બ્રિટનમાં મંદિરની જગ્યા મુસ્લિમોને વેચવા પર વિવાદ:હિંદુ સમાજે હાઈકોર્ટમાં અરજી કરી; હરાજીની પ્રક્રિયા ખોટી હોવાનો આરોપ
લંડનથી 120 કિમી દૂર પીટરબરોમાં 40 વર્ષ જૂના મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના વેચાણ પર વિવાદ થયો છે. પીટરબરો સિટી કાઉન્સિલે ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સને હરાજી પછી એક મુસ્લિમ સંસ્થા, યુનાઇટેડ કિંગડમ ઇસ્લામિક મિશન, ને વેચવાનો નિર્ણય કર્યો છે. આ જ પરિસરમાં ભારત હિંદુ સમાજનું મંદિર ચાલે છે, જે શહેર અને આસપાસ રહેતા હજારો હિંદુઓનું મુખ્ય પૂજા અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ નિર્ણયથી નારાજ ભારત હિંદુ સમાજે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને વેચાણ પ્રક્રિયાને પડકારી છે. ભારત હિંદુ સમાજ સંગઠનનો આરોપ છે કે કાઉન્સિલે મંદિરની લગભગ 40 વર્ષ જૂની ધાર્મિક અને સામુદાયિક ભૂમિકાને અવગણી. હરાજીના મૂલ્યાંકનમાં પણ ગંભીર ખામીઓ રહી. ફેબ્રુઆરી 2026માં હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપતા કાઉન્સિલને વેચાણ પૂર્ણ કરવા જેવા કોઈપણ પગલાં ભરવાથી રોકી દીધી હતી. હવે ન્યાયિક સમીક્ષામાં એ તપાસ થઈ રહી છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા કાયદા મુજબ હતી કે નહીં. મંદિર પ્રબંધને સ્પષ્ટ કર્યું છે કે તેનો વિરોધ મુસ્લિમ સંસ્થાથી નહીં, પરંતુ કાઉન્સિલના નિર્ણય અને પ્રક્રિયાથી છે. હવે કોર્ટ તપાસ કરશે કે સંપત્તિ વેચવાનો નિર્ણય કાયદા અને સમાનતાના નિયમો મુજબ લેવામાં આવ્યો હતો કે નહીં. મંદિર બંધ થવાથી હિંદુઓને 56 કિમી દૂર જવાની ફરજ પડશે ભારત હિંદુ સમાજનું કહેવું છે કે પીટરબરોનું આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ વિસ્તારના 4,000 હિંદુઓનું એકમાત્ર સામાજિક-સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. જો આ પરિસર બંધ થાય છે, તો હિંદુઓને પૂજા-અર્ચના અને તહેવારો માટે નજીકના મંદિર (કેમ્બ્રિજ-56 કિમી) અથવા (લેસ્ટર-64 કિમી) તરફ જવું પડશે. નુકસાનને કારણે પરિસર, સ્પોર્ટ્સ સેન્ટર અને ક્લબ વેચવા પડી રહ્યા છે પીટરબરોનો વિવાદ બ્રિટનમાં એકલો નથી. અહીંની કાઉન્સિલો વધતા ખર્ચ અને ઓછી સરકારી મદદને કારણે સામાજિક પરિસર, સ્પોર્ટ્સ સેન્ટર અને કોમ્યુનિટી ભવન વેચીને બજેટ સંભાળી રહી છે. 2025ના ‘કી સિટીઝ’ સર્વેમાં 60% કાઉન્સિલોએ સંપત્તિ વેચાણને ખોટ ભરવાનો રસ્તો ગણાવ્યો. બર્મિંગહામને 24-25નું બજેટ સંતુલિત કરવા માટે 2,883 કરોડ રૂ.ની સંપત્તિઓ વેચવાનું લક્ષ્ય રાખવું પડ્યું. નોટિંગહામની 2025-26ની ખોટ 267 કરોડ અને ચાર વર્ષનો કુલ અંદાજિત તફાવત 689 કરોડ રૂ. હતો. હરાજીમાં ખામીઓ, સમીક્ષા વિના મંજૂરી અપાઈ ભારત હિંદુ સમાજ આરોપ લગાવે છે કે વેચાણ દરમિયાન બંને પક્ષોની બોલીઓનું યોગ્ય મૂલ્યાંકન થયું નથી. અદાલતમાં સંગઠને કહ્યું કે કાઉન્સિલે તપાસ અને સ્કોરિંગમાં ભૂલો કરી હતી. ત્યારબાદ કાઉન્સિલના સભ્યોએ તે જ ભલામણોને તપાસ કર્યા વિના સ્વીકારી લીધી. સંગઠનનું કહેવું છે કે મામલો માત્ર ઊંચી બોલીનો નથી, પરંતુ ધાર્મિક સ્થળનો પણ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

