ફૈઝલે મોટાભાઈ આમિર ખાનની માફી માંગી:જૂના નિવેદન પર પસ્તાવો વ્યક્ત કર્યો, લગ્નની શુભેચ્છા પાઠવી; થોડા મહિના પહેલા છેડો ફાડ્યો હતો

Last Updated: July 1, 2026By

આમિર ખાન અને તેના નાના ભાઈ ફૈઝલ વચ્ચે સમાધાન થઈ ગયું છે. થોડા મહિના પહેલા જ ફૈઝલે આમિર અને પરિવાર વિરુદ્ધ ઘણા આરોપો લગાવતા એક નિવેદન આપ્યું હતું અને સંબંધો તોડી નાખ્યા હતા. જોકે, હવે ફૈઝલનું કહેવું છે કે, તેણે પરિવાર પાસેથી માફી માંગી લીધી છે. બધાએ તેને માફ કરીને ફરીથી અપનાવી લીધો છે. આ દરમિયાન ફૈઝલે આમિરને 5 જુલાઈના રોજ થનારા ત્રીજા લગ્ન માટે શુભેચ્છાઓ પણ આપી. ફૈઝલ ખાને ઉજ્જવલ ત્રિવેદીને આપેલા ઇન્ટરવ્યુમાં ભાઈ આમિરને સંદેશ આપતા કહ્યું, ‘હું આમિર, અમ્મી અને નિખત પાસેથી બસ માફી માંગવા માંગુ છું. મારાથી જે ભૂલ થઈ છે, હું તેની માફી માંગુ છું. તેઓ પણ વિચારે કે તેમણે શું ભૂલ કરી છે. તેઓ પોતાનું સુધારે, અમે પોતાનું સુધારીએ, તો આપોઆઆપ વસ્તુઓ સુધરી જશે.’ જમીનના કબજાની જાણકારી આપવા માટે પરિવારનો સંપર્ક કર્યો ફૈઝલે વાતચીતમાં જણાવ્યું છે કે, થોડા સમય પહેલા તે ખાનદાની જમીનોનો હિસાબ લેવા ગામડે ગયો હતો. ત્યાં તેને ખબર પડી કે, આમિરની કેટલીક જમીનો પર કેટલાક લોકોએ કબજો કરી લીધો છે. જોકે, ત્યારે તેની આમિર સાથે વાતચીત બંધ હતી. આવી સ્થિતિમાં ફૈઝલે બહેન નિખતને ફોન કર્યો અને તેણે તરત જ ફોન ઉપાડી લીધો. બહેને તેને જણાવ્યું કે, માતાની તબિયત પણ બગડી છે અને માતા તેના (ફૈઝલ) વિશે પૂછતી રહે છે. આવી સ્થિતિમાં ફૈઝલે તેમની સાથે પણ વાત કરી અને માતાની ભાવુક વાતો સાંભળીને તે બીજા જ દિવસે તેમને મળવા પહોંચ્યો અને પરિવારમાં સૌ સારાવાના થઈ ગયા. આમિરને લગ્નની શુભકામનાઓ આપી આમિરના લગ્ન વિશે વાત કરતા ફૈઝલે કહ્યું, ‘5 જુલાઈએ તેમના લગ્ન છે. હું તેમને શુભકામનાઓ આપું છું. તેઓ ખુશ રહે, એ જ અમારી દિલથી દુઆ છે.’ ફૈઝલ ખાને પોતાના જૂના નિવેદન પર પણ પસ્તાવો વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે, ઇન્ટરવ્યુમાં તેણે જે કંઈ કહ્યું, તે તેનો ગુસ્સો હતો. તે પોતાના પરિવાર પાસેથી કેટલાક પ્રશ્નોના જવાબ ઇચ્છતો હતો, પરંતુ ઇન્ટરવ્યુમાં તેણે પરિવાર વિરુદ્ધ ઘણી વાતો કહી, જે ન કહેવી જોઈતી હતી. ફૈઝલે કહ્યું કે, ‘તે ઇન્ટરવ્યુ પછી મારો પરિવાર વિખેરાઈ ગયો.’ અંતે ફૈઝલે કહ્યું, ‘મારી દુઆ છે કે હવે આપણે આનાથી આગળ વધતા જઈએ અને આપણી બોન્ડિંગ વધુ મજબૂત થતી જાય. આજથી મારો આ જ પ્રયાસ રહેશે.’ ફૈઝલ ખાન છેલ્લે કન્નડ ફિલ્મ ‘ઓપંદા’માં જોવા મળ્યો હતો. હાલમાં તે પોતાની કેટલીક સ્ક્રિપ્ટ્સ પર કામ કરી રહ્યો છે, જેના પર તે આગળ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે. આમાં ‘પપ્પુ હિન્દુસ્તાની’ પણ સામેલ છે, જે એક કોમેડી સસ્પેન્સ ફિલ્મ હશે. ફૈઝલના આરોપો પર પરિવારે નિવેદન બહાર પાડ્યું હતું આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને થોડા મહિના પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં પરિવાર પર અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, આમિર અને પરિવારે તેને એક વર્ષ સુધી એક રૂમમાં બંધ રાખ્યો હતો. જોકે, પરિવારે નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, પરિવારે મેડિકલ એક્સપર્ટ્સની સલાહ પર તેમના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલાક પગલાં લીધા હતા, જેને ફૈઝલ અગાઉ પણ ખોટી રીતે રજૂ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે, ફૈઝલ સ્કિઝોફ્રેનિયાનો દર્દી રહી ચૂક્યો છે અને તેને એવું લાગવા માંડ્યું હતું કે, આસપાસના લોકો તેને નુકસાન પહોંચાડવા માંગે છે. આ ઉપરાંત નિવેદનમાં પરિવારે આ અંગત મામલાને ગપસપનો વિષય બનાવવાથી બચવા વિનંતી કરી હતી. પરિવારે નિવેદનમાં લખ્યું હતું કે, મીડિયાને સંવેદનશીલતા દાખવવા વિનંતી છે. અમે ફૈઝલ દ્વારા તેની માતા ઝીનત તાહિર હુસૈન, બહેન નિખત હેગડે અને ભાઈ આમિર પર કરવામાં આવેલી દુઃખદાયક અને ગેરમાર્ગે દોરનારી રજૂઆતથી વ્યથિત છીએ. આ પહેલીવાર નથી કે, તેણે આ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરી હોય, તેથી અમે અમારા ઇરાદાઓને સ્પષ્ટ કરવા અને એક પરિવાર તરીકે અમારી પરસ્પર એકતાને પુનરાવર્તિત કરવી જરૂરી સમજીએ છીએ. આગળ લખ્યું હતું, એ શેર કરવું જરૂરી છે કે, ફૈઝલ સાથે જોડાયેલા દરેક નિર્ણય પરિવારે સામૂહિક રીતે, ઘણા તબીબી નિષ્ણાતોની સલાહ લઈને, ફક્ત પ્રેમ, કરુણા અને તેમના ભાવનાત્મક તેમજ માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને લીધા છે. આ જ કારણસર, અમે અમારા પરિવાર માટે મુશ્કેલ અને પીડાદાયક આ સમયગાળાની વિગતોને સાર્વજનિક રૂપે શેર કરવાનું ટાળ્યું છે. અમે મીડિયાને સંવેદનશીલતાની અપીલ કરીએ છીએ અને આગ્રહ કરીએ છીએ કે આ અંગત વિષયને સનસનાટીભર્યા, ઉશ્કેરણીજનક અને દુઃખ પહોંચાડતી ગપસપમાં ન બદલે.