ટોપ 10 કંપનીઓમાંથી 7ની વેલ્યુ ₹1.75 લાખ કરોડ ઘટી:રિલાયન્સ ટોપ લૂઝર રહી, વેલ્યુ ₹89 હજાર કરોડ ઘટી; HDFC બેંકનું માર્કેટ કેપ પણ ઘટ્યું
માર્કેટ કેપના હિસાબે દેશની 10 સૌથી મોટી કંપનીઓમાંથી 7 કંપનીઓની વેલ્યુ ગત સપ્તાહના કારોબારમાં 1.75 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ. મિડલ ઈસ્ટમાં તણાવ અને ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે આ ઘટાડો આવ્યો છે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુ સૌથી વધુ ઘટી. રિલાયન્સનું માર્કેટ કેપ 89,720 કરોડ રૂપિયા ઘટીને ₹18.24 લાખ કરોડ પર આવી ગયું. HDFCનું માર્કેટ કેપ 37,248 કરોડ રૂપિયા ઘટીને ₹11.64 લાખ કરોડ પર આવી ગયું. જ્યારે SBIની માર્કેટ વેલ્યુ ₹35,399 કરોડ ઘટીને ₹9.41 લાખ કરોડ પર આવી ગઈ. આ ઉપરાંત, ગત સપ્તાહે ICICI બેંક, ભારતી એરટેલ, HUL અને TCSનું માર્કેટ કેપ પણ ઘટ્યું છે. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફાઇનાન્સ અને ઇન્ફોસિસનું માર્કેટ કેપ વધ્યું છે. ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી 1.27% સુધી ઘટ્યા હતા અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ વચ્ચે ગયા અઠવાડિયે સેન્સેક્સ 949.74 (1.27%) અને નિફ્ટી 294.9 (1.27%) પોઈન્ટ ઘટ્યા હતા. જ્યારે શેરબજારમાં 27 માર્ચ એટલે કે શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1690 પોઈન્ટ (2.25%) ના ઘટાડા સાથે 73,583 પર આવી ગયો. જ્યારે નિફ્ટીમાં પણ 486 પોઈન્ટ (2.09%) નો ઘટાડો જોવા મળ્યો, તે 22,820 પર બંધ થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન શું છે? માર્કેટ કેપ એ કોઈપણ કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર એટલે કે હાલમાં તેના શેરધારકો પાસે રહેલા તમામ શેરનું મૂલ્ય છે. તેની ગણતરી કંપની દ્વારા જાહેર કરાયેલા શેરની કુલ સંખ્યાને તેમની કિંમત વડે ગુણીને કરવામાં આવે છે. તેને એક ઉદાહરણથી સમજો… ધારો કે… કંપની ‘A’ ના 1 કરોડ શેર માર્કેટમાં લોકોએ ખરીદ્યા છે. જો એક શેરની કિંમત 20 રૂપિયા છે, તો કંપનીની માર્કેટ વેલ્યુ 1 કરોડ x 20 એટલે કે 20 કરોડ રૂપિયા થશે. કંપનીઓની માર્કેટ વેલ્યુ શેરની કિંમતો વધવા કે ઘટવાને કારણે વધે-ઘટે છે. તેના બીજા ઘણા કારણો છે… માર્કેટ કેપના ઉતાર-ચઢાવની કંપની અને રોકાણકારો પર શું અસર થાય છે? કંપની પર અસર : મોટું માર્કેટ કેપ કંપનીને બજારમાંથી ભંડોળ એકત્ર કરવામાં, લોન લેવામાં અથવા અન્ય કંપનીઓ હસ્તગત કરવામાં મદદ કરે છે. જ્યારે, નાના અથવા ઓછા માર્કેટ કેપથી કંપનીની નાણાકીય નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે. રોકાણકારો પર અસર : માર્કેટ કેપ વધવાથી રોકાણકારોને સીધો ફાયદો થાય છે. કારણ કે તેમના શેરની કિંમત વધી જાય છે. ઘટાડાથી નુકસાન થઈ શકે છે, જેના કારણે રોકાણકારો શેર વેચવાનો નિર્ણય લઈ શકે છે. ઉદાહરણ: જો TCSનું માર્કેટ કેપ ₹12.43 લાખ કરોડથી વધે છે, તો રોકાણકારોની સંપત્તિ વધશે અને કંપનીને ભવિષ્યમાં રોકાણ માટે વધુ મૂડી મળી શકે છે. પરંતુ જો માર્કેટ કેપ ઘટે છે તો તેનું નુકસાન થઈ શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

