પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રિદીએ કહ્યું- હાલ હું જ કેપ્ટન છું:બાબર આઝમના ફરીથી કેપ્ટન બનવાની ચર્ચા વચ્ચે નિવેદન આપ્યું

Last Updated: August 11, 2026By

પાકિસ્તાનના વન-ડે કેપ્ટન શાહીન આફ્રિદીએ કેપ્ટનશીપ અંગે નિવેદન આપ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહીનને પૂછ્યું- શું તમને 2027 વર્લ્ડ કપ સુધી કેપ્ટન તરીકે ચાલુ રાખવાની પુષ્ટિ મળી છે? આના પર શાહીને કહ્યું- ‘હાલ હું કેપ્ટન છું.’ તેણે નેશનલ ચેમ્પિયન્સ કપ ટીમના કેપ્ટનો સાથેની પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. તેના આ નિવેદનને બાબર આઝમની ટીમમાં વાપસીની ચર્ચા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે બાબરને ફરીથી તમામ ફોર્મેટની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. શાહીન ઓક્ટોબર 2025માં કેપ્ટન બન્યો હતો શાહીનને ઓક્ટોબર 2025માં મોહમ્મદ રિઝવાનના સ્થાને પાકિસ્તાનનો વન-ડે કેપ્ટન બનાવ્યો હતો. રિઝવાનની આગેવાની હેઠળ પાકિસ્તાને 20 વન-ડે રમી, જેમાં ટીમે 9 મેચ જીતી અને 11 હારી. એટલે કે ટીમ 50 ટકા મેચ પણ જીતી શકી નહીં. ત્યારબાદ કેપ્ટન બનેલા શાહીને ટીમને 11માંથી 7 મેચ જીતાડી. જ્યારે 4માં હાર મળી. તેની જીતની ટકાવારી 63.63% રહી છે. વર્લ્ડ કપની તૈયારી પર શાહીનનું ધ્યાન કેપ્ટનશીપને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા પર વાત કરવાને બદલે શાહીને નેશનલ ચેમ્પિયન્સ કપ પર ધ્યાન આપ્યું. આ ટુર્નામેન્ટ 11થી 18 ઑગસ્ટ સુધી ચાલશે અને તેમાં પાકિસ્તાનના મુખ્ય ડોમેસ્ટિક ખેલાડીઓ ભાગ લેશે. શાહીનનું માનવું છે કે આ ટુર્નામેન્ટ વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનની ટીમમાં જરૂરી વિકલ્પો તૈયાર કરવામાં મદદ કરી શકે છે. તેણે કહ્યું, “જ્યારે પણ આપણે વર્લ્ડ કપ રમવા જઈએ છીએ, ત્યારે ઘણા ખેલાડીઓને ઈજા થાય છે. જો વર્લ્ડ કપ પહેલાં કોઈ ખેલાડીને ઈજા થાય છે, તો આપણી પાસે પહેલાથી ખેલાડીઓ ઉપલબ્ધ હશે.” શાહીને કહ્યું, “આ ટુર્નામેન્ટમાં હાજર ખેલાડીઓમાંથી વિકલ્પો શોધવા આપણા માટે સરળ હશે.” તેણે ખેલાડીઓને તેમની પસંદગીની ભૂમિકામાં રમવાની તક આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શાહીને કહ્યું, “આ ટુર્નામેન્ટ દરેકને પોતાની જગ્યા અને ભૂમિકા અનુસાર રમવાની તક આપશે.” ફોર્મ અને ફિટનેસ પર નજર રાખશે પસંદગીકારો શાહીન મુજબ, આ સ્પર્ધામાં ખેલાડીઓનું પ્રદર્શન પાકિસ્તાનની વર્લ્ડ કપ યોજનાને સીધી અસર કરી શકે છે. આ દરમિયાન ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસ પર નજર રાખવામાં આવશે. તેણે કહ્યું, “બધા ખેલાડીઓ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. મેં કહ્યું તેમ, અમારું ધ્યાન વર્લ્ડ કપ પર છે.” શાહીને વધુમાં કહ્યું, “વ્યક્તિગત પ્રદર્શન ઉપરાંત અન્ય ખેલાડીઓના પ્રદર્શન અને ફિટનેસનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે.” વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનનો વ્યસ્ત કાર્યક્રમ 2027 વન-ડે વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનનો કાર્યક્રમ વ્યસ્ત છે. ટીમને ત્રિકોણીય શ્રેણી ઉપરાંત ઇંગ્લેન્ડમાં પાંચ મેચની સિરીઝ પણ રમવાની છે. આગામી ડોમેસ્ટિક સ્પર્ધાથી પસંદગીકારોને શાહીન માટે ઉપલબ્ધ ટીમની ઊંડાઈ તપાસવાની વધુ એક તક મળશે. ઈજા થવાની સ્થિતિમાં સંભવિત વિકલ્પોની ઓળખ પણ કરી શકાશે.