાળામાં આ સુપરફૂડનું સેવન કરી શકો છો. જાણો બાજરી ખાવાથી કેવા અદ્ભત ફાયદા થાય છે જેને લઈને પીએમ મોદી પણ તેને અમૃત કહે છે.

જાણો બાજરી ખાવાના આ છે અદ્ભત ફાયદા

પાચનતંત્ર માટે ઉત્તમ : બાજરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર (Fiber) હોય છે. તે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે અને પાચનક્રિયાને સુધારે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : બાજરીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદય રોગનું જોખમ ઓછું કરે છે.

ડાયાબિટીસમાં રાહત : બાજરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (Glycemic Index) ઓછો હોય છે, જે લોહીમાં શર્કરાનું પ્રમાણ અચાનક વધવા દેતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ઘઉં કરતા વધુ સારો વિકલ્પ છે.

વજન ઘટાડવામાં મદદરૂપ : જો તમે વજન ઘટાડવા માંગતા હોવ, તો બાજરી શ્રેષ્ઠ છે. તેમાં રહેલા ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેથી વારંવાર ભૂખ લાગતી નથી.

હાડકાંની મજબૂતી : બાજરીમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. બાળકો અને વૃદ્ધો માટે બાજરીનું સેવન હાડકાં મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

એનિમિયાથી બચાવ : તેમાં આયર્ન (Iron) નું પ્રમાણ વધુ હોવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને એનિમિયા જેવી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

આ પણ વાંચો : Thyroid Cancer: સ્ત્રીઓમાં થાઇરોઇડ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધારે, લક્ષણો, કારણો અને સારવાર વિશે જાણો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )