Saeed Ajmal ICC Controversy; India Dominance Allegations | Pakistan Cricket | ICCમાં BCCIના પાવરથી પાકિસ્તાનીઓના પેટમાં તેલ રેડાયું: PAKના પૂર્વ ખેલાડીએ ICCના અસ્તિત્વને નકામું ગણાવ્યું, કહ્યું- અહીં ભારતનું વર્ચસ્વ
56 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ભારત વિરુદ્ધ ઉશ્કેરવામાં પાકિસ્તાન કોઈ કસર છોડતું નથી. શાહિદ આફ્રિદી બાદ હવે પૂર્વ સ્પિનર સઈદ અજમલે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેણે તો ICC પર જ મોટો આરોપ લગાવી દીધો છે. અજમલે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, હાલમાં ICCનું કોઈ અસ્તિત્વ જ નથી અને તે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ઈશારે ચાલી રહ્યું છે. સઈદ અજમલનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે એવા અહેવાલ સામે આવ્યા છે કે ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની એ માગને ફગાવી દીધી છે, જેમાં T20 વર્લ્ડ કપ 2026માં તેમની મેચ ભારતને બદલે શ્રીલંકામાં શિફ્ટ કરવાની વાત હતી.
T20 વર્લ્ડ કપ 2026ના આયોજન સ્થળને લઈને બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ચાલી રહેલા તાજેતરના વિવાદ વચ્ચે, પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સઈદ અજમલે ICC પર આકરા પ્રહાર કરતા ચેતવણી આપી હતી કે જો ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ભારતીય ક્રિકેટ બોર્ડના પડછાયામાં કામ કરતી રહેશે, તો તે ધીરે ધીરે પોતાની સુસંગતતા ગુમાવી દેશે.
સઈદ અજમલનું ICC પર વિવાદાસ્પદ નિવેદન
મીડિયા સાથે વાત કરતા સઈદ અજમલે BCCI પ્રત્યે ICCના નરમ વલણ પર સવાલ ઉઠાવ્યા અને વર્લ્ડ ક્રિકેટના હિતમાં નિષ્પક્ષ નિર્ણય લેવામાં કાઉન્સિલની અક્ષમતા પર ચિંતા વ્યક્ત કરી. પાકિસ્તાનના પૂર્વ સ્પિનરે કહ્યું કે,
જો ICC ભારતીય બોર્ડ પર પોતાના નિર્ણયો લાગુ ન કરાવી શકે તો તેનું અસ્તિત્વ જ નકામું છે.

સઈદ અજમલે પાકિસ્તાન માટે 35 ટેસ્ટ, 113 વન-ડે અને 64 T20 રમ્યો છે. તે ODIમાં રેન્કિંગ્સમાં બોલિંગમાં નંબર-1 પર પણ પહોંચ્યો હતો.
અજમલે એવા અનેક ઉદાહરણો આપ્યા જ્યાં ICCની નિષ્પક્ષતાનો અભાવ સામે આવ્યો છે. તેણે જણાવ્યું કે મુખ્ય ટુર્નામેન્ટો દરમિયાન પણ પાકિસ્તાનમાં રમવા માટે ભારતના ઇનકારને ICCએ સ્વીકારી લેવો, તે આ સંસ્થાની અંદર લાંબા સમયથી ચાલી આવતી નબળાઈને ઉજાગર કરે છે.
2009 T20 વર્લ્ડ કપ વિજેતા રહેલા સઈદ અજમલે મોટો આરોપ લગાવતા કહ્યું કે, ભારત પાકિસ્તાનમાં ન રમે તેનું કોઈ તાર્કિક કારણ નથી, પરંતુ ICC લાચાર છે કારણ કે હવે તેના પર ભારતીયોનું વર્ચસ્વ છે. પૂર્વ પાકિસ્તાની ખેલાડીના મતે, ICC ભારત પર એ રીતે પોતાના અધિકારનો ઉપયોગ નથી કરતું જે રીતે તે અન્ય ટેસ્ટ રમતા દેશો પર કરે છે, જે તેના મતે વૈશ્વિક ક્રિકેટ પ્રશાસનની અંદર સત્તાના અસંતુલનને દર્શાવે છે.
ICC લાચાર છે, કારણ કે હવે તેના પર ભારતીયોનું વર્ચસ્વ છે – સઈદ અજમલ
અજમલે દાવો કર્યો હતો કે ટેસ્ટ રમતા મોટાભાગના દેશો આ ભાવના સાથે સહમત છે, પરંતુ તેઓ જાહેરમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી શકશે નહીં. તેણે કહ્યું કે ભારતનું વૈશ્વિક સ્પર્ધાઓમાં પણ પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરવો એ ICCની ‘લાચારી’નું એક મુખ્ય ઉદાહરણ છે. અજમલે કહ્યું, ‘ભારત પાકિસ્તાનમાં નહીં રમવાનું કોઈ તાર્કિક કારણ નથી, પરંતુ ICC લાચાર છે, કારણ કે હવે તેના પર ભારતીયોનું વર્ચસ્વ છે.’
ભારત સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની મુસાફરી કરતું નથી. એટલું જ નહીં, ભારત સરકાર બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણીને મંજૂરી આપતી નથી. આ બંને દેશો હવે કોઈપણ મલ્ટી-નેશનલ ટુર્નામેન્ટમાં ન્યૂટ્રલ વેન્યુ પર જ એકબીજા સામે રમે છે.

