₹10,000થી વધુના ઓનલાઈન-પેમેન્ટ પર 1 કલાકનો બ્રેક:ખોટા ટ્રાન્ઝેક્શન કેન્સલ કરવાની તક મળશે, RBIએ 'કિલ સ્વીચ'નું પણ સૂચન કર્યુ; ઓનલાઈન ફ્રોડ પર RBI મારશે હથોડો
ટૂંક સમયમાં એવું બની શકે છે કે ₹10 હજારથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરત ન થાય. તેમાં 1 કલાકનો વિલંબ થઈ શકે છે. આનાથી ગ્રાહકોને ખોટા ટ્રાન્ઝેક્શન રોકવા અથવા કેન્સલ કરવાની તક મળશે. દેશમાં વધતા ડિજિટલ ફ્રોડને રોકવા માટે RBIએ આ પ્રસ્તાવ મૂક્યો છે. RBIનું માનવું છે કે ઠગબાજો ઘણીવાર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવીને ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરાવે છે, આ વિલંબ તે દબાણને ખતમ કરશે. હાલમાં મોટાભાગના ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરત થાય છે, જેનાથી યુઝરને વિચારવાનો કે ભૂલ સુધારવાનો મોકો મળતો નથી. RBIના પ્રસ્તાવ સાથે જોડાયેલી 3 અન્ય મોટી વાતો 1. સિનિયર સિટીઝન્સ માટે ‘ટ્રસ્ટેડ પર્સન’ સુવિધા 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને દિવ્યાંગો માટે સુરક્ષા વધુ કડક બનશે. 50,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે એક ‘ટ્રસ્ટેડ પર્સન’ (ભરોસાપાત્ર વ્યક્તિ)ની મંજૂરી જરૂરી બની શકે છે. આ છેતરપિંડી સામે સુરક્ષાના બીજા સ્તર તરીકે કામ કરશે. 2. ભરોસાપાત્ર વ્યક્તિને ‘વ્હાઇટલિસ્ટ’માં સામેલ કરી શકશો જો તમે કોઈ એવી વ્યક્તિ કે વેપારીને પૈસા મોકલી રહ્યા છો જેને તમે જાણો છો, તો તમે તેને તમારી ‘વ્હાઇટલિસ્ટ’માં સામેલ કરી શકો છો. વ્હાઇટલિસ્ટેડ લોકોને પેમેન્ટ કરવા પર આ 1 કલાકનો વિલંબ લાગુ પડશે નહીં, જેનાથી નિયમિત લેણદેણમાં મુશ્કેલી નહીં આવે. 3. ડિજિટલ પેમેન્ટ બંધ કરવા માટે ‘કિલ સ્વિચ’ RBI એ એક ‘કિલ સ્વિચ’નું પણ સુચન આપ્યું છે. જો કોઈ ગ્રાહકને લાગે કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે અથવા કોઈ ખોટું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે, તો તે એક ક્લિકથી તેની તમામ ડિજિટલ પેમેન્ટ સેવાઓને તરત જ બંધ કરી શકશે. ટેબલમાં સમજો શું બદલાઈ જશે? શા માટે તેની જરૂર પડી? ગયા વર્ષે દેશમાં ડિજિટલ ફ્રોડને કારણે થતું નુકસાન 22 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું. RBI અનુસાર, 10 હજાર રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝેક્શન કુલ ફ્રોડ કેસના માત્ર 45% છે, પરંતુ કુલ ફ્રોડ વેલ્યુમાં તેમનો હિસ્સો 98.5% છે. આને ધ્યાનમાં રાખીને 10 હજારની લિમિટ નક્કી કરવામાં આવી છે. નિયમ ક્યાં સુધી લાગુ થઈ શકે છે? RBI હાલમાં બેંકો અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે મળીને તેના ટેકનિકલ પાસાઓ પર ચર્ચા કરી રહ્યું છે. તેમાં મુખ્ય પડકાર એ છે કે ડિજિટલ પેમેન્ટની ‘ઝડપ’ અને ‘સુરક્ષા’ વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવવું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી કેટલાક મહિનાઓમાં આ માટે વિગતવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવી શકે છે અને તેને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. એક્સપર્ટનો મત: સુરક્ષા અને સ્પીડ વચ્ચે બેલેન્સ RBI એ સ્વીકાર્યું છે કે ડિજિટલ પેમેન્ટનો મૂળભૂત સિદ્ધાંત ‘ઇન્સ્ટન્ટ’ એટલે કે ત્વરિત ચુકવણી છે. ફરજિયાત વિલંબથી યુઝરને થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તે જરૂરી છે. RBI એ આ ચર્ચા પત્ર પર 8 મે સુધી સામાન્ય જનતા અને હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

