'રાજા શિવાજી'નું પહેલું ટીઝર 'ધુરંધર 2' સાથે રિલીઝ કરાશે:રિતેશ દેશમુખ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ગાથા વર્ણવશે; 1 મેના રોજ થિયેટરમાં રજૂ થશે

Last Updated: March 18, 2026By

રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જિયો સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપનીએ જાહેરાત કરી છે કે, આ ફિલ્મનો પહેલો લુક ટીઝર 19 માર્ચે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ સાથે મોટા પડદા પર બતાવવામાં આવશે. દર્શકોને આ ફિલ્મની પહેલી ઝલક આજે ‘ધુરંધર’ના પેઇડ પ્રિવ્યૂ દરમિયાન જ સિનેમાઘરોમાં મળી ચૂકી છે. ફક્ત થિયેટરમાં જ દેખાશે પહેલું ટીઝર મેકર્સે આ ટીઝરને હાલ પૂરતું ‘સિનેમા એક્સક્લુઝિવ’ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, તેને જોવા માટે તમારે થિયેટર જ જવું પડશે. આ ટીઝર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને તેમના શૌર્યની એક ઝલક રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં રિતેશ દેશમુખ માત્ર મુખ્ય ભૂમિકા જ નથી ભજવી રહ્યો, પરંતુ તે પોતે તેનું ડિરેક્શન પણ કરી રહ્યો છે. સ્વરાજ્યનો પાયો નાખનાર યોદ્ધાની વાર્તા ‘રાજા શિવાજી’ ફિલ્મ એક એવા પુત્રની વાર્તા છે, જેણે અત્યાચારી શક્તિઓ સામે ઊભા રહેવાની શપથ લીધી અને સ્વરાજ્યનો પાયો નાખ્યો. રિતેશ દેશમુખે આ ફિલ્મને મોટા પાયે તૈયાર કરી છે. ફિલ્મનો ઉદ્દેશ્ય આ ઐતિહાસિક ગાથાને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે એક ઉદાહરણ તરીકે રજૂ કરવાનો છે. 1 મેના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે ‘રાજા શિવાજી’નું નિર્માણ જ્યોતિ દેશપાંડે અને જેનેલિયા દેશમુખે જિયો સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપનીના બેનર હેઠળ કર્યું છે. ફિલ્મ 1 મે, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ દિવસ મહારાષ્ટ્ર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે ફિલ્મના રિલીઝ માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે.