એક મોટી હાર પછી કેવી રીતે બદલાયો ઈન્ડિયાનો એપ્રોચ?:રોહિતના શબ્દોએ ટીમની રમવાની શૈલીને બદલી, હવે ઈન્ડિયન ટીમ સતત બીજીવાર ચેમ્પિયન બનવાના આરે
10 નવેમ્બર 2022, T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડે હરાવી દીધું. હાર પણ સામાન્ય નહોતી, 169 રનનો ટાર્ગેટ 16 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર જ ચેઝ કરી લીધો. મેચ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વિકેટકીપર દિનેશ કાર્તિકને કહ્યું, “આપણે બદલાવ કરવો પડશે.” આજે 8 માર્ચ 2026 છે. સાડા 3 વર્ષમાં ICCએ વ્હાઇટ બોલ ક્રિકેટની 4 ટુર્નામેન્ટ કરાવી, બધામાં ટીમ ઈન્ડિયા ફાઇનલ સુધી પહોંચી. એકમાં રનર-અપ જરૂર રહી, પરંતુ 2માં ટ્રોફી જીતી લીધી. આજે ન્યૂઝીલેન્ડ સામે ટીમ સતત ત્રીજો ખિતાબ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. 2022 પછી આખરે ઇન્ડિયન ક્રિકેટમાં એવું શું બદલાઈ ગયું કે ટીમ સતત ચોથા ICC ફાઇનલમાં પહોંચી ગઈ? સ્ટોરીમાં જાણીએ… ધીમી બેટિંગે વર્લ્ડકપ સેમિફાઇનલ હરાવ્યો 2022ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારતની સૌથી મોટી નબળાઈ તેનો રન રેટ અને બેટર્સનો સ્ટ્રાઈક રેટ હતો. શરૂઆતની 6 ઓવરમાં વિકેટ બચાવવાની હોડમાં ભારતીય બેટર્સે રન બનાવવાનું ભૂલી જતા હતા. એડિલેડમાં પણ આવું જ થયું. 6 ઓવરમાં ટીમ માત્ર 38 રન જ બનાવી શકી, 13 ઓવરમાં સ્કોર 80 રન રહ્યો. વિરાટ કોહલીએ ફરી હાર્દિક પંડ્યા સાથે સ્કોર 168 સુધી પહોંચાડ્યો. હાર્દિકે 33 બોલમાં 63 અને કોહલીએ 40 બોલમાં 50 રન બનાવ્યા. 169 નો ટાર્ગેટ ઇંગ્લિશ ઓપનર્સ જોસ બટલર અને એલેક્સ હેલ્સે નાનો સાબિત કરી દીધો. બંનેએ પાવરપ્લેમાં 63 રન બનાવ્યા અને 16 ઓવરમાં ટાર્ગેટ જ ચેઝ કરી લીધો. કેપ્ટન રોહિતે એપ્રોચ બદલ્યો, આક્રમક શરૂઆત અપાવી 2022 સેમિફાઇનલ પછી કેપ્ટન રોહિત ડ્રેસિંગ રૂમમાં નિરાશ બેઠા હતા. કાર્તિક તેની પાસે પહોંચ્યો અને પૂછ્યું કે શું થયું? ત્યારે રોહિત બોલ્યો, “આપણે બદલાવ કરવો પડશે, આ અભિગમ સાથે આપણે વર્લ્ડ કપ જીતી શકીશું નહીં. આપણે ઝડપથી રમવું પડશે.” ટુર્નામેન્ટ પછી રોહિતે લાંબી ઇનિંગ્સ રમવાને બદલે ટીમને ઝડપી શરૂઆત અપાવવા પર ધ્યાન આપ્યું. એક ખરાબ મેચે વર્લ્ડ કપ રનર-અપ બનાવ્યા T20 વર્લ્ડ કપ પૂરો થયો, આગલો ટાર્ગેટ વન-ડે વર્લ્ડ કપ હતો. રોહિતે આ ફોર્મેટમાં પણ આક્રમક અભિગમ અપનાવ્યો. શુભમન ગિલ સાથે ઓપનિંગમાં ઉતર્યો, પરંતુ એક છેડેથી સતત ઝડપી રન બનાવ્યા. જેથી મિડલ ઓવરમાં ખેલાડીઓને સંભાળવાનો વધુ સમય મળે. ભારતે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને વર્લ્ડ કપ પહેલા વન-ડે એશિયા કપ જીતી લીધો. ભારતે પછી સતત 10 મેચ જીતીને હોમ વર્લ્ડ કપની ફાઇનલમાં પણ સ્થાન બનાવી લીધું. 19 નવેમ્બર 2023, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખિતાબી મુકાબલો થયો. