યુવરાજે કહ્યું- સન્માન-સમર્થન ન મળવાને કારણે નિવૃત્તિ લીધી હતી:પોતાની જાતને સવાલ કરવા લાગ્યો હતો કે ક્રિકેટ શું કામ રમી રહ્યો છું

Last Updated: January 29, 2026By

ક્રિકેટર યુવરાજ સિંહે જૂન 2019માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથેના એક પોડકાસ્ટમાં યુવરાજે કહ્યું કે તે સમયે તેને ન તો રમતમાં આનંદ મળતો હતો, ન તો ટીમ મેનેજમેન્ટ અને વાતાવરણ તરફથી તે સન્માન મળતું હતું, જેનો તે હકદાર હતો. 44 વર્ષીય યુવરાજે કહ્યું, ‘હું મારી રમતનો આનંદ માણી શકતો ન હતો. જ્યારે મજા જ નહોતી આવતી, ત્યારે મેં મારી જાતને સવાલ કરવાનું શરૂ કર્યું કે આખરે હું ક્રિકેટ શા માટે રમી રહ્યો છું. સપોર્ટ અને સન્માનની કમી અનુભવાઈ રહી હતી.’ વર્લ્ડ કપ 2019માં પસંદગી ન થવી ટર્નિંગ પોઈન્ટ બની
યુવરાજે ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ બંનેમાંથી તે સમયે નિવૃત્તિ લીધી, જ્યારે તેને 2019માં વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું. ટીમમાં નંબર-4 સ્લોટને લઈને ચર્ચા હતી અને યુવરાજને પોતાના અનુભવના આધારે આશા હતી, પરંતુ પસંદગી ન થયા પછી તેણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને નિવૃત્તિની જાહેરાત કરી દીધી. IPLમાં તેની છેલ્લી સીઝન મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતી. જોકે, તે સીઝનમાં તેને વધુ મેચ રમવાની તક મળી ન હતી. યુવરાજે સ્વીકાર્યું કે જ્યારે તમે માનસિક રીતે રમતનો આનંદ માણવાનું બંધ કરી દો છો, ત્યારે મેદાન પર પ્રદર્શન કરવું વધુ મુશ્કેલ બની જાય છે. આજે પોતાના નિર્ણયથી ખુશ છે યુવરાજ
યુવરાજ સિંહે સ્પષ્ટ કર્યું કે સંન્યાસ લીધા પછી તેને માનસિક શાંતિ મળી. તેણે સ્વીકાર્યું કે ક્રિકેટે તેને ઘણું બધું આપ્યું, પરંતુ યોગ્ય સમયે અટકવું પણ જરૂરી હોય છે. યુવરાજે કહ્યું, ‘હું માનસિક અને શારીરિક રીતે થાકી ગયો હતો. એ વિચારીને પરેશાન હતો કે હું શું સાબિત કરવા માટે રમી રહ્યો છું. જે દિવસે મેં ક્રિકેટ છોડ્યું, તે જ દિવસે મને લાગ્યું કે મેં ફરીથી પોતાને શોધી લીધો છે.’ એક ક્રિકેટરે પિતાને કહ્યું હતું કે યુવરાજમાં પ્રતિભા નથી
યુવરાજે પોતાના શરૂઆતી દિવસોને યાદ કરતા જણાવ્યું કે એક સમય એવો પણ હતો જ્યારે તેની ક્ષમતા પર શંકા કરવામાં આવી હતી. તેણે જણાવ્યું,’જ્યારે હું 13-14 વર્ષનો હતો, ત્યારે એક સિનિયર ખેલાડી (જે તે સમયે ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો હતો)એ મારા પિતાને કદાચ ઔપચારિકતામાં કંઈક કહ્યું હતું. તેમને લાગ્યું હશે કે મારામાં એટલી પ્રતિભા નથી. મેં તેને વ્યક્તિગત રીતે લીધું ન હતું, પરંતુ મારા પિતાને આ વાત ખૂબ જ ખરાબ લાગી હતી.’