ICCએ સઈદ અજમલ પર ગેરકાયદેસર બોલિંગના કારણે પ્રતિબંધ મૂક્યો હતો.
ICCએ સઈદ અજમલ પર પ્રતિબંધ મૂક્યો હતો
ICCએ પાકિસ્તાનના ઓફ સ્પિનર સઈદ અજમલ પર તેની બોલિંગ એક્શન ગેરકાયદેસર હોવાને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 2014માં શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટ દરમિયાન તેની એક્શન શંકાસ્પદ જણાતા રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં કરવામાં આવેલી બાયોમેકેનિકલ તપાસમાં જાણવા મળ્યું કે અજમલ જ્યારે બોલ ફેંકે છે ત્યારે તેનો હાથ નિર્ધારિત 15-ડિગ્રીની મર્યાદા કરતા ઘણો વધારે વળતો હતો.
આ પ્રતિબંધના કારણે પાકિસ્તાન ક્રિકેટને મોટો ફટકો પડ્યો હતો, કારણ કે તે સમયે અજમલ વિશ્વનો નંબર-1 ODI બોલર હતો. જોકે, પાછળથી અજમલે પોતાની એક્શનમાં સુધારો કરીને ક્રિકેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નવી એક્શન સાથે તે પહેલા જેવો અસરકારક રહ્યો નહોતો અને આખરે તેણે નિવૃત્તિ જાહેર કરવી પડી હતી.
ભારત-પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ટકરાશે
ભારત અને પાકિસ્તાન 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં એકવાર ફરી આમને-સામને થશે. ટુર્નામેન્ટની હાઇપ્રોફાઇલ મેચમાંની એક ભારત-પાકિસ્તાનનો આ મુકાબલો છે, જે 15 ફેબ્રુઆરીએ કોલંબો, શ્રીલંકામાં રમાશે. ટુર્નામેન્ટના માળખાને જોતા, જો બંને ટીમ નોકઆઉટ રાઉન્ડમાં આગળ વધશે, તો ટુર્નામેન્ટમાં પાછળથી ફરીથી તેમની વચ્ચે મેચ થઈ શકે છે. ઐતિહાસિક રીતે, T20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન પર દબદબો રહ્યો છે, પાકિસ્તાન આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં ભારત સામે માત્ર એક જ જીત મેળવી શક્યું છે.

******************
ICC સંબંધિત આ સમાચાર પણ વાંચો…
બાંગ્લાદેશે હઠ પકડી, T20 WCમાં સ્થળ બદલવાની ફરી માગ કરી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) T20 વર્લ્ડ કપમાં પોતાની મેચના સ્થળ ભારતની બદલે શ્રીલંકા કરવાની માગ પર અડગ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

