પાકિસ્તાનના લાલચુ ક્રિકેટર્સ બાટલીમાં ઉતરી ગયા:બાબર-રિઝવાન સહિતના ડઝનેક પ્લેયરે પોન્ઝી સ્કીમમાં અંદાજે 100 કરોડ ગુમાવ્યા, ગઠિયો દેશ છોડી ફરાર

Last Updated: January 22, 2026By

પાકિસ્તાની બેટર બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સાથે લગભગ 100 કરોડ પાકિસ્તાની રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જે પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ કેપ્ટન સહિત લગભગ એક ડઝન ખેલાડીઓએ PSL સાથે સંકળાયેલા એક બિઝનેસમેનની સ્કીમમાં પૈસા રોક્યા હતા. શરૂઆતમાં તેમને વળતર પણ મળ્યું, પરંતુ હવે અચાનક તેમને પૈસા મળવાનું બંધ થઈ ગયું. પીડિત ક્રિકેટરોએ જ્યારે બિઝનેસમેનનો સંપર્ક કર્યો, ત્યારે તેમને કહી દેવામાં આવ્યું કે હવે પૈસા પાછા નહીં મળે. ત્યારબાદ તેણે ફોન અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું. તે દેશ છોડીને જતો રહ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ખેલાડીઓએ માત્ર પોતાના જ નહીં, પરંતુ સંબંધીઓ અને નજીકના સહયોગીઓના પણ પૈસાનું રોકાણ કર્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ રકમ 100 કરોડ પાકિસ્તાની રૂપિયા સુધીની છે. એક ડઝનથી વધુ ખેલાડીઓ ઠગાઈનો શિકાર
પાકિસ્તાન ક્રિકેટ ટીમના લગભગ એક ડઝન વર્તમાન ખેલાડીઓ સાથે ઠગાઈ થઈ છે. આમાં બાબર, રિઝવાન અને શાહીન ઉપરાંત ફખર ઝમાન, શાદાબ ખાન જેવા નામો પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેપારી પાકિસ્તાન સુપર લીગની કેટલીક ફ્રેન્ચાઈઝીની સ્પોન્સરશિપ સાથે પણ સંકળાયેલો રહ્યો છે. મોટા નુકસાનનો હવાલો આપીને વેપારી ફરાર થયો
જ્યારે અસરગ્રસ્ત ખેલાડીઓએ તેનો સંપર્ક કર્યો ત્યારે વેપારીએ કથિત રીતે દાવો કર્યો કે તેને મોટું નુકસાન થયું છે. જેમાં ખેલાડીઓની રોકાણ કરેલી રકમ અને તેની પોતાની મૂડી પણ સામેલ છે. તેણે કહ્યું કે તે પૈસા પાછા આપવાની સ્થિતિમાં નથી. પોન્ઝી સ્કીમ શું છે?
પોન્ઝી સ્કીમ એક છેતરપિંડીભરી રોકાણ યોજના છે. આમાં લોકોને વધુ અને ઝડપી નફાની લાલચ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કોઈ વ્યવસાય કે રોકાણ હોતું નથી. આમાં નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને વળતર આપવામાં આવે છે. જ્યારે નવા લોકો આવવાનું બંધ થઈ જાય છે, ત્યારે સ્કીમ પડી ભાંગે છે અને મોટાભાગના લોકોના પૈસા ડૂબી જાય છે. ——————————— ક્રિકેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો… બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની અણી પર બાંગ્લાદેશે ગુરુવારે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો છે, જેના પછી ટીમનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું નક્કી માનવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા જ ICC એ સ્પષ્ટ કર્યું હતું કે બાંગ્લાદેશની તમામ ગ્રૂપ મેચ ભારતમાં જ રમાડવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…