PM મોદી ઇન્ડોનેશિયા રવાના, સૌથી મોટા હિંદુ મંદિરમાં જશે:રાષ્ટ્રપતિ સુબિયાન્તો સાથે ₹2,500 કરોડના બ્રહ્મોસ ડીલ પર કરાર શક્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઇન્ડોનેશિયાના પ્રવાસે રવાના થયા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરશે અને પ્રમ્બાનન મંદિરની પણ મુલાકાત લેશે, જે ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ છે. આ સાથે જ રાષ્ટ્રપતિ સુબિયાંતો સાથેની દ્વિપક્ષીય બેઠકમાં લગભગ ₹2,500 કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ડીલ પર મહોર લાગવાની સંભાવના છે. આ ઉપરાંત, સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, વેપાર, રોકાણ, ડિજિટલ સહયોગ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભાગીદારી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. બંને નેતાઓ અનેક દ્વિપપક્ષીય કરારો પર હસ્તાક્ષર પણ કરી શકે છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ, વેપાર, કનેક્ટિવિટી અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ સતત વધ્યો છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપવાનો માનવામાં આવે છે. મોદીનો ઇન્ડોનેશિયાનો આ ત્રીજો પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા બે વાર ઇન્ડોનેશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે. પ્રથમ પ્રવાસ મે 2018માં થયો હતો. આ દરમિયાન બંને દેશોએ સંબંધોને કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપ્યો. રક્ષા, દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી સહયોગ, વેપાર, ડિજિટલ અર્થતંત્ર, વિજ્ઞાન-ટેકનોલોજી અને કનેક્ટિવિટી સહિત 15થી વધુ કરારો પર સહમતિ બની. આ જ યાત્રામાં બંને દેશોએ સંયુક્ત દરિયાઈ દ્રષ્ટિકોણને પણ આગળ વધારવા પર ભાર મૂક્યો. આ પછી મોદી સપ્ટેમ્બર 2023માં જકાર્તામાં આયોજિત 20મી આસિયાન (ASEAN)-ભારત અને 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદનાર બીજો દેશ બની શકે છે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે લગભગ ₹2,500 કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સિસ્ટમનો સંભવિત સોદો આ યાત્રાનો સૌથી મહત્ત્વપૂર્ણ એજન્ડા માનવામાં આવી રહ્યો છે. જો કરાર પર મહોર લાગે છે, તો ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર બીજો વિદેશી ગ્રાહક બની શકે છે. આ સોદો ભારતના સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા ઉપરાંત ઇન્ડોનેશિયાની દરિયાકાંઠા અને દરિયાઈ સુરક્ષા ક્ષમતાને પણ મજબૂત કરશે. બ્રહ્મોસ મિસાઇલનો વિકાસ ભારતના DRDO અને રશિયાની ‘એનપીઓ મશીનોસ્ટ્રોયેનિયા’ના સંયુક્ત ઉપક્રમ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યો છે. તે વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રુઝ મિસાઇલોમાંની એક ગણાય છે. ઇન્ડોનેશિયાનું સાબાંગ પોર્ટ ભારત માટે મહત્ત્વનું ઇન્ડોનેશિયાનું સાબાંગ પોર્ટ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની ખૂબ નજીક આવેલું છે. તે મલક્કા સ્ટ્રેટના પ્રવેશદ્વાર પાસે હોવાને કારણે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું માનવામાં આવે છે. દુનિયાના મોટા ભાગનો દરિયાઈ વેપાર આ જ માર્ગેથી પસાર થાય છે. ભારત અને ઇન્ડોનેશિયાએ 2018માં વડાપ્રધાન મોદીની જકાર્તા યાત્રા દરમિયાન સાબાંગ પોર્ટ અને આસપાસ દરિયાઈ સહયોગ વધારવા પર સહમતિ દર્શાવી હતી. આ અંતર્ગત પોર્ટના વિકાસ, દરિયાઈ સંપર્ક, લોજિસ્ટિક સહયોગ અને દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાબંગ બંદર ભારતીય નૌકાદળના જહાજો માટે બળતણ, સમારકામ અને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. આનાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ પહોંચ અને દેખરેખ ક્ષમતા મજબૂત બની શકે છે. ઇન્ડોનેશિયાનું સૌથી મોટું મંદિર ભગવાન શિવ, વિષ્ણુ, બ્રહ્માને સમર્પિત રાજધાની જકાર્તાથી લગભગ 400 કિમી દૂર મધ્ય જાવા પ્રાંતમાં આવેલું પ્રમ્બાનન મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે. તે ભારત અને ઇન્ડોનેશિયાના વહેંચાયેલા સાંસ્કૃતિક સંબંધોનું એક મહત્ત્વપૂર્ણ પ્રતીક પણ માનવામાં આવે છે. પ્રમ્બાનન સંકુલમાં કુલ 240 મંદિરો છે. આમાં સૌથી ઊંચું અને મુખ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે, જેની ઊંચાઈ લગભગ 47 મીટર (154 ફૂટ) છે. ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેની સાંસ્કૃતિક વારસા પર હિંદુ-બૌદ્ધ સભ્યતાની ઊંડી છાપ આજે પણ જોવા મળે છે. પ્રમ્બાનન મંદિર તે જ વહેંચાયેલા વારસાનું મુખ્ય પ્રતીક માનવામાં આવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

