જુનિયર NTRની નવી ફિલ્મ વિવાદમાં સપડાઈ:પોસ્ટર રિવીલ થતાં જ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ, ભગવાન મુરુગન પર વાર્તા આધારિત

Last Updated: July 7, 2026By

સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRની નવી ફિલ્મ એક માયથો ડ્રામા હશે. આ હજુ ફ્લોર પર પણ પહોંચી નથી, પરંતુ એક પોસ્ટર અને તેની ટેગલાઇને તેને દેશભરમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે. ભગવાન મુરુગનના કથિત ચિત્રણ અને પોસ્ટરમાં કરવામાં આવેલા ‘ઉત્તરમાં જન્મ’ સંબંધિત દાવા પર તમિલનાડુમાં તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. તમિલનાડુની રાજકીય પાર્ટી ‘નામ તમિલર કાચી’ના પ્રમુખ અને ભૂતપૂર્વ એક્ટર-ફિલ્મમેકર સીમાને ફિલ્મ પર રાજ્યમાં પ્રતિબંધ મૂકવાની માંગ કરતા મેકર્સને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને લઈને પક્ષ-વિપક્ષની ચર્ચા તેજ બની ગઈ છે, જ્યારે મેકર્સે હજુ સુધી વિવાદ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. 29 જૂને આ નવા મેગા પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી જુનિયર NTR અને ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસે 29 જૂને પોતાના આ નવા મેગા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. પોસ્ટરમાં ત્રિશૂળ અને ભાલાને DNAની આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ‘આ વાર્તા એવા દેવતાની છે, જેનો જન્મ ઉત્તરમાં થયો, જેણે દેશના મધ્યમાં આકાર લીધો અને દક્ષિણમાં જેની પૂજા થાય છે.’ આ જ પંક્તિ પર વિવાદ ઊભો થયો. તમિલ સમાજના એક વર્ગનું કહેવું છે કે, ભગવાન મુરુગન તમિલ સંસ્કૃતિ અને ઓળખના કેન્દ્રમાં છે, તેથી તેમને ‘ઉત્તર ભારતમાં જન્મેલા’ ગણાવવા સાંસ્કૃતિક અને ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવા સમાન છે. જોકે, ફિલ્મની વાર્તા અને ટાઇટલનો હજુ સુધી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ ભગવાન કાર્તિકેય (મુરુગન)થી પ્રેરિત ફિલ્મ હોઈ શકે છે. ફિલ્મના કન્ટેન્ટ પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ ફિલ્મને લઈને વિવાદ ત્યારે વધુ વકર્યો, જ્યારે રવિવારે સીમાને સોશિયલ મીડિયા પર લાંબુ નિવેદન બહાર પાડ્યું. તેમણે આરોપ લગાવ્યો કે તમિલ ઇતિહાસ અને ધાર્મિક પરંપરાઓને તોડી-મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે કલાના નામે ભગવાન મુરુગન વિશે મનઘડંત કથાઓ ન બતાવો. સીમાને તમિલનાડુ સરકારને પણ અપીલ કરી કે જો વિવાદાસ્પદ પાસાઓમાં ફેરફાર કરવામાં ન આવે, તો ફિલ્મના તમિલ અને તેલુગુ વર્ઝન પર પ્રતિબંધ મૂકવામાં આવે. ‘ડ્રેગન’: આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક પર આધારિત ફિલ્મ જ્યારે જુનિયર એનટીઆર, ડિરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ ‘ડ્રેગન’માં પણ જોવા મળશે. આ ફિલ્મ 11 જૂન 2027ના રોજ રિલીઝ થશે. 1967ની પૃષ્ઠભૂમિ પર બનેલી આ પીરિયડ એક્શન ડ્રામા આંતરરાષ્ટ્રીય અફીણની તસ્કરી, ગોલ્ડન ટ્રાયેંગલ અને અપરાધ જગતના લોહિયાળ સત્તા સંઘર્ષની વાર્તા દર્શાવશે. ડિરેક્ટર પ્રશાંતના મતે આ તેમના કરિયરની અત્યાર સુધીની સૌથી વાસ્તવિક ફિલ્મ છે.