ફાયરિંગ કેસમાં કમાલ આર. ખાનના જામીન મંજૂર:મુંબઈની રહેણાંક બિલ્ડિંગ પર ગોળીબાર કર્યો હોવાનો આરોપ; ગત અઠવાડિયે ધરપકડ થઈ હતી

Last Updated: January 31, 2026By

મુંબઈના ઓશિવરા ફાયરિંગ કેસમાં એક્ટર અને પ્રોડ્યુસર કમાલ આર ખાન ઉર્ફે KRKને જામીન મળ્યા છે. તેને 25 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. KRKને ગયા અઠવાડિયે મુંબઈ પોલીસે ઓશિવરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. પોલીસે પહેલા તેની પૂછપરછ કરી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન KRKએ જણાવ્યું હતું કે, ફાયરિંગ તેની લાઇસન્સવાળી બંદૂકથી થયું હતું. વકીલે કમાલ ખાનની ધરપકડ પર પ્રશ્નો ઉઠાવ્યા ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, KRKના વકીલ સના રઈસ ખાને આ કેસમાં એક્ટરની ધરપકડ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે, ‘આ ધરપકડ કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉપયોગ છે. ધરપકડ કોઈ નોટિસ વિના કરવામાં આવી હતી અને KRKના બંધારણીય અધિકારોનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.’ વકીલ સના ખાને કહ્યું કે, ‘એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે છ કારતૂસ એટલે કે ગોળીઓ ગાયબ છે. જો આવું હોય તો પણ, આ એક વહીવટી ભૂલ હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં લાઇસન્સ આપતી ઓથોરિટી કાર્યવાહી કરી શકે છે. આ માટે ફોજદારી કોર્ટમાં કેસ બનતો નથી.’ તેણે એમ પણ કહ્યું કે, ‘KRK પર એવો આરોપ નથી કે તેણે કોઈ વ્યક્તિ કે ઇમારતને નિશાન બનાવીને ગોળી ચલાવી. KRK લાઇસન્સવાળા હથિયારના માલિક છે.’ વકીલે આગળ કહ્યું કે, ‘છ દિવસ પછી એક વ્યક્તિએ કહ્યું કે તેણે પોતાના ઘરેથી ફાયરિંગનો અવાજ સાંભળ્યો. જોકે, તે વ્યક્તિનું નામ રિમાન્ડ રિપોર્ટમાં નોંધાયેલું નથી.’ વકીલે દાવો કર્યો કે, ‘પિસ્તોલની રેન્જ માત્ર 20 થી 30 મીટર સુધીની હોય છે. જ્યારે KRKના બંગલા અને તે ઇમારત વચ્ચેનું અંતર લગભગ 1500 મીટર છે. આવી સ્થિતિમાં ત્યાં સુધી ગોળી પહોંચવી શક્ય નથી.’ મુંબઈ પોલીસ અનુસાર, ‘ફાયરિંગની સૂચના મળ્યા બાદ CCTV ફૂટેજ જોવામાં આવ્યા અને ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી. KRK ને બાદમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને બે અઠવાડિયાની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે તેને આ મામલે જામીન મળી ગયા છે.’ આખો મામલો શું છે? ધરપકડ બાદ PTI ના અહેવાલમાં પોલીસે જણાવ્યું હતું કે, ‘શુક્રવારે મોડી રાત્રે કમાલને પૂછપરછ માટે ઓશિવરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.’ પોલીસ અનુસાર, પોતાના નિવેદનમાં KRK એ લાઇસન્સવાળી બંદૂકથી બે રાઉન્ડ ફાયર કરવાની વાત કબૂલી છે. આ ઘટના 18 જાન્યુઆરીના રોજ ઓશિવરા સ્થિત નાલંદા સોસાયટીમાં બની હતી. તપાસ દરમિયાન સોસાયટી પરિસરમાંથી બે ગોળીઓ મળી આવી હતી, જેમાં એક બીજા માળેથી અને બીજી ચોથા માળેથી મળી હતી. ઇન્ડિયા ટુડે અનુસાર, એક ફ્લેટ લેખક-નિર્દેશક નીરજ કુમાર મિશ્રાનો છે અને બીજો એક મોડેલ પ્રતીક બૈદનો છે. શરૂઆતમાં સીસીટીવી ફૂટેજમાંથી કોઈ પુરાવો મળ્યો ન હતો, પરંતુ ફોરેન્સિક તપાસમાં સંકેત મળ્યો કે ગોળીઓ નજીકના KRKના બંગલામાંથી ચલાવવામાં આવી હતી. પોલીસના મતે, ફાયરિંગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કોણ છે કમાલ આર ખાન (KRK)? કમાલ આર ખાન ઉર્ફે KRK પોતાને ફિલ્મ ક્રિટિક ગણાવે છે અને સોશિયલ મીડિયા પર અવારનવાર તેઓ ફિલ્મોની ટીકા કરતો જોવા મળે છે. ઘણી વાર તે બોલિવૂડ સ્ટાર્સ પર તીખી ટિપ્પણીઓના કારણે ચર્ચામાં રહ્યો છે. તે સલમાન ખાન, શાહરૂખ ખાન અને અજય દેવગન જેવા મોટા સિતારાઓ પર તીખી ટિપ્પણીઓ કરી ચૂક્યો છે. સલમાન ખાને તો તેની વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કરાવ્યો હતો. આ ઉપરાંત, KRK એ વર્ષ 2008 માં આવેલી ફિલ્મ ‘દેશદ્રોહી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેને પોતે જ પ્રોડ્યુસ પણ કરી હતી. આ પછી તે 2014ની ફિલ્મ ‘એક વિલન’માં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યો હતો.