T20 વર્લ્ડકપ વિવાદ ઉકેલવા ICCના 2 અધિકારીઓ ઢાકા જશે:બાંગ્લાદેશ સ્થળ બદલવાની માગ પર અડગ; BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હટાવ્યો હતો

Last Updated: January 16, 2026By

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના 2 અધિકારીઓ ઊ20 વર્લ્ડ કપ વિવાદ ઉકેલવા માટે ઢાકા જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ડિરેક્ટર ઇફ્તેખાર રહેમાને શુક્રવારે ક્રિકબઝને આ વાતની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે ICC પ્રતિનિધિઓ શનિવારે ઢાકા પહોંચશે. રહેમાને કહ્યું- ‘અમે તેમની સાથે બેસવા માટે ઉત્સુક છીએ. અમને આશા છે કે આ મુદ્દાનો ઉકેલ આવી જશે.’ શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે મોહમ્મદ યુનુસ સરકારના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. 13 જાન્યુઆરીએ BCB પ્રેસિડેન્ટ અમીનુલ ઇસ્લામે વીડિયો કોલમાં નારાજગી વ્યક્ત કરતા વાતચીત લગભગ બંધ કરી દીધી હતી. હવે ICCએ ફરી એકવાર બાંગ્લાદેશ બોર્ડનો સંપર્ક કર્યો. BCBએ કહ્યું હતું કે- અમે અમારો નિર્ણય બદલીશું નહીં BCBએ મીડિયા રિલીઝમાં કહ્યું કે વીડિયો કોન્ફરન્સમાં અમે અમારી માગણી દોહરાવી છે. ICCએ અમને જણાવ્યું છે કે શેડ્યૂલ જાહેર થઈ ચૂક્યું છે. તેણે અમને ભારતમાં ન રમવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા વિનંતી કરી છે. અમે અમારો નિર્ણય બદલ્યો નથી. ખેલાડીઓ, અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે ઉકેલ શોધવા માટે ICC સાથે વાતચીત ચાલુ રાખીશું. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા પર વિવાદ
બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. તેને KKRએ 3 જાન્યુઆરીએ BCCIના કહેવા પર ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનાથી ખળભળી ઉઠેલી બાંગ્લાદેશ સરકારે પોતાના ત્યાં IPL મેચના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો. આ પછી ખેલાડીઓની સુરક્ષાનું કારણ આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં સ્થળ બદલવાની માગ પણ કરી. 7 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશની પહેલી મેચ
T-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ગ્રુપ-Cમાં રાખવામાં આવ્યું છે. ટીમ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 9 ફેબ્રુઆરીએ ઇટાલી અને 14 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે ટકરાવાની છે. ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે. જ્યારે ટીમની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે થવાની છે. KKRએ મુસ્તફિઝુરને ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો, પછી IPLમાં રમવા પર વિવાદ
16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 7 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો હતો.