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. મુશ્કેલ પીચ પર ભારત 240 રન જ બનાવી શક્યું. બીજી ઇનિંગ્સમાં ઝાકળને કારણે બેટિંગ સરળ અને બોલિંગ મુશ્કેલ બની ગઈ. કાંગારૂ ટીમે 47 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ટ્રેવિસ હેડે સદી ફટકારીને ટીમને જીત અપાવી. કોહલી સાથે ઓપનિંગ, 64% T20 જીત્યા વન-ડેમાં હાર્ટબ્રેકના 7 મહિના પછી જ T20 વર્લ્ડ કપ થવાનો હતો. કોચ રાહુલ દ્રવિડે કેપ્ટન સાથે સ્ટ્રેટેજી બનાવી અને કોહલીને T20માં નવો ઓપનર બનાવ્યો. વિસ્ફોટક બેટર્સનો સાથે ઓલરાઉન્ડરો પર વધુ ફોકસ કર્યું. ટીમે આ દરમિયાન 64% T20 પણ જીત્યા. અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં વર્લ્ડ કપ માટે શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચારેયને મોટાભાગની મેચની પ્લેઇંગ-11માં પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેથી તમામ ખેલાડીઓ મોટા સ્ટેજ માટે તૈયાર રહે. 17 વર્ષ પછી T-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું ભારત અમેરિકામાં ભારતે પોતાની ગ્રુપ સ્ટેજ મેચો રમી. USA, આયર્લેન્ડ અને પાકિસ્તાનને હરાવીને સુપર-8માં એન્ટ્રી કરી લીધી. બીજા રાઉન્ડમાં ભારતે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું. ગ્રુપમાં છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે થઈ, ટીમે કાંગારૂ ટીમને હરાવીને વન-ડે ફાઇનલનો હિસાબ બરાબર કર્યો અને તેમને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવા જ ન દીધા. સેમિફાઇનલ ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી. ભારતે પહેલા બેટિંગ કરી, કેપ્ટન રોહિતે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ટીમને મુશ્કેલ પીચ પર 171 રન સુધી પહોંચાડી દીધી. અક્ષર પટેલ અને કુલદીપ યાદવે બોલિંગથી મેચ પલટી નાખી અને ઇંગ્લેન્ડને 103 રન પર જ સમેટી દીધું. ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનના નજીકના અંતરથી હરાવીને 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીતી લીધો. આ 11 વર્ષમાં ભારતની પ્રથમ ICC ટ્રોફી હતી, આ પહેલા 2013માં ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત, કોહલી અને જાડેજાએ ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. આગલો ટાર્ગેટ ચેમ્પિયન્સ ટ્રોફી હતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલી ટુર્નામેન્ટમાં ભારતે તેની બધી મેચ UAEના દુબઈ શહેરમાં રમી. અહીંની પીચ ધીમી હતી, પરંતુ રોહિતે પોતાનો આક્રમક અભિગમ બદલ્યો નહીં. તેણે ઓપનિંગ કરતા ટીમને દરેક વખતે ઝડપી શરૂઆત અપાવી. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 265નો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો. પાકિસ્તાન સામે સદી ફટકારનાર વિરાટ કોહલીએ 84 રન બનાવ્યા અને ટીમને 4 વિકેટે જીત અપાવી. ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને જ 4 વિકેટે હરાવ્યું અને સતત બીજી ICC ટુર્નામેન્ટ જીતી લીધી. ઓલરાઉન્ડર્સની વ્યૂહરચનાએ 84% T-20 જીતાડી T-20 વર્લ્ડ કપ પછી ગૌતમ ગંભીર ભારતના કોચ બન્યા, રોહિત પછી સૂર્યકુમાર યાદવને આ ફોર્મેટમાં કમાન મળી. બંનેએ મળીને રોહિતની ઓલરાઉન્ડર્સવાળી વ્યૂહરચનાને એડવાન્સ લેવલ પર પહોંચાડી દીધી. હાર્દિક, દુબે અને અક્ષરની સાથે હર્ષિત રાણા, તિલક વર્મા અને અભિષેક શર્માને પણ સામેલ કરી લીધા. ત્રણેય બેટિંગ અને બોલિંગ બંનેમાં કારગર છે. 2024 વર્લ્ડ કપ પછી આ વર્લ્ડ કપ પહેલા સુધી ટીમ ઈન્ડિયાએ 41 T20 મેચ રમી. 33 જીતી અને માત્ર 6 ગુમાવી. એટલે કે 84% મેચોમાં સફળતા. આ દરમિયાન 2 મેચ અનિર્ણિત પણ રહી, 2 જીત સુપર ઓવરમાં આવી હતી. ભારતે પહેલીથી છેલ્લી બોલ સુધી એટેક કરવાની રણનીતિ અપનાવી અને 13 વખત 200થી વધુના સ્કોર બનાવ્યા. ટીમે સાઉથ આફ્રિકા સામે 283 અને બાંગ્લાદેશ સામે 297 રન પણ બનાવ્યા. 2 બેટર્સે 1000+ રન બનાવ્યા વર્લ્ડ કપ 2024 પછી ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્મા અને સંજુ સેમસનને ઓપનિંગ પોઝિશન માટે તૈયાર કર્યા. જ્યારે તિલક વર્માએ નંબર-3 પર પોતાની જગ્યા સ્થાપિત કરી લીધી. અભિષેક અને તિલકે 1000થી વધુ રન બનાવ્યા, બંને T20 બેટર્સ રેન્કિંગમાં ટોપ-2 પોઝિશન પર પણ પહોંચી ગયા. જ્યારે સેમસને 3 સદી ફટકારી દીધી. તેમનો સાથ આપવા માટે સૂર્યા, હાર્દિક, દુબે, અક્ષર અને રિંકુ હાજર રહ્યા. સ્પિન, પેસનું શાનદાર કોમ્બિનેશન કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલ સતત સારી બોલિંગ કરી રહ્યા હતા. તેમનો સાથ આપવા માટે ટીમમાં વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા પણ આવી ગયા. વરુણે આ દરમિયાન 70 વિકેટ ઝડપી અને T20 બોલર્સ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયા. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના શાનદાર કોમ્બિનેશનના દમ પર ટીમ ઈન્ડિયાએ T20 એશિયા કપ પણ જીતી લીધો. ભારતે ગ્રુપ સ્ટેજ, સુપર-4 અને ફાઇનલમાં પાકિસ્તાનને ત્રણેય મેચ હરાવી. ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નહીં. બેસ્ટ ટીમ બનીને વર્લ્ડ કપમાં ઉતરી છેલ્લા વર્લ્ડ કપ પછીથી ટીમ ઈન્ડિયાનો વિનિંગ રેટ દુનિયાભરમાં શ્રેષ્ઠ રહ્યો. વર્લ્ડ કપનો ભાગ બનેલી 20 ટીમમાં ભારત પછી નેપાળે સૌથી વધુ 76% મેચ જીતી. ઓસ્ટ્રેલિયા, UAE અને પાકિસ્તાન ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે રહ્યા. જોકે, ભારત સિવાય કોઈ પણ ટીમ વર્તમાન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકી નહીં. પાકિસ્તાન સિવાયની બાકીની 3 ટીમ તો સુપર-8 પહેલા જ બહાર પણ થઈ ગઈ. એટલે કે ભારતે પોતાનો દ્વિપક્ષીય સિરીઝવાળો ફોર્મ વર્લ્ડ કપમાં પણ જાળવી રાખ્યો. હોમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયા દ્વિપક્ષીય શ્રેણી અને એશિયા કપ પછી વર્લ્ડ કપનો વારો આવ્યો. શરૂઆતી મેચોમાં ભારતને અમેરિકા અને નેધરલેન્ડ્સ સામે થોડી મુશ્કેલી ચોક્કસ આવી, પરંતુ ટીમે નામિબિયા અને પાકિસ્તાનને મોટા અંતરથી હરાવીને સુપર-8માં પ્રવેશ કર્યો. બીજા રાઉન્ડમાં ભારતને પહેલી જ મેચમાં સાઉથ આફ્રિકાએ હરાવી દીધું. અભિષેક ફોર્મમાં નહોતો, જ્યારે સેમસન પ્લેઇંગ-11માં પણ સ્થાન બનાવી શક્યો નહીં. ઝિમ્બાબ્વે સામે સંજુએ વાપસી કરી અને ટીમે 256 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝ સામેની મહત્વની મેચમાં સેમસને 97 રન બનાવીને ટીમને જીત અપાવી. સંજુએ ફરી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 89 રન બનાવ્યા અને સતત બીજો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો. ન્યૂઝીલેન્ડને આજ સુધી હરાવી શક્યા નથી વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારત ચોથી વખત T20 વર્લ્ડ કપની ટાઇટલ મેચમાં છે, ટીમ આ પહેલા પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાને હરાવી ચૂકી છે. જ્યારે શ્રીલંકા સામે હાર પણ મળી છે, પરંતુ કિવી ટીમ સામે પહેલી જ ટક્કર થશે. વર્લ્ડ કપ પહેલા જ ભારતે ન્યૂઝીલેન્ડને પોતાના જ ઘરમાં 4-1થી T20 સિરીઝ હરાવી હતી, પરંતુ વર્લ્ડ કપમાં રેકોર્ડ અને ઇતિહાસ સંપૂર્ણપણે કીવી ટીમની તરફેણમાં છે. બંને વચ્ચે અત્યાર સુધી 3 મેચ રમાઈ છે. દરેક વખતે ન્યૂઝીલેન્ડે બાજી મારી છે. 2007માં 10 રન, 2016માં 47 રન અને 2021માં 8 વિકેટે ભારતને હાર મળી હતી. T20 વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમ 3 ખિતાબ જીતી શકી નથી, ન તો કોઈ ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટાઇટલ જીત્યું છે. 2012માં શ્રીલંકા પછી ભારત જ એવી ટીમ છે, જેણે પોતાના હોમ ગ્રાઉન્ડના ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ત્યારે શ્રીલંકા રનર-અપ હતું. આટલું જ નહીં, કોઈ પણ ટીમ સતત 2 ટાઇટલ પણ જીતી શકી નથી. એટલે કે ભારત સામે 4 મોટા રેકોર્ડ્સ તોડવાનો પડકાર છે. ——————- IND vs NZ ફાઈનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો… સૂર્યાની કેપ્ટનશીપમાં ઈન્ડિયા ચેમ્પિયન બનશે?: તેની આગેવાનીમાં ભારત એકપણ સિરીઝ હાર્યું નથી, જો વર્લ્ડ કપ જીત્યા તો રોહિતને પાછળ છોડી દેશે ટીમ ઈન્ડિયા આજે ન્યૂઝીલેન્ડ સામે ટાઇટલ જીતવા અમદાવાદમાં ઉતરશે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. ટીમ ભલે એક મેચ હારી હતી, પણ બાકીને મેચમાં શાનદાર રમી છે. આ ઈન્ડિયન ટીમમાં બધાના વખાણ થઈ રહ્યા છે. કોઈ સંજુના કરે છે, તો કોઈ હાર્દિકના, તો કોઈ ગૌતમ ગંભીરના કોચિંગના પણ વખાણ કરે છે. પણ આ આખી ટીમને જેણે લીડ કરી છે, તેના વિશે ઘણી ઓછી ચર્ચા કરે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઈન્ડિયન T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની; જેણે માત્ર આ ટુર્નામેન્ટમાં જ નહીં, પણ છેલ્લા બે વર્ષથી આ ટીમને જબરદસ્ત લીડ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

